News Continuous Bureau | Mumbai
Nagpur RSS Threat। મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની ઓફિસ અને ડો. હેડગેવાર સ્મૃતિ મંદિર પર રેડિયોએક્ટિવ પદાર્થ ફેલાવવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. નાગપુર પોલીસ કમિશનરને મળેલી એક અનામી ચિઠ્ઠીમાં દાવો કરવામાં આવ્યો છે કે શહેરના મહત્વના સ્થળો પર જોખમી રેડિયોએક્ટિવ પદાર્થ મુકવામાં આવ્યો છે. આ પત્ર બાદ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને NDRF એ સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
પત્રમાં જોખમી ‘સીઝિયમ-137’ નો ઉલ્લેખ
પોલીસ કમિશનર રવિન્દ્રકુમાર સિંઘલની ઓફિસમાં ટપાલ દ્વારા એક અંગ્રેજીમાં લખાયેલ પત્ર આવ્યો હતો. ‘DSS’ નામના સંગઠને મોકલેલા આ પત્રમાં દાવો કરાયો છે કે તેમણે RSS મુખ્યાલય, સ્મૃતિ મંદિર, ભાજપ કાર્યાલય અને મેટ્રો ટ્રેનની સીટો પર ‘સીઝિયમ-137’ નામનો ખતરનાક રેડિયોએક્ટિવ પાવડર ફેલાવ્યો છે. સીઝિયમ-137 એ ન્યુક્લિયર રિએક્ટરમાંથી નીકળતી અત્યંત જોખમી ધાતુ છે, જેનાથી નિકળતા ગામા કિરણો માનવ સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે.
મેટ્રો અને બસો પણ નિશાના પર હોવાનો દાવો
ધમકી આપનાર શખ્સે દાવો કર્યો છે કે તેમને આ પદાર્થ એક કેન્સર હોસ્પિટલમાંથી મળ્યો છે. પત્રમાં અધિકારીઓને પડકાર ફેંકતા લખવામાં આવ્યું છે કે, “જ્યારે તારાપુર એટોમિક પાવર સ્ટેશનના નિષ્ણાતો અહીં આવીને તપાસ કરશે, ત્યારે તમને સત્યની ખબર પડશે.” આ ઉપરાંત પત્રમાં તાજેતરમાં મેટ્રો સ્ટેશન પાછળ મળી આવેલા ડિટોનેટર અને જિલેટીન સ્ટીકની જવાબદારી લેતા તેને માત્ર ‘ટ્રેલર’ ગણાવ્યું હતું.
સઘન તપાસ અને કડક સુરક્ષા
પત્ર મળતાની સાથે જ ATS એ પરમાણુ ઉર્જા નિષ્ણાતો અને NDRF સાથે મળીને RSS મુખ્યાલય અને મેટ્રો સ્ટેશનોની તપાસ કરી હતી. જોકે, પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ પણ રેડિયોએક્ટિવ પદાર્થ કે વાંધાજનક વસ્તુ મળી આવી નથી. હાલમાં નાગપુર પોલીસ અને CISF ના 150 જવાનોએ મુખ્યાલયની સુરક્ષામાં અનેક સ્તરીય ઘેરો મજબૂત કર્યો છે અને સદર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
👉 આ સમાચાર વાચો:
Mumbai Local Update। મે મહિનામાં મુસાફરી થશે આરામદાયક! મુંબઈ લોકલમાં વધશે AC સર્વિસ અને ૧૫ ડબ્બાની ટ્રેનો, જાણો નવું ટાઈમટેબલ
