News Continuous Bureau | Mumbai
- મ.ન.પા.માં CNG બસ સેવાના અનુદાન તરીકે કિલોમીટર દીઠ હવે રૂ. ૧૮ મળશે.
- નગરપાલિકાઓને અનુદાન તરીકે કિલોમીટર દીઠ હવે રૂ. ૨૨ મળશે.
- ઇ-બસના સંચાલન અનુદાનમાં પણ વૃદ્ધિ.
Green Clean Gujarat : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે(bhupendra patel) ગ્રીન ક્લીન ગુજરાતની નેમ સાથે રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓમા સંચાલિત શહેરી પરિવહન સેવાની CNG અને ઇ-બસો માટે આપવામાં આવતા અનુદાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ(Narendra Modi) ગ્રીન ગ્રોથ માટે પર્યાવરણ પ્રિય ટ્રાન્સપોર્ટેશન(transportation) સુવિધાઓ અને બિન પરંપરાગત ઊર્જાના ઉપયોગને વેગ આપવા આહવાન કરેલું છે. ગુજરાતે વડાપ્રધાનશ્રીના આહવાનને ઝિલી લઈને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત હાલ ૩ મહાનગરપાલિકાઓ અને ‘અ’ વર્ગની ૧૦ નગરપાલિકાઓના ૧૦૬૮ CNG અને ૩૮૨ ઇ-બસ(electric bus) શહેરી પરિવહન સેવામાં કાર્યરત કરેલી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ બસ સેવાઓ માટે જે તે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને PPP ધોરણે પરિવહન સેવાઓના સંચાલન અનુદાન પેટે આપવામાં આવતી રકમમાં વધારો કરવાનો અભિગમ અપનાવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે 19 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણય અનુસાર, મહાનગરપાલિકાઓને CNG બસના સંચાલન અન્વયે અગાઉ કિલોમીટર દીઠ અપાતા રૂ. ૧૨.૫૦ નાં સ્થાને હવે રૂ. ૧૮ આપવામાં આવશે. તેમજ વાયેબિલિટી ગેપ ફંડિંગ-ઘટ ના અગાઉ મહત્તમ ૫૦ ટકા મળતા હતા તેમાં ૧૦ ટકાનો વધારો કરીને હવે ૬૦ ટકા આપવામાં આવશે.
આ ઉપરાંત જે ‘અ’ વર્ગની નગરપાલિકાઓમાં હાલ CNG બસ સેવાનું શહેરી પરિવહન સેવામાં PPP ધોરણે સંચાલન થાય છે તેવી નગરપાલિકાઓને કિલોમીટર દીઠ રૂ. ૨૨ અનુદાન પેટે અપાશે તેમજ VGF ઘટ ના વધુમાં વધુ ૫૦ ટકા મળતા હતા તે વધારીને ૭૫ ટકા પ્રમાણે અપાશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઇલેક્ટ્રીક વાહનોનો પણ શહેરી પરિવહન સેવામાં વ્યાપ વધે તેવા આશયથી જે મહાનગરપાલિકાઓમાં ઇ-બસ સેવાઓ PPP ધોરણે હાલ કાર્યરત છે ત્યાં કિલોમીટર દીઠ રૂ. ૨૫ નાં સ્થાને હવે રૂ. ૩૦ અનુદાન આપવાનો નિર્ણય પણ કર્યો છે. એટલું જ નહીં, આવી ઇ-બસ સેવાઓના સંચાલનમાં ઘટ ની જે રકમ અગાઉ ૫૦ ટકા આપવામાં આવતી હતી તે હવે વધુમાં વધુ ૬૦ ટકા મળશે.
ગુજરાતમાં(Gujarat) ‘અ’ વર્ગની નગરપાલિકાઓમાં ઇ-બસની શહેરી પરિવહન સેવાઓ માટે પહેલીવાર કિલોમીટર દીઠ રૂ. ૪૦ અને ઘટ ની રકમના વધુમાં વધુ ૭૫ ટકા અનુદાન આપવાનો જનહિતકારી નિર્ણય પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્ય સરકારે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અંતર્ગત કૂલ ૨,૮૬૪ બસની કરેલી જોગવાઈઓ સામે ૬૬૨ ઇ-બસ અને ૧૦૯૭ CNG એમ કુલ ૧૭૫૯ બસોને મંજૂરી આપવામાં આવેલી છે. આવી મંજૂર થયેલ બસ સેવા પૈકી ૩૮૨ ઇ-બસ અને ૧૦૬૮ CNG બસ હાલ કાર્યરત છે.