ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
08 ઓક્ટોબર 2020
કોરોના મહામારીને કારણે હજી પણ રાજ્યમાં શાળાઓ બંધ છે પરંતુ ઓનલાઇન એજ્યુકેશન શરૂ છે. છેલ્લાં કેટલાંય સમયથી શાળા સંચાલકો-વાલીઓ અને રાજ્ય સરકાર વચ્ચે ફી મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. વાલીઓના લાંબા સંઘર્ષ બાદ રાજ્ય સરકારે 25 ટકા ફી માફી અંગેની જાહેરાત કરી હતી. આ મામલે રાજ્યનાં શિક્ષણ વિભાગે પરિપત્ર પણ જાહેર કર્યો છે. જેમાં તમામ બોર્ડની શાળાઓને શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે, “2020-21માં શાળાઓ ફી નહીં વધારી શકે. શાળાઓ માત્ર ટ્યૂશન ફી જ લઇ શકશે જેમાં 25 ટકા રાહત આપવી પડશે. જો વાલી ફી મોડી ભરે તો શાળાઓ દંડ પણ નહીં વસૂલી શકે.”
જો કે અહીં પ્રશ્ન એ પણ થાય છે કે કોરોના મહામારીમાં સ્કૂલો શરૂ ન હોવા છતાં વાલીઓ ફી ભરવા તૈયાર છે પરંતુ તેઓની ફી માં 50 ટકા રાહત આપવામાં આવે તેવી માંગ કરી રહયાં છે. તેમ છતાં શાળા સંચાલકોની મનમાની સામે રાજ્ય સરકારે નમતું મુક્યું છે.
આ પરિપત્રમાં 2019-20 ની જો ફી બાકી હોય તો તે પણ 31 ઓક્ટોબર સુધી ભરપાઈ કરવાનો નિર્દેશ છે. 31 ઓક્ટોબર સુધીમાં વાલીઓ ફી ના ભરી શકે તો સ્કૂલ સમક્ષ કારણ રજૂ કરવું પડશે. જે મામલે શાળા સંચાલકોએ હકારાત્મક નિવારણ લાવવાનું રહેશે. જો સામાન્ય સંજોગોમાં વાલી સક્ષમ ના હોય તો શાળા સંચાલકો પાસે વાલીએ રજૂઆત કરવાની રહેશે. વાલીઓ અનુકૂળતાએ ફી ભરી શકે તેવો પણ આ ઠરાવમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે, “વાલીઓ પોતાની અનુકૂળતાએ શૈક્ષણિક વર્ષ 2020-21માં ફી ની રકમ માસિક ધોરણે અથવા તો એક સાથે પણ ભરી શકશે. અત્રે નોંધનીય છે કે આ પરિપત્ર ગુજરાતમાં આવેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, CBSE, ICSE, IB અને અન્ય બોર્ડ સંલગ્ન તમામ ખાનગી શાળાઓને લાગુ પડશે..
