News Continuous Bureau | Mumbai
હું જ રહું સહુ સંગ વિલસી,
ને હું જ રહું અવશે….
કવિ રાજેન્દ્ર શાહની ( Rajendra Shah ) આ કાવ્યપંક્તિ વેદાન્તના અહમ બ્રહ્માસ્મિ સૂત્રનો ( brahma sutra ) પડધો પાડે છે. અત્ર-તત્ર- સર્વત્ર હુંની જ વ્યાપ્તિ છે. આ સંસારમાં સહુની સંગે મારો જ સહવાસ અને મારો જ પ્રવાસ છે અને સહુનો વિલય થાય ત્યારે બાકી બચે છે તે હું છું!
વેદાન્તમાં ( Vedanta ) વર્ણવાયેલો આ હું અહંકારનો વાચક નથી, પણ તે આત્મતત્ત્વના સનાતન અનાદિ અને અનંત અસ્તિત્વનો પરિચય કરાવે છે. ઉપનિષદનું આવું બીજું સૂત્ર સાંભરે છેઃ
અણોરણીયાન – મહતોમહીયાન
અણુથીયે અણુ અને મહાનથીયે મહાન જે કંઈ છે તે આત્મતત્ત્વનો ચેતોવિસ્તાર છે. નરી આંખે ન દેખી શકાય એ તત્ત્વથી લઈને આ જગતમાં સહુથી વિરાટ અને પ્રચંડ તત્ત્વ પણ હુંની સાક્ષીએ જ સંભવે છે. અહીં આત્માની સર્વવ્યાપકતા, સર્વકાલીનતા અને સાક્ષીભાવનું હૃદયંગમ નિરૂપણ થયું છે. ભક્તકવિ નરસૈંયાએ ગાયું છેઃ
વિવિધ રચના કરી, અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે…
આત્માને એકાકી રહેવું ગમ્યું નહીં, એટલે પછી જૂજવા રૂપે અનંત ભાસે છે!
આ પણ વાંચો : Gujarati Sahitya: જગદંબા અને જનેતાઃ વંદન તુજને માત…
કવિની વાણી ક્યારેક ઋષિની વાણીનું ગૌરવ અને માધુર્ય ધારણ કરે છે, તેની અહીં પ્રતીતિ થાય છે. આગળ જતાં આવી પંક્તિ સહૃદય ભાવકના હૈયામાં અમૃતકણિકા બનીને સચવાઈ રહે છેઃ
ન ત્વણું કામયે રાજ્યું,
ન સ્વર્ગ ન પુનર્ભવમ |
કામયે દુઃખ તમાનામ,
પ્રાણિનામ આર્તિનાશનમ|
આપણી આ વસુધા પર વસનારાઓ અગનના અંઘોળ કરવા હુંસાતુંસી કરી રહ્યાં છે. આત્મઘાતી આક્રમણના ધીંગાણાઓ અને ધરતીની ધણધણાટીની જીવલેણ જુગલબંધી જામી છે ત્યારે મહાકવિ-મહર્ષિ વેદવ્યાસના ( Maharishi Vedvyasa ) આ વચનો આપણી સંક્ષુબ્ધ ચેતનાને શાતાદાયી મલમપટ્ટી કરતા હોવાનો અહેસાસ થાય છે. અમૃતિબંદુ સમો આ શ્લોક આપણી માનવ સભ્યતાનો મૃત્યુઘંટ વાગતો અટકાવી શકે છે. ઋષિ આ શ્લોકમાં કહે છેઃ
ના, મારે રાજસત્તા નથી જોઈતી, મારે સ્વર્ગ નથી જોઇતું, મારે મોક્ષ પણ નથી જોઈતો, મારે હૈયે તો બસ એક જ કામના છે કે આ દુનિયામાં દુઃખથી દૂણાયેલા અને પીડાઓ-વ્યાધિઓથી ઘેરાયેલા જીવોની યાતનાઓનો સમૂળગો નાશ થાય…
સંપ્રદાયવાદીઓ અને સામ્રાજ્યવાદીઓની સંકીર્ણ અને સંહારક મનોદશાનો શિકાર બનેલી નિર્દોષ માનવતા હવે શ્રદ્ધાભરી મીટ માંડે તો કોના ભણી? વેદ વ્યાસની ઋષિવાણી આપણી જીવન શ્રદ્ધાને વારંવાર સંકોરે છે. સ્વર્ગની અને સત્તાની, રાજ્યની અને વૈભવની અમર્યાદ લાલસાઓ અને ભોગવાદી માનસિકતા આપણને ક્યારેક હિંસક અને નિષ્ઠુર બનાવે છે. ધર્મ અને રાજકારણનું વ્યાપારીકરણ અને અપરાધીકરણ માણસને ભીતરથી ખોખલો અને ખાલીખમ બનાવે છે. માનવીનું ભૌતિક ભૂખાવળાપણું અને અનૈતિક અકરાંતિયાપણું તેને વિનિપાત અને વિનાશની ચોખટ પર લાવી મૂકે છે. એકવીસમી સદીમાં માનવતાના મશાલચીનો સનાતન જીવનધર્મ વ્યાસજીએ દર્શાવ્યો છે. જનાબ હાલિ સાહેબનો શેર સાંભરે છેઃ
ફરિસ્તોસે બેહતર હૈ, ઇન્સાન બનના
મગર ઇસમેં પડતી કે મહેનત જિયાદા!! ..
આ પણ વાંચો : Gujarati Sahitya: ખુશ કરીને કોઈને, બસ, ખુશ થવું!

Ashwin Mehta