News Continuous Bureau | Mumbai
Gujarat 108 Ambulance: મોતના મુખમાં ઘકેલાઈ ગયેલા માણસને ફરી નવજીવન આપતી સંજીવની કદાચ માનવજાતિએ નથી જોઈ, પરંતુ આજના સમયમાં ગુજરાત સરકાર દ્વારા સંચાલિત ૧૦૮ એમ્બ્યુલન્સ ( 108 Ambulance ) સેવાએ સંજીવની કરતા લગીરેય ઊણી ઊતરે એવી નથી. શહેર હોય કે ગામ, રાત હોય કે દિન, ટાઢ હોય કે તડકો આ સેવા શરૂઆતથી લઇને અત્યાર સુધીમાં અગણિત લોકોને નવજીવન આપી ચૂકી છે. અસંખ્ય લોકોના દુ:ખી ચહેરા પર જીવન આશાનું કિરણ રેલાવી ચૂકી છે અને હજુય અહર્નિશપણે એ જ માનવ સેવા દાયિત્વ નિભાવી રહી છે.
છેલ્લા ૨૯ દિવસથી ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદની ( Gujarat heavy rain ) વચ્ચે પણ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની ઊડીને આંખે વળગે એવી કામગીરી જોવા મળી રહી છે. છેલ્લા ૨૯ દિવસમાં જ ૧ લાખ ૧૪ હજારથી વધુ દર્દીઓ માટે ૧૦૮ એમ્બ્યુલન્સ દેવદૂત સાબિત થઇ છે.
૧૦૮ના સ્ટાફે કર્તવ્યનિષ્ઠા એવી ઉત્તમ રીતે નિભાવી છે કે આજે પણ ગુજરાતના ( Gujarat ) કોઈ પણ ખૂણે આરોગ્યની મુસીબતની પળોમાંથી પસાર થઇ રહેલા લોકોને સંકટની ઘડીએ જ્યારે ઘરના આંગણે તાબડતોડ ૧૦૮ આવીને ઊભી રહે છે ત્યારે રાહતનો અહેસાસ થાય છે અને દિલમાંથી શબ્દો નીકળે છે કે હાશ! ૧૦૮ આવી ગઇ, હવે વાંધો નહી આવે.
ગુજરાતમાં આકસ્મિક પરિસ્થિતિમાં જીવાદોરી સમાન ૧૦૮ની સેવાથી રાજ્યના તમામ નાગરિકો વાકેફ છે. અકસ્માત, કુદરતી કે કૃત્રિમ આફતો ( Natural Disaster ) વખતે માનવ જીવોના સંરક્ષણ માટે ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા ખૂબ ઝડપી અને સંજીવની સમાન મનાય છે. ગુજરાતમાં ૨૦૦૭માં તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી હતી. આ ૧૦૮ની નિ:શુલ્ક સેવા આજે રાજ્યમાં આપાતકાલિન સ્થિતિમાં સંજીવની સમાન ગણાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૮૦૦થી વધુ એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં રાત-દિવસ કાર્યરત છે. આ ઉપરાંત બે બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
૧૦૮ જીવીકે ઈએમઆરઆઇના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશંવત પ્રજાપતિના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હાલના સમયમાં સમગ્ર રાજ્યના તમામ ૨૫૭ તાલુકા, ૧૮ હજાર જેટલાં ગામો, ૩૩ જિલ્લાઓ અને મહાનગરો સહિત તમામ જગ્યાએ આ ૧૦૮ની સેવાનું માળખું ફેલાયેલુ છે.
આ સમાચાર પણ વાંચો : Saving Funds: તમારા જીવનમાં આ પાંચ સૂત્રોનું પાલન કરો, જીવનમાં ક્યારેય પૈસાની સમસ્યા નહીં આવે!..જાણો વિગતે..
ગણતરીની મિનિટમાં ઘટનાસ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત, બીમાર કે ભોગ બનનાર વ્યક્તિ કે વ્યક્તિઓને પ્રાથમિક સારવાર પૂરી પાડવાનું કામ કરે છે. સગર્ભાઓને પ્રસૂતિ દરમિયાન ઝડપી ઘર સુધી પહોંચી મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવાનું અને તેને પીડાવિહીન પ્રસૂતિ કરાવવામાં આ ૧૦૮ની સેવા ખૂબ મદદરૂપ બની છે.
રાજ્યમાં ૧૦૮ની એમ્બ્યુલન્સ સેવા શરૂ થયાથી આજ સુધીમાં ૧.૬૨ કરોડથી વધુ લોકોએ આ ૧૦૮ એમ્બ્યુલન્સની સેવાનો ( Ambulance services ) લાભ લીધો છે. રાજ્યમાં ખૂબ ગંભીર પરિસ્થિતિમાં ૧૦૮ના કર્મીઓની સમયસરની સેવાના કારણે ૧૫.૩૭ લાખ લોકોના જીવ બચાવવાનું મહામૂલું કાર્ય પણ થયું છે, તો ૧.૪૨ લાખથી વધુ મહિલાઓને સુખરૂપ પ્રસૂતિ પણ કરાવી શકાઇ છે. હાલમાં અંદાજે ૪ હજારથી વધુ ૧૦૮ કર્મીઓ સેવા આપી રહ્યા છે.
અદ્યતન સુવિધાઓ અને હાઇ ટેક્નોલોજીથી સજ્જ આ ૧૦૮ એમ્બ્યુલન્સ વાનના કારણે સમયસર કોલના સ્થળ પર પહોંચવામાં અને સતત મોનિટરિંગ કરવાના કારણે આ સેવા ખૂબ ઝડપી અને લોકોને પ્રાથમિક સારવાર આપવાથી માંડી તેને વધુ સારવાર અર્થે હોસ્પિટલ સુધી પહોંચાડવા સહિતની કામગીરી કરે છે.
૧૦૮ મોબાઇલ એમ્બ્યુલન્સ વાનમાં ખૂબ અદ્યતન ટેક્નોલોજીની વ્યવસ્થા, મેડિકલનાં સાધનો, દવાઓ, મશીનો અને વેન્ટિલેટર – ઓક્સિજન સહિતની સેવા અને ટ્રેનિંગબદ્ધ સ્ટાફ હોવાના કારણે પીડિત વ્યક્તિને તત્કાલિન સેવા મળી રહે છે. સમયસર સારવાર મળવાના કારણે વ્યક્તિનો જીવ પણ બચાવી શકાય છે.
ટેક્નોસેવી વ્યવસ્થાથી સજ્જ આ સેવાને વધુ પ્રભાવશાળી બનાવવા માટે ૧૦૮ ગુજરાત મોબાઇલ એપ પણ તૈયાર કરવામાં આવી છે. આ સમગ્ર ૧૦૮ સેવાનું મોનિટરિંગ માટેનું ઇમરજન્સી મોનિટરિંગ એન્ડ રિસ્પોન્સ સેન્ટર, અમદાવાદથી સંચાલિત થાય છે, જ્યાં રોજના અંદાજે ૭૦૦૦થી ૭૫૦૦ જેટલા કોલ્સ લેવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : Mandvi : માંડવી તાલુકાના વાંકલા ગામના પ્રગતિશીલ આદિવાસી મહિલા ખેડૂતે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા
ખરેખર, રાજ્યમાં આરોગ્યની સેવાને ખૂબ ઝડપી ઘર ઘર સુધી પહોંચાડવામાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા પીડિતને નવજીવન બક્ષનાર દેવદૂત સમાન બની ગઇ છે. ઈમરજન્સીના કેસમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસ સંજીવની સમાન સાબિત થઈ છે, જે રાજ્ય સરકારની એક મોટી સફળતા છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.