ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,13 જાન્યુઆરી 2022
ગુરુવાર.
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ કર્મીઓ પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. ત્યારે નાગપુરમાં પણ 25 પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં મળી આવેલા આ પોલીસકર્મીઓમાંથી 5 વરિષ્ઠ અધિકારીઓ છે.
કોરોનાની બીજી લહેર બાદ ફરી એક વાર કોરોનાએ માથુ ઉચક્યુ છે. સમગ્ર દેશમાં સૌથી વધુ કોરોના કેસ મહારાષ્ટ્ર અને દિલ્હીમાંથી સામે આવી રહ્યા છે. મળતા અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 481 રેસિડેન્ટ ડોક્ટર કોવિડ પોઝિટિવ આવ્યા છે.
મુંબઈની આર્થર રોડ જેલમાં ૩૦ કેદીઓ પણ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. છેલ્લા ૧૦ દિવસમાં કરાયેલા કોરોના ટેસ્ટિંગમાં આ કેદીઓ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.જેને હાલમાં જેલના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.ત્યારે હાલ રાજ્યમાં કોરોના વધતા કેસે તંત્રની ચિંતા વધારી છે.
વડાપ્રધાન મોદી સાથેની આજની સમીક્ષા બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ભાગ લેશે નહીં, આ બે મંત્રીઓ હાજર રહેશે; આ છે કારણ
મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના બહાર પાડેલા આંકડા મુજબ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 46,723 નવા કેસ નોંધાયા છે. આ નવા કેસ નોંધાયા બાદ રાજ્યમાં કુલ કેસ વધીને 70,34,661 થઈ ગયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 32 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે, જેથી મૃત્યુઆંક વધીને 1,41,701 પર પહોંચ્યો છે.
આ ઉપરાંત રાજ્યમાં ઓમિક્રોનનો આતંક પણ જોવા મળી રહ્યો છે. બુધવારે ઓમિક્રોનના 86 કેસ સામે આવતા કુલ કેસ વધીને 1,367 થયા છે. બીજી લહેર દરમિયાન મુંબઈમાં કોરોનાની સૌથી વધુ અસર જોવા મળી હતી. બીએમસીના ડેટા અનુસાર, છેલ્લા ૧૧ મહિનામાં કોરોનાથી 4,575 લોકોના મોત થયા છે. તેમાંથી 94 ટકા મૃતકો એવા છે જેમણે રસીકરણ કરાવ્યું ન હતું.જેથી વેક્સિનેશન ન કરાવનાર લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયા હોવાનુ સામે આવ્યુ છે.