News Continuous Bureau | Mumbai
Jammu Kashmir Landslide :
- જમ્મુ કાશ્મીરના રામબનમાં લેન્ડ સ્લાઈડીંગની ઘટનામાં ફસાયેલા ગુજરાતના તમામ લોકો સુરક્ષિત અને સલામત છે.
-:ટ્રાવેલ્સની બસ લેન્ડ સ્લાઈડીંગથી દૂર સેઈફ ઝોનમાં છે:- - ફસાયેલા યાત્રિકો માટે રહેવા તથા જમવાની સુવિધા આર્મી કેમ્પ ખાતે કરવામાં આવી છે.
જમ્મુ કાશ્મીરના રામબનમાં લેન્ડ સ્લાઈડીંગની ઘટનામાં ફસાયેલા ગુજરાતના બધા જ ૫૦ યાત્રીકો સુરક્ષિત અને સલામત છે તેમ રાહત કમિશનર શ્રી આલોક કુમાર પાંડેએ જણાવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આ લેન્ડ સ્લાઇડીંગની ઘટનામાં ગુજરાતી યાત્રિકો ફસાયા હોવાની જાણ થતાં જ તેમણે રાહત કમિશનર તંત્રને જમ્મુ કાશ્મીર સરકારના સંબંધિત તંત્રનો સંપર્ક કરી આ યાત્રાળુઓની સુરક્ષા સલામતીનો પ્રબંધ કરવા સૂચના આપી હતી.
મુખ્યમંત્રીશ્રીની સૂચના અને દિશા નિર્દેશોને પગલે ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જમ્મુ કાશ્મીરના સંબંધિત તંત્ર વાહકોનો તાત્કાલિક સંપર્ક કરીને ગુજરાતના યાત્રિકોની સુરક્ષા-સલામતિ સુનિશ્ચિત કરવામાં આવી હતી. રાહત કમિશનર શ્રી પાંડેએ આ સંદર્ભમાં વધુ વિગતો આપતા કહ્યું કે, ગુજરાતના પ્રવાસીઓની ટ્રાવેલ્સ બસ લેન્ડ સ્લાઈડીંગથી દૂર સેઈફ ઝોનમાં છે તેમજ બધા જ મુસાફરો પણ સુરક્ષિત છે.
આ સમાચાર પણ વાંચો : 181 Abhayam Women Helpline : 17 વર્ષની છોકરીએ બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માતા-પિતાને આપી આત્મહત્યાની ધમકી, છોકરીના ભાઈએ માગી 181 અભયમ મહિલા હેલ્પલાઈનની મદદ
આર્મીના જવાનોએ ગુજરાતના આ મુસાફરોને ભોજન, પાણી વગેરે પહોંચાડ્યું છે. એટલું જ નહીં, તમામ યાત્રીકોની રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ આર્મી કેમ્પ ખાતે કરવામાં આવી છે. ગુજરાતના આ મુસાફરોને હાલ કોઈ મેડિકલ ઈમરજન્સી પણ નથી તેમજ જમ્મુ કાશ્મીર પ્રશાસન દ્વારા લેન્ડ સ્લાઈડીંગમાં ફસાયેલી ટ્રાવેલ બસને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ રહી છે તેમ પણ રાહત કમિશનરશ્રીએ ઉમેર્યું હતું.
આ વિષયે વધુ માહિતી માટે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર-ગુજરાત-૦૭૯ ૨૩૨ ૫૧૯૦૦નો સંપર્ક જરૂર જણાયે કરી શકાશે. તેમ પણ રાહત કમિશનરશ્રીએ જણાવ્યું હતું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.