News Continuous Bureau | Mumbai
National Forest Martyr : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના(CM Bhupendra Patel) હસ્તે ૧૧ સપ્ટેમ્બર ‘રાષ્ટ્રીય વન શહીદ’ દિવસ નિમિત્તે વન ચેતના કેન્દ્ર, ગાંધીનગર ખાતે ગુજરાતના(Gujarat) પ્રથમ ‘વનપાલ સ્મારક’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી તથા વનમંત્રીશ્રીએ સમગ્ર ગુજરાતના કુલ આઠ વન શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. જે પૈકી ચાર શહીદો સુરત(Surat) વર્તુળ હેઠળના વિસ્તારમાં જે તે સમયે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. “વનપાલ સ્મારક” એ વન અને વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે પોતાનું જીવન અર્પણ કરનાર વન શહીદોના માનમાં તૈયાર કરવામાં આવ્યું છે. જેની વિગતો જોઈએ તો
(૧) સ્વ.પીલજીભાઇ ગોવિંદ ગામીત
હોદ્દોઃવનપાલ
સુરત વર્તુળ/વ્યારા વિભાગ
શ્રી પીલજીભાઇ ગૌવિંદ ગામીત, વનપાલ જામખડી, રંજ, સાદડવેલ તા.૧૫/૦૧/૧૯૯૩ના રોજ સાયકલ પર ખોખરા ગામેથી જામખંડી ગામ તરફ જતા હતા ત્યારે જંગલ ચોરીના માલ સાથે બળદગાડુ પકડાતા ગુનેગારોએ શ્રી પીલજીભાઇ ગોવિંદ ગામીત ઉપર કુહાડીથી હુમલો કર્યો હતો જેમાં તેઓનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું.
(૨)
સ્વ.ધીરૂભાઇ ઝીણાભાઇ ગામીત
હોદ્દોઃવનરક્ષક
સુરત વર્તુળ /વ્યારા વિભાગ
તા.૨૪/૦૯/૧૯૮૫ના રોજ વ્યારા વન વિભાગની સાદડવેલ રેન્જના મોટા તારપાડા ગામે તત્કાલીન સંરપંચના ઘરે સાગી લાકડાનો જથ્થો હોવાની બાતમી મળી હતી, જે પ્રથમ દિવસે સ્ટાફને લાગતા વળગતા લોકો સાથે બોલાચાલી થયેલ અને સ્ટાફ પરત આવી ગયો હતો.
બીજા દિવસે પરિક્ષેત્ર વન અધિકારીશ્રી વરસાણી તેમજ રેન્જ સ્ટાફે રેડ કરી માલ જપ્ત કરેલ જે દરમિયાન ૪૦૦-૫૦૦ માણસોનું ટોળું એકત્ર થઇ ગયું હતું અને રેડ પાર્ટી ઉપર હુમલો કર્યો હતો.
આ હુમલામાં ૨૪ લોકો ઘાયલ થયા અને પરિક્ષેત્ર વન અધિકારીશ્રી વરસાણીને હાથ તેમજ પગે ગંભીર ઇજા પહોંચાડી હતી. શ્રી મનુભાઇ ગામીત, વન રક્ષક તેમજ શ્રી એસ.એસ. ભોંયે, વનપાલે કાયમી ધોરણે એક-એક આંખ ગુમાવવી પડી. સૌથી કરૂણ ઘટના એ હતી કે શ્રી ધીરૂભાઇ ગામીત, વન રક્ષકે પોતાનું જીવનું સર્વોચ્ચ બલિદાન આપી શહીદી વહોરેલી હતી. તેઓની શહીદીની સ્મૃતિમાં શહીદી સ્થળે એક સ્મારક પણ બનાવવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : India vs Pakistan, Asia Cup 2023: ભારત અને પાકિસ્તાન વચ્ચેની ત્રીજી મેચ પણ કન્ફર્મ! જાણો શું છે એશિયા કપનું આ સંપુર્ણ સમીકરણ….
(૩) સ્વ.ઉકડભાઇ કાલીદાસ ભગત
હોદ્દોઃવનપાલ
સુરત વર્તુળ/સુરત વિભાગ
તા.૦૮/૦૭/૧૯૮૨ના રોજ ઉમરપાડા રેન્જના કાર્ય વિસ્તારના કેવડી રાઉન્ડમાં ફરજ બજાવતાં શ્રી ઉકડભાઇ કાલીદાસ ભગત, હોદ્દો વનપાલ જેઓ પોતાની ફરજના ભાગરૂપે જંગલ સંરક્ષણના હેતુએ રાત્રિ ફેરામાં હતાં. સદર રાત્રિ ફેરણા દરમ્યાન જંગલ ચોરી અને ગેરકાયદેસર લાકડાની હેરફેરના ગુન્હાઓ અટકાવવા લાકડા ભરેલ ટ્રકને રોકતાં, ટ્રક ચાલક દ્વારા ટ્રક ન રોકતા ફરજ પરના કર્મચારી શ્રી ઉકડભાઇ કાલીદાસ ભગતને ટ્રક ચાલક દ્વારા કચડી નાંખતા મૃત્યુ થયું હતું.
(૪) સ્વ.હરીરામ કૃપારામ સલાટ
હોદ્દોઃ વનરક્ષક
સુરત વર્તુળ ભરૂચ પેટા વિભાગ
બનાવની વિગતઃ- ૨૩ વર્ષીય શ્રી હરીરામ કૃપારામ સલાટ રાત્રિના ૯:૩૦ વાગ્યાના સુમારે અન્ય વ્યક્તિ સાથે ટોલનાકા પાસે સરકારી કામ અર્થે પેટા વનવિભાગભરૂચની ભરૂચ રેન્જમાં ઉભા હતાં. તે વખતે ઝાડેશ્વર ચોકડી તરફથી ટોલનાકા તરફ એક મોટું કન્ટેનરના ચાલકે તેના કબજામાંના કન્ટેનરને પુર ઝડપે અને ગફલતભરી રીતે બેફિકરાથી હંકારતા અને રોડ સાઇડમાં ઉભેલા શ્રી હરિરામ કૃપારામ સલાટને ટક્કર મારી રોડ પર પાડી દીધેલ અને કન્ટેનરના ખાલી સાઇડનું આગળનું વ્હિલ હરીરામ કૃપારામ સલાટ ઉપર ફરી વળતા તેમનું મૃત્યુ થયું હતું.
વનપાલ સ્મારક વિશે :
કેન્દ્ર સરકાર દ્વારા વન અને વન્યજીવોના સંરક્ષણ તેમજ સંવર્ધન દરમિયાન ફરજ બજાવતા શહીદ થયેલા વન વિભાગના ફ્રન્ટલાઈન સ્ટાફ જેવા કે, વનરક્ષક, વનપાલ, પરિક્ષેત્ર વન અધિકારીઓ અને અન્ય અધિકારીઓના માનમાં વર્ષ ૨૦૧૩થી દર વર્ષે ૧૧ સપ્ટેમ્બરને “રાષ્ટ્રીય વન શહીદ દિવસ” (National Forest Martyrs Day) તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે.
વન વિભાગના ફ્રન્ટલાઇન સ્ટાફ પોતાના જીવની પરવા કર્યા વિના અવિરતપણે વન અને વન્યજીવોનું સંરક્ષણ અને સંવર્ધન કરે છે. તેઓ દવ, દબાણ, લાકડાની ચોરી, ગેરકાયદેસર કપાણ, વન્યજીવોના શિકાર રોકવા અને વન્યજીવ-માનવ ઘર્ષણ અટકાવવાની કામગીરી કરે છે આ દરમિયાન ફરજ બજાવતા અમુક વખતે તેઓને પોતાના જીવનનું બલિદાન આપે છે શહીદ થયા છે. કેન્દ્ર સરકારની પહેલ અંતર્ગત વન સંશોધન અકાદમી, દેહરાદૂન ઉપરાંત મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને જમ્મુ કાશ્મીરમાં પણ “વનપાલ સ્મારક”ની સ્થાપના કરવામાં આવી છે.
“વનપાલ સ્મારક” એ વન અને વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે પોતાનું જીવન અર્પણ કરનાર વન શહીદોના માનમાં તૈયાર કરવામાં આવ્યું છે. જે સ્મારક વન શહીદોના સાહસ અને શૌર્યને બિરદાવે છે. વન અને વન્યજીવો માટેના તેઓના ત્યાગને જીવંત સ્વરૂપ આપે છે અને આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બને છે. બાળકોથી લઇને તમામ નાગરિકોને આ સ્મારક સ્થળેથી વનો અને વન્યજીવો પ્રત્યે સંવેદનશીલ બનવાની સાથે સાથે વન અને વન્યજીવોના રક્ષણ માટે પ્રતિબદ્ધ બનવાની પ્રેરણા મળે છે. વન અને વન્યજીવોના રક્ષણ માટે બલિદાન વહોરનાર વનકર્મીઓની યાદમાં અને તેઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાના શુભઆશયથી ગુજરાતમાં પણ “વનપાલ સ્મારક”નું વન વિભાગ દ્વારા “વન ચેતના કેન્દ્ર સેક્ટર-૩૦,ગાંધીનગર ખાતે નિર્માણ કરવામાં આવ્યું છે.