News Continuous Bureau | Mumbai
Sunetra Pawar મહારાષ્ટ્રના રાજકારણમાં અજિત પવારના નિધન બાદ આવેલા પલટાએ સૌને ચોંકાવી દીધા છે. સુનેત્રા પવારના ઉપમુખ્યમંત્રી તરીકેના શપથગ્રહણને લઈને શિવસેના (UBT) એ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ઉદ્ધવ સેનાએ દાવો કર્યો છે કે સુનેત્રા પવારને આટલી ઉતાવળમાં પદ સોંપવા પાછળ ભાજપનું ‘માસ્ટરમાઈન્ડ’ મગજ કામ કરી રહ્યું છે, જેનો મુખ્ય હેતુ પવાર પરિવારની એકતા અને બંને NCP જૂથોના વિલીનીકરણને રોકવાનો છે.
શરદ પવાર અંધારામાં અને સુનેત્રા મુંબઈ રવાના
એક સમાચારપત્ર માં એવો દાવો કરવામાં આવ્યો છે કે સુનેત્રા પવારે બારામતીથી મુંબઈ જવા માટે કોઈને જાણ કરી નહોતી. શરદ પવાર અને સુપ્રિયા સુલે સહિત પરિવારના કોઈ સભ્યને શપથવિધિ વિશે ખ્યાલ નહોતો. અજિત પવારના અવસાનના માત્ર ચોથા દિવસે જ રાજકારણમાં સક્રિય થવાના આ નિર્ણયને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. ભાજપના નેતૃત્વની સાથે સુનીલ તટકરે અને પ્રફુલ્લ પટેલ પણ વિલીનીકરણ ના પક્ષમાં ન હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
12 ફેબ્રુઆરીની વિલીનીકરણની તારીખ પર બ્રેક
ચર્ચાઓ એવી હતી કે 12 ફેબ્રુઆરીએ બંને NCP એક થઈ જવાની હતી, પરંતુ અજિત પવારના આકસ્મિક નિધને સ્થિતિ બદલી નાખી છે. શિવસેનાએ આક્ષેપ કર્યો છે કે સુનેત્રા પવારને સત્તાની આગલી હરોળમાં બેસાડવામાં આવ્યા છે, પરંતુ ‘સ્ટીયરિંગ’ તો દેવેન્દ્ર ફડણવીસના હાથમાં જ છે. ફડણવીસની મરજી પર જ સુનેત્રા પવાર અને એકનાથ શિંદે પોતાનું અસ્તિત્વ ટકાવી રહ્યા છે તેવું આકરૂં વિધાન પણ કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : India GDP Growth 2026: ભારતની આર્થિક તાકાતનો ડંકો: GDP ગ્રોથમાં અમેરિકાને પછાડ્યું, એલોન મસ્કે કહી આવી વાત
હિન્દુ રીતિ-રિવાજોની અવગણનાનો આક્ષેપ
ઉદ્ધવ સેનાએ વધુમાં જણાવ્યું કે, પતિના અંતિમ સંસ્કારની વિધિઓ હજુ પૂરી થઈ નથી ત્યાં જ સુનેત્રા પવાર રાજકારણમાં સક્રિય થયા છે, જે હિન્દુ રીતિ-રિવાજોની અવગણના સમાન છે. એક તરફ તેઓ ‘સનાતની મિજાજ’ ધરાવતા ભાજપ સાથે છે, તો બીજી તરફ આ પગલું વિરોધાભાસી છે. શિવસેનાએ આશંકા વ્યક્ત કરી છે કે સુનેત્રા પવાર કદાચ ‘ગૂંગી ગુડિયા’ સાબિત ન થાય અને આગામી દિવસોમાં ભાજપના આયોજન મુજબ ખુલીને સામે આવે.