News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં નાંદની જૈન મઠની હથીણી માધુરીને પરત લાવવા માટે હજારો લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. બોમ્બે હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હથીણીને ગુજરાતના જામનગર ખાતે અંબાણી પરિવારના વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર ‘વનતારા’ મોકલી દેવામાં આવી છે. આ નિર્ણયનો કોલ્હાપુરમાં ભારે વિરોધ થયો હતો અને લોકોએ ભાવુક થઈને હથીણીને વિદાય આપી હતી. આ ઉપરાંત ગુસ્સે ભરાયેલા લોકોએ પોલીસની ગાડીઓ પર પથ્થરમારો પણ કર્યો હતો. હથીણીને પરત લાવવા માટે નાંદનીથી કોલ્હાપુર સુધી 45 કિલોમીટરની પદયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
હથીણી માધુરીને પરત લાવવા માટે પદયાત્રા
હથીણીને પરત લાવવા માટે રવિવારે સવારે 5 વાગ્યે નાંદનીથી કોલ્હાપુર સુધી 45 કિલોમીટરની પદયાત્રા શરૂ થઈ હતી. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં પૂર્વ સાંસદ અને સ્વાભિમાની શેતકરી સંગઠનના પ્રમુખ રાજુ શેટ્ટી પણ જોડાયા હતા. તેમણે કહ્યું કે આ અન્યાય છે અને અમારી માધુરીને પરત મઠમાં લાવવી એ જ ન્યાય હશે. આ પદયાત્રામાં દરેક ધર્મના લોકો જોડાયા હતા અને સાંજે 5 વાગ્યે કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું.
આ સમાચાર પણ વાંચો: Mumbai Dance Bar Raid:મુંબઈ ક્રાઈમ બ્રાંચના દરોડા: તાડદેવ, અંધેરી અને ઘાટકોપરમાં ઓર્કેસ્ટ્રાના નામે ચાલતા ડાન્સબાર પર કાર્યવાહી
આંખોમાં આંસુ સાથે વિદાય લીધી હતી માધુરીએ
રાજુ શેટ્ટીએ કહ્યું કે જ્યારે માધુરી ગામથી જઈ રહી હતી, ત્યારે તેની આંખોમાં આંસુ હતા. તેણે મંદિરને પ્રણામ કર્યા અને પછી ગામને અલવિદા કહ્યું. આ માત્ર એક પ્રાણી નથી, પરંતુ અમારી સંસ્કૃતિ અને પરંપરાનો એક ભાગ છે. તેમણે આગળ જણાવ્યું કે જે મઠે 700 વર્ષોથી હાથીઓની સેવા કરી અને દેખભાળ રાખી, તેના પર ભીખ મંગાવવા જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા.
વનતારાને ગણાવ્યું ફેક અને તસ્કરીનો આરોપ લગાવ્યો
રાજુ શેટ્ટીએ વનતારાને ફેક સંસ્થા ગણાવી અને તસ્કરીનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે એવું લાગી રહ્યું છે કે મહારાષ્ટ્ર અને દેશ મુકેશ અને અનંત અંબાણીના ગુલામ બની ગયા છે. 1200 વર્ષ જૂના નાંદની મઠે 700 વર્ષોથી હાથીઓની સેવા અને પાલન-પોષણની પરંપરા જાળવી રાખી છે. માધુરી 35 વર્ષોથી ખેડૂતોના ખેતરોમાં રમી રહી છે, પરંતુ તેણે ક્યારેય કોઈને નુકસાન પહોંચાડ્યું નથી. આજે તેને દૂર મોકલી દેતા આખા ગામને આઘાત પહોંચ્યો છે.