ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ઑક્ટોબર, 2021
શુક્રવાર
ભારતમાં માનવી અને હાથી વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે. હાથીના અવરજવરના રસ્તાને શોધીને એને સુરક્ષિત કરવાની ખૂબ જ આવશ્યકતા છે. એના માટે પર્યાવરણ પરિવર્તન મંત્રાલે દેશમાં હાથીના અલગ કૉરિડૉર માટે એક વિશાળ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. હાથીઓની અવરજવરને કાયદાકીય રીતે સુરક્ષા અપાશે.
પર્યાવરણમંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે મંત્રાલયે હાલમાં જ હાથીના કૉરિડૉરના અભ્યાસની શરૂઆત કરી છે અને GIS (જિયોગ્રાફિક ઇન્ફર્મેશન સિસ્ટમ) ટેક્નિકનો ઉપયોગ કરી હાથીને સંરક્ષણ આપવામાં આવશે. કૉરિડૉર શોધવાની પ્રક્રિયા હાથીથી સમૃદ્ધ આ ચાર ક્ષેત્ર ઉત્તર-પશ્ચિમ, ઉત્તર-પૂર્વ, પૂર્વ-મધ્ય અને દક્ષિણમાં થશે.
તજ્જ્ઞોના જણાવ્યા મુજબ હાથીના કૉરિડૉર વર્ષોથી બદલી રહ્યા છે. 88 કૉરિડૉરની ઓળખ મંત્રાલય અને ભારતીય વન્યજીવ ટ્રસ્ટ (WTI) દ્વારા કરાઈ હતી અને ૨૦૦૫માં પ્રકાશિત થયા હતા. વર્ષ 2015 બાદ હાથીના કૉરિડૉરની સંખ્યા વધી ગઈ છે.
અત્યારે જે કૉરિડૉર અસ્તિત્વમાં છે એમાં વિખંડન થવાને કારણે કૉરિડૉરની સંખ્યા વધી છે. હાથીઓએ એમની યાત્રા માટે નવા રસ્તા શોધ્યા છે. ગત દાયકામાં સાત કૉરિડૉર ગાયબ થયા છે. હાથી હવે એનો ઉપયોગ નથી કરતા.
હાથીના કૉરિડૉરમાં પરિવર્તન થવાનું કારણ એ જગ્યાએ રસ્તા અને રેલવેના કામ અથવા વૃક્ષારોપણ કે ખેતીના વિકાસ માટે જગ્યાનો ઉપયોગ થઈ રહ્યો છે. માનવીના અતિક્રમણને લીધે હાથીઓએ સંઘર્ષ કરવો પડે છે. કૉરિડૉર શોધવાની પ્રક્રિયા હાથીથી સમૃદ્ધ આ ચાર ક્ષેત્ર ઉત્તર-પશ્ચિમ, ઉત્તર-પૂર્વ, પૂર્વ-મધ્ય અને દક્ષિણમાં થશે.
ગત વર્ષે મંત્રાલયે રજૂ કરેલા માનવ-હાથી સંઘર્ષના આંકડા મુજબ વર્ષ 2009થી સપ્ટેમ્બર 2019 સુધીમાં 1,025 હાથીઓનાં મોત થયાં છે અને 4,642 માનવનાં મોત થયાં છે. સૌથી વધુ લોકોનાં મોત પશ્ચિમ બંગાળમાં થયાં છે. વીજળીના ઝટકા લાગવાથી સૌથી વધુ હાથીનાં મોત થયાં છે. એ સિવાય ટ્રેનની દુર્ઘટના, શિકાર અને વિષબાધા થવાથી હાથી મૃત્યુ પામ્યા હતા.
WTIના વર્ષ 2017ના રિપૉર્ટ મુજબ ભારતમાં માનવી-હાથીના સંઘર્ષના પરિણામ સ્વરૂપે દર વર્ષે 400-450 લોકોનાં મોત થાય છે. માનવજીવન અને સંપત્તિને થનારા નુકસાનની પ્રતિશોધમાં હાથીને મારી નખાય છે. જેથી હાલમાં જંગલી હાથીઓની સંખ્યા 4 લાખથી ઘટીને 20 હજાર જેટલી થઈ ગઈ છે.