News Continuous Bureau | Mumbai
Gujarati Sahitya: અંધકારના ( Darkness ) ઓથાર અને ઓળા અત્ર-તત્ર-સર્વત્ર ઊતર્યા હોય ત્યારે જ જ્યોતિપુંજની ઝંખના જાગતી હોય છે. બહારથી તો જગત આખું ઝળાંહળાં ઝગમગતું દીસે છે, પરંતુ માનવચેતનાની ભીતર હિંસા, ઝનૂન, ખુદગર્જ માનસિકતા, બંધિયાર અને જડસુ મનોરુગ્ણતા ઘર ધાલીને જામેલાં હોય ત્યારે આતમદીપની દિવેટ સંકોરવાની ક્ષણ સમીપ હોય છે. ભીતરના સાતમા પાતાળમાં પ્રકાશપુંજના આશાકિરણો ક્યાંક અલપઝલપ શુભ સંકેતની એંધાણી આપતાં હોય ત્યારે એકાદ કોડિયાંના ઉજાસની અભીપ્સા કારગત નીવડે છે. માણસાઈનું અજવાળું આથમતું લાગે ત્યારે ખુણેખાંચરે ટમટમતાં ઘરદીવડાંઓનો ઉજાસ જ્ઞાતિ, સમાજ, નગર, રાજ્ય, રાષ્ટ્રને આલોકિત કરતો હોય છે ત્યારે એનો મહિમા લગારે ઓછો નથી હોતો.
એકવીસમી સદીની અંધાર પછેડીને આઘીપાછી કરીને વ્યક્તિની ભીતર રૂપેરી કોર જરાતરા પણ ઉપસી આવે. અંધકારના વળામણાં કરવાનો અને અજવાસના ઓવારણાં લેવાનો આ જ્યોતિર્મય અવસર આંગણે આવ્યો છે ત્યારે સનાતન ( Sanatan ) જ્યોતિષ્મતિ વાણીનો પ્રકાશ સર્વત્ર પ્રસરે એવી પ્રાર્થના કરીએ.
જ્યોતિર્મય જીવનની ઝંખના ફળીભૂત થાય એ માટે આપણી ભીતર આતમદીપ પ્રગટાવવાનો પુરુષાર્થ કરીએ એ જ પ્રકાશપર્વની મંગળ મનોકામના સાથે કવિ ભોગીલાલ ગાંધીની ( Bhogilal Gandhi ) સોનેરી શિખામણ કાન દઈને સાંભળીએઃ
તું તારા દિલનો દીવો થાને, ઓ રે ભાયા!
કોડિયું તારું કાચી માટીનું, તેલ-દિવેટ છુપાયા
નાની-શી સળી, અડી ન અડી, પરગટશે રંગ માયા
આભમાં સૂરજ, ચંદ્ર ને તારા, મોટા મોટા તેજરાયા
આતમનો તારો દીવો પેટાવવા, તું વિણ સર્વ પરાયા…
તું તારા દિલનો દીવો થાને…
આ પણ વાંચો : Gujarati Sahitya: પ્રણય, તને પ્રણામ!
છેલ્લે, મુનિ સંતબાલજીની ( Muni Santabalji ) સર્વધર્મ પ્રાર્થનામાં ભક્ત હૃદયની ભાવદશા અને વિનમ્ર અભ્યર્થના વ્યક્ત થઈ છેઃ
ખાવું-પીવું, હરવું-ફરવું, સૂવું-જાગવું ને વદવું,
સર્વ ક્રિયાઓ કરતાં પહેલાં પાપ વિકારોથી ડરવું,
છતાં થાય ગફલત જે કાંઈ તે ક્ષમા માંગી હળવા થઈએ,
સર્વ ક્ષેત્રમાં રહીએ તો પણ આત્મભાન નહીં વિસ્મરીએ..

Ashwin Mehta