News Continuous Bureau | Mumbai
Mumbai Sahityotsav: ગુજરાત સાહિત્ય અકાદમીએ સાહિત્ય પ્રસારના પોતાના ધ્યેયને મુંબઈ સુધી વિસ્તાર્યું છે એ આનંદના સમાચાર છે. આ રહ્યો એના દોઢ દિવસના પાંચ સત્રનો અહેવાલ.
કાંદિવલીની કેઈએસ ઈન્ટરનેશનલ સ્કૂલનો હૉલ સાહિત્યિક કાર્યક્રમનું અગત્યનું સરનામું બની ગયો છે.
સાહિત્યના ( Gujarat Sahitya Akademi ) આ મહોત્સવમાં સહુ ભાવકો ઉત્સાહભેર સામેલ થયાં.આ ઉપક્રમ જ એટલો વૈવિધ્યસભર હતો કે સાચો ભાવક હૉલ સુધી ખેંચાઈ આવે.
Mumbai Sahityotsav: પ્રથમ સત્રના આરંભમાં કવિ મુકેશ જોશીએ ઉમળકાભેર આવકાર આપ્યો.
‘ હું નથી વિદ્વાન પણ વિદ્વાનોની સંગત કરું છું,
સ્મિત આપી પારકા લોકોને પણ અંગત કરું છું,
ફૂલ દેવા છે બધાને પણ સમય ક્યાં છે એટલો,
એટલે જ ફૂલ જેવા શબ્દોથી સ્વાગત કરું છું’.
એમણે આગળનો દોર કવિ સંજય પંડયાને સોંપ્યો.
સંજય પંડ્યાએ ( Sanjay Pandya ) આ દિવસોના સૌમ્ય તડકાને અનુલક્ષીને શોભિત દેસાઈનો શેર ટાંક્યો ,
‘પથરાતું એય ચાલ્યું સર્વત્ર સોનું સોનું,
રજકણથી ઘર ભરેલું ઘરની બહાર તડકો,
બંન્ને મળી પૂરે છે લાલીમા તારા ચહેરે,
આ પોષની બપોરો ,આ ઠંડોગાર તડકો.’
એમણે સર્વોત્તમ સૂરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયના ( purushottam upadhyay ) કેટલાંક ઉત્તમ સ્વરાંકન યાદ કરી અંજલિ આપી હતી અને જણાવ્યું કે પુરુષોત્તમભાઈએ ૩૦ નાટકો અને ૨૦ ફિલ્મમાં સંગીત આપ્યું હતું .
સ્વરકાર તથા ગાયક સુરેશ જોશીએ પુરુષોત્તમ ઉપાધ્યાયનાં સ્વરાંકનવાળી નરસિંહ મહેતાની રચના

Mumbai Sahityotsav celebrated inKandivli by the joint initiative of Gujarat Sahitya Akademi KES Gujarati Bhasha Bhavan.
‘ઊંચી મેડી તે મારાં સંતની રે ‘ ની રજૂઆત કરી. જ્હોની શાહે નિરંજન ભગતની એક રચના રજૂ કરી અને બંનેએ સાથે મળીને કલાપીની ‘ગ્રામ્યમાતા’નું અદભૂત ગાન કર્યું.
ગાંધીનગરથી પધારેલ સાહિત્ય અકાદમીના ( Sahitya Akademi ) અધ્યક્ષ કવિ, લેખક ભાગ્યેશ જહા હળવાશનો પર્યાય છે. એમણે થોડું વક્તવ્ય સંસ્કૃતમાં આપ્યું. ડાહ્યાં ગણાતાં ગુજરાતીઓ ભાષાની જાળવણીમાં કંઈક ચૂકી ગયાં છે એનો અફસોસ એમણે વ્યક્ત કર્યો.
વરિષ્ઠ સર્જક તથા કેઈએસ ગુજરાતી ભાષાભવનના અધ્યક્ષ દિનકર જોશીએ શબ્દ અને સાહિત્યના આ ઉત્સવની સરાહના કરી. નવી પેઢીને ભાષા તરફ વાળવાની સહુની જવાબદારી છે એ વાત પર એમણે ભાર મૂક્યો.

Mumbai Sahityotsav celebrated inKandivli by the joint initiative of Gujarat Sahitya Akademi KES Gujarati Bhasha Bhavan.
મુંબઈના વરિષ્ઠ લેખક સંશોધક દીપકભાઈએ દલપતરામની એક કાવ્યપંક્તિથી શરૂઆત કરી. ૧૯ મી સદીના સર્જકો ઉપરાંત સર્વ પ્રથમ નાટ્યગૃહ મુંબઈમાં સ્થપાયું જેવી ઘણી માહિતી એમણે આપી.
આ સમાચાર પણ વાંચો : Om Birla Indian Forest Service: લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ભારતીય વન સેવાના પ્રશિક્ષુ અધિકારીઓને કર્યું સંબોધન, વન્યજીવોનું સંરક્ષણ કર
Mumbai Sahityotsav: કાર્યક્રમના બીજા દોરમાં ત્રણ એકોક્તિ રજૂ થઈ.
મીતા ગોર મેવાડાએ ઉમાશંકર જોશી લિખિત વાર્તા ‘બારણે ટકોરા’ ઉપરથી સતિષ વ્યાસ લિખિત એકોક્તિ રજૂ કરી.
દિના વચ્છરાજાની લિખિત ‘જીગાની ફોઈ’ એકોક્તિ લેખિકા કલાકાર કિરણ બૂચે રજૂ કરી. કવિ શ્રી અનિલ જોશી લિખિત એકોક્તિ ‘ઝમકુ ડોશી’ ની રજૂઆત લેખિકા તથા અવ્વલ અદાકારા સેજલ પોન્દાએ કરી.
ત્રણે એકોક્તિ ઉત્કૃષ્ટ અભિનયથી ભાવકો પર છવાઈ ગઈ.
શનિવારે સવારે ૧૦ વાગ્યે બીજું સત્ર શરૂ થયું જેના સંચાલનનો દોર ડૉ.હિતેશ પંડ્યાએ સંભાળ્યો.
એમણે કહ્યું , લોકોનું માનવું છે કે નિબંધ લખવો એમાં શું મોટી વાત છે પણ એવું નથી નિબંધ લખવો એ વાર્તા લખવા કરતાં પણ અઘરું છે. વાર્તામાં પાત્રો હોય, પરિસર હોય, ઘટના બનતી હોય જ્યારે નિબંધમાં લેખકનું ભાષાપ્રભુત્વ અને એની દ્રષ્ટિ વ્યક્ત થાય છે.
પ્રથમ નિબંધનું વાચિકમ તખ્તાના વરિષ્ઠ કલાકાર રાજુલ દીવાને કર્યું.આ નિબંધના લેખક હતા ભાગ્યેશ જહા અને એનું શિર્ષક હતું ‘મળી માતૃભાષા મને ગુજરાતી.’
બીજો હળવોફૂલ નિબંધ હતો લેખક નટવર પંડ્યાનો ‘ સાંભળ્યો મેં સંભારાનો સાદ’ જેને કવિ તથા કલાકાર દિલીપ રાવલે પોતાની આગવી શૈલીમાં રજૂ કર્યો.
ત્યાર બાદ એક અભ્યાસી વક્તવ્ય રજૂ થયું ડૉ. અભય દોશીનું ‘સાહિત્યમાં માનવીય સંવેદના…’ જેમાં ધૂમકેતુ તથા દ્રિરેફની વાર્તાઓમાં વણાયેલી સંવેદનાનો ગ્રાફ એમણે આપ્યો.
એમનું વક્તવ્ય પૂરું થતાં જ અચાનક અંધારું છવાયું. બધાનાં ચહેરા પર એક જ પ્રશ્ન હવે શું થશે! પણ આ તો મુંબઈ અને એમાં વસતા કલાકારો અને શ્રોતા… એમ કંઈ હારે ખરાં ! મોબાઈલની લાઈટનાં અજવાળામાં નાટ્ય કલાકાર પ્રીતા પંડ્યાએ
લેખક મણિલાલ.હ.પટેલનો નિબંધ ‘પતંગિયા રમાડતી કેડી ‘રજૂ કર્યો.
ત્યાર બાદ મંજાયેલા કલાકાર પ્રતાપ સચદેવે સ્વામી આનંદનો લખેલો નિબંધ ‘મોરું ‘ વાંચ્યો.અંધારામાં પણ વાચિકમનો દોર સરસ ચાલ્યો.
એ પછી રજૂ થયું અભ્યાસી વક્તવ્ય ‘નિબંધ – વૈવિધ્યનું વિસ્મય ‘ જેનાં વક્તા હતાં ડૉ. દર્શના ઓઝા . દર્શનાબહેને ખૂબ જ સરસ , માહિતીસભર વક્તવ્ય આપ્યું.લગભગ સોથી વધુ નિબંધોની લેખક સાથેની માહિતી એમણે આપી. ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવે પણ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી.
બપોરના અલ્પાહાર પછીનું સત્ર હતું ટૂંકી વાર્તા વિશે અને સંચાલનનો દોર સંભાળ્યો યુવાન વાર્તાકાર સમીરા પત્રાવાલાએ.
પહેલી વાર્તા રજૂ કરી લેખક, દિગ્દર્શક તથા કલાકાર એવા મેહુલ બૂચે જેના લેખક છે તુષાર વ્યાસ . ‘ કાળો કોટ ‘ નામની આ વાર્તા ખૂબ રસપ્રદ રીતે રજૂ થઈ.
ત્યાર પછી એક અભ્યાસી વક્તવ્ય, ‘ ટૂંકી વાર્તા પ્રવાહ અને પ્રયોજન ‘ ડૉ. દશરથભાઈ પટેલે રજૂ કર્યું
ટૂંકી વાર્તાના દોર પછી કથાકથન શરૂ થયું.કથાકથનમાં ભામિની ઓઝા ગાંધીએ ઝવેરચંદ મેઘાણીની વાર્તા ‘ભાઈ ‘ રજૂ કરી શ્રોતાઓને સ્તબ્ધ કરી દીધાં .
કથાકથનમાં બીજી વાર્તા પ્રતાપ સચદેવે રજૂ કરી ધૂમકેતુ લિખિત’પોસ્ટ ઓફિસ’ અને એમાં ય એમણે ભાવકોની અઢળક દાદ મેળવી .
ચોથા સત્રનું સંચાલન કર્યું ડૉ.ખેવના દેસાઈએ . કાવ્યોત્સવમાં ગઝલકાર રાજેશ હિંગુ તથા સુરેશ ઝવેરી છવાઈ ગયા. વરિષ્ઠ કવયિત્રી સંસ્કૃતિરાણી દેસાઈ , કવિ ભાગ્યેશ જહા તથા કવિ હિતેન આનંદપરાની રચનાઓને પણ શ્રોતાઓની દાદ મળી.
દોઢ દિવસીય સાહિત્યિક સફરનો અંતિમ કાર્યક્રમ હતો
કાવ્યસંગીત જેનું મસ્ત મસ્ત
સંચાલન કર્યું કવિ મુકેશ જોશીએ.
ગાયક કલાકાર નિશા કાપડિયા અને આલાપ દેસાઈએ
પોતાને ગમતાં ગીતો રજૂ કર્યાં. તબલાં પર રાઘવ દવે તેમજ અન્ય સાથીઓએ સાથ આપ્યો.
આ સમાચાર પણ વાંચો : GIDC Land Allotment : ગુજરાતમાં ઔદ્યોગિક વસાહતોને જમીન ફાળવણી કરવાની નીતિમાં કરાયો સુધારો, GIDCને આ ૩ કેટેગરીમાં ફાળવવામાં આવશે જમીન..
પુરષોત્તમ ઉપાધ્યાયની વિદાયને બે દિવસ જ થયા હતા એટલે એમનાં સ્વરાંકન કરેલાં ગીતોની મૅડલી રજૂ થઈ.
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ સ્નેહલ મુઝુમદારે દોઢ દિવસના સાહિત્યના ઉત્સવ માટે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાનો આભાર માન્યો અને એ સંદર્ભે શાર્દુલવિક્રિડિત છંદમાં કાવ્ય રજૂ કર્યુ. સામે ભાગ્યેશભાઈએ પણ એ જ રીતે છંદમાં જવાબ આપ્યો.
ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાએ જણાવ્યું કે અકાદમી દર વર્ષે ડિસેમ્બરમાં મુંબઈના સાહિત્ય રસિકો માટે આવો ભવ્ય કાર્યક્રમ યોજશે.
Mumbai Sahityotsav: કાર્યક્રમનું સમાપન ભાગ્યેશભાઈ રચિત અકાદમીના રેકોર્ડ થયેલા ગીતથી થયું.
મંચ સજ્જા, બૅનર્સ, સૅલ્ફી પોઈન્ટ, વિડિયોગ્રાફી તથા અલ્પાહાર બધા જ મોરચે ભવ્યતા જણાઈ આવતી હતી. દોઢ દિવસના ઉત્સવમાં અભ્યાસી વક્તવ્ય થયાં અને ઉત્તમ રજૂઆત દ્વારા પણ વાર્તા, નિબંધ અને કાવ્યોને શ્રોતાઓના હૃદય સુધી પહોચાડ્યાં.
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી, આપણું આંગણું બ્લોગ, કવિશા હોલિડેઝ, ઝરૂખો, લેખિની, પરિચય ટ્રસ્ટ, ફ્લૂટ એન્ડ ફેધર ફાઉન્ડેશન, પ્રગતિ મિત્ર મંડળ, કલા ગુર્જરી, સાઈ સાર્વજનિક ટ્રસ્ટ જેવી કેટલીક સંસ્થાઓનો આ આયોજનમાં સહયોગ હતો પણ શિરમોર સમો સથવારો કેઈએસ ગુજરાતી ભાષાભવન તથા કેઈએસ ઈન્ટરનેશનલ સ્કૂલના વ્યવસ્થાપકોનો હતો જેમણે બધી વ્યવસ્થા માટે પોતાની ટીમ ખડે પગે રાખી હતી. કવિ ભાગ્યેશ જહા તથા કવિ હિતેન આનંદપરાની પરિકલ્પનાવાળા આ કાર્યક્રમને ઘણા બધાંનો પ્રત્યક્ષ કે પરોક્ષ સહયોગ સાંપડ્યો. જો કે કોઈ પણ કાર્યક્રમની સફળતા શ્રોતાઓ કે ભાવકો નક્કી કરતાં હોય છે. સજ્જ ભાવકોએ બધાં જ સત્રને એક ઊંચાઈ બક્ષી એવું આ દોઢ દિવસના અંતે કહી શકાય.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.