News Continuous Bureau | Mumbai
Gujarat :
- શિક્ષક એ કોઈ પદ કે પ્રતિષ્ઠા નહીં પરંતુ જવાબદારી છે: શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર
- શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરના હસ્તે ગાંધીનગર જિલ્લાના કુલ ૯૦ શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો એનાયત કરાયા
નવનિયુક્ત શિક્ષણ સહાયકોને અભિનંદન આપતા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, આજે હું શિક્ષણ મંત્રી તરીકે રાજ્યની સેવા કરી રહ્યો છું તે મારા પ્રાથમિકથી લઈને માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક અને હાયર એજ્યુકેશન સુધીના ગુરૂજનોને આભારી છે. વિદ્યાર્થીઓમાં જે સ્કિલ રહેલી હોય છે, તેને ઓળખવાનું અને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવાનું કાર્ય આપણા શિક્ષકો કરતા હોય છે. આમ, શિક્ષક એ કોઈ પદ કે પ્રતિષ્ઠા નહીં પરંતુ જવાબદારીનું કાર્ય છે.
રાજ્ય સરકાર દ્વારા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા – ૨૦૨૫ અન્વયે ગાંધીનગર જિલ્લા સહિત રાજ્યભરમાં કુલ ૩,૨૪૩ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો વિતરણ કરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે ગાંધીનગરના ઇસનપુર મોટા ખાતે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરના વરદ હસ્તે આજે ગાંધીનગર જિલ્લાના કુલ ૯૦ શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
શિક્ષણ મંત્રીશ્રીએ કહ્યું કે, સમગ્ર રાજ્યમાં ૧,૫૧૫ સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયકો અને ૩,૨૪૩ બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયકો એમ કુલ ૪,૭૫૮ શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો વિતરણ કરવામાં આવ્યાં છે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા અનેક અભિયાનો થકી ગુજરાતને વધુ સુશિક્ષિત કરવાનું ઉમદા કાર્ય કર્યું છે, જેને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સુપેરે આગળ ધપાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં શિક્ષણ વિભાગ થકી ઓનલાઇન અને પારદર્શક ભરતી દ્વારા દરેક ઉમેદવારને સમાન ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત@૨૦૪૭ ( Viksit Bharat@2047) ના સ્વપ્નને સાકાર કરવામાં શિક્ષકોને સહભાગી બનવા આહ્વાન કરતાં શિક્ષણ મંત્રીશ્રીએ કહ્યું કે, વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર કરવામાં શિક્ષકોનો મહત્વનો ફાળો હોય છે. જેથી શિક્ષકો વિદ્યાર્થીઓના ઘડતર થકી જન કલ્યાણ, લોક કલ્યાણ અને પરોપકાર દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. નવી શિક્ષણ નીતિ વિશે જણાવતા મંત્રીશ્રીએ કહ્યું કે, આજના આધુનિક સમયમાં વિદ્યાર્થીઓ ટેકનોલોજીયુક્ત શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આપણી શાળાઓને સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ સહિત અનેક સુવિધાઓ આપવામાં આવી રહી છે. વધુમાં, મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓમાં ચારિત્ર્ય નિર્માણ કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો.
આ સમાચાર પણ વાંચો : UN General Assembly: UNGA માં અફઘાનિસ્તાન વિરુદ્ધના ઠરાવ પર મતદાનથી ભારત દૂર રહ્યું, ભારતીય રાજદૂતે જણાવ્યું આ પાછળનું કારણ..
આ પ્રસંગે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોરે ( Alpesh Thakor ) તેમની ગ્રાન્ટ ( Grant )માંથી શાળા પરિવારને રૂ. ૫ લાખની સહાય આપવાની જાહેરાત કરીને સમગ્ર રાજ્યમાં પારદર્શી રીતે ભરતી પ્રક્રિયા કરવા બદલ શિક્ષણ મંત્રી સહિત શિક્ષણ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, નિષ્પક્ષ રીતે નિમણૂક પામેલા શિક્ષકો ( teachers ( એ ઇમાનદારીથી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કાર્ય કરતાં રહેવું પડશે. જેથી આવનારી પેઢી સદ્ધર બનશે અને પોતાના પરિવાર સહિત સમગ્ર સમાજનો વિકાસ થશે.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી મેહુલ કે દવેએ પ્રાસંગિક ઉદ્બોધન તેમજ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભગવાનભાઈ પ્રજાપતિએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ અવસરે બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, APMCના ચેરમેન શ્રી રમેશભાઈ પટેલ, શાળા સંચાલક મંડળના અધ્યક્ષ શ્રી શંકરસિંહ રાણા, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, શિક્ષણ વિભાગના અધિકારી-કર્મચારી સહિત નવનિયુક્ત શિક્ષણ સહાયક અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.