News Continuous Bureau | Mumbai
Gujarati Sahitya: ભગવાને ગીતામાં ( Bhagwad Gita ) અફર સત્ય ઉચ્ચાર્યું છેઃ
જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ જે જન્મે છે, તેનું મરણ ચોક્કસ છે. મૃત્યુને નકારવાનું કે પડકારવાનું સાહસ ક્યારેક કોઈ પ્રેમી, કવિ કે જીવનમુક્ત ઋષિ કરી શકે! કવિઓના ભાવ જગતમાં મૃત્યુનું દર્શન નોખા-નિરાળાં રંગઢંગ સાથે સાકારિત થાય છે. થોડાંક હૃદય-સ્પર્શી અવતરણોને આધારે મૃત્યુનો મનભાવન સાક્ષાત્કાર કરીએ!
શૂન્ય પાલનપુરીના મુક્તકનો મિજાજ માણવા જેવો છેઃ
મન તણી મોહિની જે ત્યાગે છે, મોક્ષ એની પનાહ માંગે છે,
જેણે જોયું નજીકથી જીવન, મોત એનાથી દૂર ભાગે છે!
શૂન્ય સાહેબે મોત વિષયક અફલાતૂન રચનાઓ આપી છેઃ
નિત બુલંદીએ જ ઊડનારો અલૌકિક બાજ હું,
ઊતર્યો નીચે જરા સંસાર-દર્શન કાજ હું..
. પણ મળ્યો ન જાણભેદુ કોઈ મુજને એટલે,
જ્યાંથી આવ્યો ત્યાં જ પાછો જઈ રહ્યો આજ હું!!
તો, ગુજરાતના ગાલિબ ગણાતા મરીઝ ( Mariz ) સાહેબે મૃત્યુ સાથે મહોબ્બત કરીને દિલકશ ગઝલો લખી છેઃ
જીવન-મરણ છે એક, બહુ ભાગ્યવંત છું
તારી ઉપર મરું છું, હું તેથી જીવંત છું!
ક્યારેક અવળવાણીથી ચોટદાર રજૂઆત થાય ત્યારે કવિનો કીમિયો કારગત નીવડતો લાગેઃ
જીવનનો અંત આત્મા બહેલાવે છે,
આ દેહ નથી કાંઈ એ સમજાવે છે,
મૃત્યુમાં એ ઠંડક છે કે ચિતાની ઉપર છે આગ,
છતાં ઊંઘ સરસ આવે છે
તો બેફામ ( Befam ) સાહેબના મૃત્યુ વિષયક શે’ર ઉદાસ આબોહવાનું નિર્માણ કરે છેઃ
રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી
હતો મારો જ અવસર ને મારી હાજરી નહોતી!
કિસ્મ કુરેશીની ( Qism Qureshi ) ખુમારીભરી રજૂઆતને દાદ દેવા જેવી
કિસ્મત! અપાવી દઉં હું મરણને ય જિંદગી,
મરવા પ્રથમ મને જો જીવનમાં મળે…
ડો. એસ. એસ. રાહી ( Dr. S. S. Rahi ) સાહેબનો અંદાઝે બયાં જુઓઃ
મૃત્યુની ગાડી ઘણી મોડી મળી,
તો ય લાગ્યું જિંદગી થોડી મળી!
શાયર અશોક ચાવડા ( Ashok Chawda ) -બેદિલની દર્દીદિલ કેફિયત સાંભળોઃ
મરણ જતું ન રહે, એનું ધ્યાન રાખું છું,
દરેક શ્વાસને હું સાવધાન રાખું છું,
દહન કર્યા કરું છું રોજ લાગણીઓને,
હું મારી અંદર આખું સ્મશાન રાખું છું!
આ પણ વાંચો : Gujarati Sahitya: જો મેં ફાનસ વસાવ્યું તો હવાને પેટમાં દુખ્યા
હરીન્દ્ર દવેની ( Harindra Dave ) કવિતામાં ઘણી જગ્યાએ મોતનું સરનામું મળે છેઃ
મોતના દેશથી કહે છે કે બધા ભડકે છે,
કૈં નથી કામ, છતાં ચાલ અમસ્તા જઈએ!
પૂ. ડોંગરેજી મહારાજની ( Dongreji Maharaj ) વાણીનો રણકો આજે પણ છે. બાપજી હંમેશા કહેતાઃ
સાંભરે રોજ સ્મશાનમાં જવાની જરૂર નથી,
પણ રોજ એકવાર મનમાં સ્મશાન તો લાવવું જ જોઈએ!
કવિ નિરંજન ભગતની કાવ્યપંક્તિ ક્યારેય કેમ ભૂલાય?
કે મૃત્યુ, તું આવ મારી પ્રેયસીના વેશમાં,
તો ધરું તને ય એ જ આ આશ્લેષમાં!
કવિ કરસનદાસ માણેકે હિર પાસે કરેલી . આખરી યાચના પણ કેટલી વિરલ છે!
અંતિમ શ્વાસ લગી આતમની, અવિરત ચલવું ગોત,
ઓતપ્રોત હોઉં આપ મહીં, જ્યારે ઊડે પ્રાણકપોત!
સન્મુખ સાથી જનમજનમનો, અંતર ઝળહળ જ્યોત!
હરિ હું તો એવું જ માગું મોત
છેલ્લે, તસવ્વુફ એટલે ગઝલમાં આધ્યાત્મિક મિજાજ પ્રગટે ત્યારે ભીતરને ઝકઝોરે. રાજેશ વ્યાસ મિસ્કીનના પ્રચલિત શે’રની દાર્શનિકતાને દાદ દઈએઃ
તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું,
પહેર્યું છે એ ય તું જ છે, ઓઢયું છે એય તું
મારો દરેક શબ્દ તું, મારો સ્વભાવ તું….
આ પણ વાંચો : Gujarati Sahitya: કોણ ખરેખર જીવે છે એ ગૂગલ નહીં કહે…

Ashwin Mehta