News Continuous Bureau | Mumbai
Chhatrapati Sambhajinagar Election 2026 મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાઓ માટે આજે મતદાન થઈ રહ્યું છે, ત્યારે છત્રપતિ સંભાજીનગરમાં પૈસાની વહેંચણીના આરોપોને લઈને જોરદાર હોબાળો મચ્યો છે. શિવસેના (UBT) નેતા અંબાદાસ દાનવેએ ભારતીય જનતા પાર્ટી પર સીધો હુમલો કરતા આક્ષેપ કર્યો છે કે, મતદાનના થોડા કલાકો પહેલા જ શહેરમાં ભાજપ દ્વારા મોટા પાયે પૈસા વહેંચવામાં આવ્યા છે. દાનવેએ વહેલી સવારે પોતાનો મત આપ્યા બાદ મીડિયા સમક્ષ ભાજપની રણનીતિ પર સવાલો ઉઠાવ્યા હતા. છત્રપતિ સંભાજીનગરમાં આ વખતે 11.18 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. અંબાદાસ દાનવેએ દાવો કર્યો હતો કે ભાજપ વિકાસની વાતો કરે છે, પરંતુ ચૂંટણી જીતવા માટે તેમને પૈસાનો સહારો લેવો પડે છે. તેમણે આ મામલે ચૂંટણી પંચની નિષ્ક્રિયતા સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો.
ભાજપને પૈસાની મસ્તી ચઢી છે” – અંબાદાસ દાનવે
મતદાન કર્યા પછી પત્રકારો સાથે વાત કરતા અંબાદાસ દાનવેએ કહ્યું, “મેં મારું મતદાન કર્યું છે, જે નિષ્ઠા અને સંઘર્ષનું પ્રતીક છે. મને આજે વહેલી સવારે 4 વાગ્યા સુધી સતત ફોન આવતા રહ્યા કે ભાજપના લોકો કઈ રીતે શહેરમાં પૈસાનો વરસાદ કરી રહ્યા છે. ભાજપના નેતાઓને પૈસાનું અભિમાન આવી ગયું છે. જો તમે ખરેખર વિકાસ કર્યો હોય, તો તમારે મત ખરીદવા માટે આટલી મોટી રકમ કેમ વહેંચવી પડે છે?”
ચૂંટણી પંચ અને પ્રશાસન પર ઉઠાવ્યા સવાલો
દાનવેએ આરોપ લગાવ્યો હતો કે રાજ્યનું પ્રશાસન સત્તાધારી પક્ષના દબાણ હેઠળ કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું, “ચૂંટણી પંચ અત્યારે કુંભકર્ણની નિદ્રામાં છે. આખી પ્રક્રિયામાં ક્યાંય પંચની સતર્કતા દેખાતી નથી. સત્તાધારી પક્ષ માટે એક ન્યાય અને વિપક્ષ માટે બીજો ન્યાય થઈ રહ્યો છે. હું મતદારોને અપીલ કરું છું કે તેઓ આ ભ્રષ્ટ પ્રચારને ઓળખે અને યોગ્ય ઉમેદવારના પક્ષમાં પોતાનો ન્યાય આપે.
આ સમાચાર પણ વાંચો : Indians in Iran Safety: ઈરાન જંગના આરે: 10 હજાર ભારતીયોના જીવ તાળવે ચોંટ્યા! કાશ્મીરી વિદ્યાર્થીઓના વાલીઓએ વડાપ્રધાન મોદી પાસે માંગી મદદ
ખેડૂતોની આત્મહત્યા અને પરિવર્તનની માંગ
રાજ્યની વર્તમાન સ્થિતિ પર બોલતા દાનવેએ ઉમેર્યું કે, “મહારાષ્ટ્રમાં અત્યારે પરિવર્તનની સખત જરૂર છે. વિકાસનો ખોટો ફુગ્ગો ફૂલાવવામાં આવી રહ્યો છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે વર્ષ 2025 માં જ 1,150 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. મતદારોએ ખોટા અને ભ્રામક પ્રચારથી સાવધ રહેવું જોઈએ.” અંબાદાસ દાનવેના આ નિવેદન બાદ ભાજપ તરફથી શું વળતો જવાબ આવે છે તેના પર હવે સૌની નજર છે.
Join Our WhatsApp Community