News Continuous Bureau | Mumbai
Ahmedabad Air India Crash અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયા ફ્લાઈટ ક્રેશની તપાસ કરી રહેલી ટીમે એક ભયાનક નિષ્કર્ષ પર પહોંચી છે. તપાસ મુજબ, આ દુર્ઘટના પાછળ કોઈ મિકેનિકલ ખામી નહોતી, પરંતુ તે એક ‘જાણીજોઈને કરવામાં આવેલી હરકત’ હતી. આંતરરાષ્ટ્રીય એક્સપર્ટ્સ અને ભારતીય તપાસકર્તાઓ હવે આ અકસ્માતનો અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યા છે, જે સૂચવે છે કે ટેકનિકલ સમસ્યાને બદલે માનવીય હસ્તક્ષેપને કારણે પ્લેન નીચે પડ્યું હતું.
કોકપિટમાં શું થઈ હતી વાતચીત?
જુલાઈ ૨૦૨૫માં એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા જારી કરાયેલા પ્રારંભિક રિપોર્ટમાં કોકપિટ વોઈસ રેકોર્ડિંગની કેટલીક વિગતો સામે આવી હતી. રેકોર્ડિંગમાં એક પાઈલટ બીજાને પૂછતો સંભળાય છે કે, “તેં (ફ્યુઅલ) કેમ બંધ કર્યું?” જેના જવાબમાં બીજો પાઈલટ કહે છે, “મેં આવું નથી કર્યું.” તપાસકર્તાઓનું માનવું છે કે પાઈલટોમાંથી એકે ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ બંધ કરી દીધી હતી, જેના કારણે બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનરની પાવર જતી રહી અને તે જમીન પર પટકાઈ ગયું.
કેપ્ટન સુમીત સભરવાલ પર શંકાની સોય
આ કેસમાં મુખ્ય શંકાસ્પદ કેપ્ટન સુમીત સભરવાલ છે, જેઓ પાઈલટ-ઈન-કમાન્ડ હતા. અહેવાલો મુજબ, અકસ્માત બાદ એવી વિગતો બહાર આવી હતી કે તેઓ ડિપ્રેશનથી પીડાતા હતા. જોકે, તેમના પિતાએ આ આરોપોને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે અંગત જીવનના મુદ્દાઓ કે છૂટાછેડાની અફવાઓને કારણે તેમને કોઈ માનસિક તણાવ નહોતો. બ્લેક બોક્સ ડેટા દર્શાવે છે કે ક્રેશ વખતે વિમાનના બંને એન્જિન મેન્યુઅલી બંધ કરી દેવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : The Science of Tetrachromacy: કુદરતની અજાયબી: દુનિયાની કેટલીક મહિલાઓ જોઈ શકે છે ૧૦ કરોડ રંગો! પુરુષો માટે અશક્ય છે આ ‘સુપર પાવર’, જાણો તેની પાછળનું વિજ્ઞાન
૨૬૦ લોકોએ ગુમાવ્યા હતા જીવ
અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની ગણતરીની સેકન્ડોમાં જ પ્લેન મેડિકલ સ્ટુડન્ટ્સની હોસ્ટેલ પર ખાબક્યું હતું. આ દુર્ઘટનામાં ૨૬૦ લોકોના મોત થયા હતા, જેમાં પ્લેનમાં સવાર મુસાફરો અને હોસ્ટેલની અંદર રહેલા લોકોનો સમાવેશ થાય છે. આ કરૂણ હોનારતમાં માત્ર એક જ મુસાફરનો જીવ બચી શક્યો હતો. હવે ફાઈનલ રિપોર્ટમાં પાઈલટોના સતત સાયકોલોજિકલ ઈવેલ્યુએશન અને મેન્ટલ હેલ્થ મોનિટરિંગ માટેના સૂચનો પણ સામેલ કરવામાં આવશે તેવી અપેક્ષા છે.