ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,13 જાન્યુઆરી 2022
ગુરુવાર.
રાજયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે કાતિલ ઠંડી પડી રહી છે. ત્યારે આગામી ૧૮થી ૨૦ જાન્યુઆરી દરમ્યાન ત્રણ દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમજ ફેબ્રુઆરી મહિનામાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ઉતરાયણના દિવસે પવનની ગતિ ૧૦થી ૧૨ કિલોમીટરની શક્યતા વ્યક્ત કરી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, ઉત્તરાયણનાં દિવસે સવારે ૧૦થી ૧૨ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. તેમજ પવનની દિશા ઈશાન એટલે કે પૂર્વ ઉત્તર તરફ રહેવાની શક્યતા છે. બપોર દરમિયાન પવનની ગતિમાં નોંધપાત્ર ઘટાડો આવશે. અને સાંજ પડતાં પવન ની ગતિ મંદ પડવાની સંભાવના વર્તાઈ રહી છે. જ્યારે રાત્રીના સમયે થોડીક હવા એટલે કે પતંગ ચગે એ પ્રકારની રહેશે. જ્યારે દરિયા કિનારાનાં ભાગોમાં પવનની ગતિ ૧૫ કિ.મી આસપાસ રહી શકે છે. તેમજ બપોર પછી પવનની દિશામાં બદલાવ આવી શકે છે. તેમજ ઉત્તરાયણ પછી ઠંડીમાં ઘટાડો આવતો રહેશે એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતમાં આ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઈ છે. નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં પણ કમોસમી વરસાદનો સામનો રાજ્યના લોકોને કરવો પડ્યો હતો. આ સાથે જ વર્ષ ૨૦૨૨ની શરૂઆતથી તીવ્ર ઠંડી પડતાં જન જીવન ઠૂંઠવાઈ ગયું છે. ત્યારે રાજ્યમાં વધુ એકવાર કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
ભરશિયાળે ચોમાસુ? હવામાન વિભાગે મહારાષ્ટ્રના આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના કહેવા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે. ઉપરાંત આગામી તારીખ ૧૮, ૧૯ અને ૨૦ જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે. જેના કારણે રવિ પાકને વ્યાપક નુકસાન થવાની ભીતી છે. અંબાલાલ પટેલના દાવા પ્રમાણે, ફેબ્રુઆરીમાં પણ માવઠાની શક્યતા રહેલી છે. આ સાથે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. નોંધનીય છે કે, છેલ્લાં ચાર પાંચ દિવસથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી જવા પામ્યું છે. જેમાં શુક્રવારથી રાહત મળશે તેવું પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં કહ્યું હતું.
 
			         
			         
                                                        