News Continuous Bureau | Mumbai
અંજનાબેન વસાવાએ જણાવ્યું હતું કે, તેઓ પહેલાં પરંપરાગત ખેતી કરતા હતા, પરંતુ જયારે તેમણે ખેતીમાં રસ લેવાનું શરૂ કર્યું, ત્યારે પ્રાકૃતિક ખેતીમાં વિશેષ ઝુકાવ થયો. હાલમાં હું પતિ સહિત પરિવારના અન્ય સભ્યો સાથે સાત એકરમાં પ્રાકૃતિક ખેતી કરૂ છું. સાથે જ, આજુબાજુની મહિલાઓને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરીને દસ સભ્યોનું સખી મંડળ બનાવ્યું છે, જે તમામ બહેનો પણ છેલ્લા બે વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે.
‘મારા ખેતરમાં એકસાથે ૨૦ થી ૨૫ પ્રકારના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં અનાજ, કઠોળ, શાકભાજી અને ફળોની ખેતી કરીએ છીએ. ફળોની ખેતીમાં દાડમ, ચીકુ, જામફળ અને સીતાફળ, જ્યારે અનાજમાં જુવાર, બાજરી, મકાઈ અને ચોખાના પાકો છે. ઉપરાંત, તુવેર, મગ, ચણા, ચોળી અને અડદ જેવા કઠોળ પાક પણ ઉગાડીએ છીએ. આ ખેતીના કારણે ઉત્પાદન ખર્ચ ઓછો રહે છે, અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી પાકનું ઉત્પાદન પણ વધુ મળી રહ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.
અંજનાબેન કહે છે કે, પ્રાકૃતિક કૃષિમાં થોડી વધુ મહેનત જોઈએ, બાકી ઉત્પાદન ખર્ચ તો નહિવત હોય છે. આ ખેતીના કારણે મહત્તમ અને બમણું ઉત્પાદન મળે છે, બમણી આવક થાય છે. પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યને રક્ષણ મળે છે, તેમજ પાણીની બચત થાય છે. આ ઉપરાંત, જમીનની ભેજ સંગ્રહશક્તિ પણ વધે છે. જેથી જમીન બંજર થતી નથી. પ્રત્યેક વર્ષમાં સારો પાક મેળવી શકાય છે.
આ સમાચાર પણ વાંચો : સરસ મેળામાં કલકત્તાના જનની સખી મંડળની બહેનોને મળ્યો સુરતવાસીઓનો સહયોગ ; ૩૪ પ્રકારના પરફ્યુમનું વેચાણ કરીને વર્ષે કરે છે લાખોની કમાણી
તેમણે વધુમાં કહ્યું છે કે, પ્રાકૃતિક એટલે સંપૂર્ણપણે પ્રાકૃતિક જ ખેતી કરવી એવો અમારો નિર્ધાર છે. ખેતરમાં જવાનું, પ્રાકૃતિક દવા અને ખાતર જાતે જ તૈયાર કરવાનું. પ્રાકૃતિક ખેતીની સાથે વર્મી કંપોસ્ટ ખાતર પણ જાતે બનાવીએ છીએ. રસાયણ વિનાની પ્રાકૃતિક ખેતી સાથે પશુપાલન પણ કરીએ છીએ એના છાણમાંથી જ ખાતર બનાવી ઉપયોગ કરીએ છીએ.
અંતે તેમણે કહ્યું કે,આવી રીતે પ્રથમ વખત સરસ મેળામાં વેચાણ કરવા માટે આવ્યાં છીએ, જેમાં સારો પ્રતિસાદ મળ્યો, એક દિવસ ૮ થી ૧૦ હજારનું વેચાણ થઇ રહ્યું છે. સરકારના આભારી છીએ કે અમે બનાવેલી ચીજવસ્તુઓનું વેચાણ કરવા બજાર અને માર્કેટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવી છે.
મહિલા ખેડૂતના પતિ ફતેસિંગભાઈ વસાવાએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી અપનાવવાથી આવક બમણી થઈ છે. પ્રાકૃતિક ખેતી દ્વારા વર્ષે લગભગ રૂ.૩.૫૦ લાખનો ચોખ્ખો નફો મળે છે, જ્યારે પશુપાલન વ્યવસાયથી રૂ.૫ લાખની વધારાની આવક પ્રાપ્ત થાય છે. આ રીતે, પશુપાલન અને પ્રાકૃતિક ખેતી દ્વારા સંયુક્ત રીતે વર્ષમાં કુલ રૂ.૯.૫૦ લાખની આવક મેળવી રહ્યા છે. તેથી, તમામ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું જોઈએ, જેથી ખર્ચ ઘટાડીને વધુ નફાકારક ખેતી કરી શકાય.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.