News Continuous Bureau | Mumbai
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂત પાસેથી મગફળી ખરીદવાની મર્યાદા ૧૨૫ મણ પ્રતિદિનથી વધારીને ૨૦૦ મણ પ્રતિદિન કરતા ખેડૂતો ખુશ ખુશાલ
- મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ખેડૂતોને ખરીદી બાદ માત્ર સાત દિવસમાં ચૂકવણું કરીને રાજ્ય સરકારે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો
- ૨૭૦ કરોડના મૂલ્યની ૫૫,૨૧૩ મે.ટન સોયાબીનની ટેકાના ભાવે ખરીદી પણ પૂર્ણ
- પડકારજનક સ્થિતિ વચ્ચે પણ નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી રાજ્ય સરકારે ખરીદી પૂર્ણ કરી: કૃષિ મંત્રીશ્રી
Peanut Purchase: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં મગફળી સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. ભારત અને ગુજરાત સરકારના પ્રો-એક્ટિવ પ્રયાસોના પરિણામે ખેડૂતોની સંખ્યા અને ખરીદ જથ્થાની દ્રષ્ટિએ રાજ્યમાં મગફળી પાકની વિક્રમજનક ખરીદી થઈ છે. સાથે જ, ખેડૂતોને ચૂકવણું પણ ખરીદી બાદના માત્ર ૭ જ દિવસમાં કરવાનો નવો કીર્તિમાન સ્થાપિત થયો છે. આ સંદર્ભે વિગતો આપતા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે રાજ્યના ખેડૂતો પાસેથી મગફળીની અત્યાર સુધીની સૌથી વધુ ૧૨.૨૩ લાખ મેટ્રિક ટન ખરીદી કરવામાં આવી છે. રાજ્યના ૩.૬૭ લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૮,૨૯૫ કરોડથી વધુ મૂલ્યની મગફળી ખરીદવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા એક ખેડૂત પાસેથી પ્રતિદિન ૧૨૫ મણ મગફળીની ખરીદીની મર્યાદામાં વધારો કરીને ૨૦૦ મણ પ્રતિદિન નિયત કરવામાં આવી હતી. જેના પરિણામે છેલ્લા પાંચ વર્ષમાં થયેલી મગફળીની કુલ ૨૨.૮૪ લાખ મેટ્રિક ટન ખરીદી સામે આ એક જ વર્ષમાં રેકોર્ડબ્રેક ૧૨.૨૩ લાખ મેટ્રિક ટન ખરીદી થઈ છે. જેનાથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
આ સમાચાર પણ વાંચો: Global Castor Conference: કૃષિ આધારિત ઉદ્યોગોને મળી નવી દિશા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 23મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ-2025નો કર્યો શુભારંભ
Peanut Purchase: મંત્રીશ્રીએ કહ્યું કે, ખેડૂતો વાવેતર કરે તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કરવાની નવી પ્રણાલીથી ખેડૂતો નિશ્ચિંત થઈને વાવેતર કરી રહ્યા છે. ચાલુ સિઝનમાં મગફળીનું મબલખ વાવેતર અને મબલખ ઉત્પાદન થવા સાથે બજાર ભાવ કરતા મગફળીનો ટેકાનો ભાવ મણે રૂ. ૨૫૦ જેટલો વધુ હોવાથી ખેડૂતોએ ટેકાના ભાવની આ યોજનાનો મન મુકીને લાભ લીધો છે. એકંદરે આ ૩.૬૭ લાખ ખેડૂતોને કુલ રૂ.૧૫૩૦ કરોડનો સીધો લાભ મળ્યો છે. નોંધણી કરાયેલા ૩.૭૪ લાખ ખેડૂતોને ખરીદી માટે મેસેજ કર્યા બાદ ૯૮ ટકા ખેડૂતોએ આ યોજનાનો લાભ લેતા સરકારને મગફળીનું વેચાણ કર્યું છે. જે પૈકીના ૨.૯૨ લાખથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા ૬,૬૦૦ કરોડ જેટલી માતબર રકમનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે. બાકીના ખેડૂતોને પણ આગામી સાત દિવસમાં ચૂકવણું પૂર્ણ કરવાનું આયોજન છે, તેવી મંત્રી શ્રી પટેલે ખાતરી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ રેકોર્ડબ્રેક ખરીદી કોઈપણ અડચણ વગર સુચારૂરુપે પૂર્ણ થાય તે હેતુથી દર અઠવાડિયે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ દ્વારા અધિકારીઓ, કેન્દ્રિય અને રાજ્ય નોડલ એજન્સી તેમજ વખાર નિગમ સાથે સતત સમીક્ષા બેઠકો યોજવામાં આવી હતી. એટલું જ નહીં, કૃષી મંત્રીશ્રીએ કેટલાક ખરીદ કેન્દ્રોની પણ જાત મુલાકાત લઈ ખરીદી સફળતાપૂર્વક પૂર્ણ થાય તે સુનિશ્ચિત કર્યું હતું. મંત્રીશ્રીથી લઇ સમગ્ર તંત્ર દ્વારા નાનામાં નાના ખેડૂતના એક ફોન કોલથી મળતી રજૂઆતને પણ ગંભીરતાથી લઈને ખરીદી પ્રક્રિયામાં સહાયરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: Mumbai BEST Bus Fare : બેડ ન્યૂઝ.. ઓટો-ટેક્સી બાદ હવે BEST બસ ભાડામાં વધારો કરવાનો પ્રસ્તાવ, જાણો કેટલો વધારો થશે?
Peanut Purchase: આ ઉપરાંત ખરીદીના તમામ પાસાઓ પર ઝીણવટપુર્વક દેખરેખ રાખવામાં આવી હતી. ખરીદી સમયસર પૂરી થાય તે માટે જરૂરી ખરીદ કેંદ્રો ખોલવા, પ્રત્યેક ખરીદ કેંદ્ર પર જરૂરી બારદાન ઉપલબ્ધી, વધુ ખેડૂતોને બોલાવી ઝડપી ખરીદી થાય તે માટે ઉપયુક્ત તમામ વયવસ્થા, જરૂરી ગોડાઉનોનું આગતોરૂ મેપીંગ તેમજ ખેડૂતોને સમયસર ચુકવણુ થાય તે તમામ બાબતો પર સંબંધિતોને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી અંજુ શર્મા અને ખેતી નિયામકશ્રીની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી હતી. નોંધનીય છે કે, ગત તા. ૮ ફેબ્રુઆરી બાદ પણ કેટલાક ખેડૂતોને ટેકાના ભાવે વેચાણ કરવાનું બાકી હોવાથી રાજ્ય સરકારે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવી ખરીદી પાંચ દિવસ સુધી લંબાવવામાં આવી હતી. રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં પડકારજનક પરિસ્થિતિ વચ્ચે પણ તમામ ખેડૂતો પાસેથી ખરીદી પૂર્ણ કરી છે.
વડાપ્રધાનશ્રીના ખેડૂતોને પોષણક્ષમ ભાવ પુરા પાડવાના નિર્ધારને સાચા અર્થમાં સાર્થક કર્યાનો સંતોષ કૃષિ મંત્રીશ્રીએ વ્યક્ત કરતા વડાપ્રધાનશ્રી, કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી અને તમામ અધિકારીશ્રીઓ, સબંધિત એજન્સીઓને ઉત્તમ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.
નિતિન રથવી
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed