News Continuous Bureau | Mumbai
UPSC CSE 2024 :
- સ્પીપા ખાતે તાલીમ મેળવીને સફળ થયેલા ૨૬ તાલીમાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર વહીવટમાં ટેકનોલોજીના ઉપયોગ થકી લોકોપયોગી કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા પર હંમેશાં ભાર મૂક્યો :- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:-
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પીપા અમદાવાદ ખાતે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૨૪માં સફળ થયેલા તાલીમાર્થીઓને સન્માનિત કર્યા હતા.
યુપીએસસીમાં સફળતા મેળવનાર તાલીમાર્થીઓને શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જાહેર વહીવટ ક્ષેત્રે પોતાની ફરજો અદા કરતા સામાન્ય માણસને મદદરૂપ થવાનો ભાવ કેન્દ્ર સ્થાને હોવો જોઈએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જાહેર વહીવટમાં ટેકનોલોજીના ઉપયોગ થકી લોકોપયોગી કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા પર હંમેશાં ભાર મૂકે છે.
મુખ્યમંત્રીશ્રીએ સફળ થયેલા તાલીમાર્થીઓને તેમની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખીને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી જાહેર વહીવટ ક્ષેત્રે તેમની ફરજો અદા કરવા અનુરોધ કર્યો હતો. વડાપ્રધાનશ્રીના દૂરંદેશી નેતૃત્વમાં દેશમાં સેમિકન્ડકટર જેવા નવીન ક્ષેત્રોથી લઈને નાગરિકોની પાયાની જરૂરિયાતો સુધીનાં તમામ ક્ષેત્રે અવિરત વિકાસ જોવા મળી રહ્યો છે, એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આપણી સંસ્કૃતિ અને વારસાનું સંવર્ધન થઈ રહ્યું છે. ‘કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત જળ સંરક્ષણ હોય કે આવા અન્ય અભિયાનો હોય, પ્રજાજનો આજે સ્વયંભૂ જાગૃત થઇને રાષ્ટ્રપ્રથમના ભાવ સાથે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં પોતાનું યોગદાન આપવા આગળ આવી રહ્યા છે.
UPSC CSE 2024 ની પરીક્ષામાં સફળ થયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ સિવિલ સર્વિસ પરીક્ષાની તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓ સાથે આજે અમદાવાદ સ્થિત સ્પીપા સંસ્થા ખાતે સંવાદનો અવસર પ્રાપ્ત થયો. ઉત્તીણ થયેલ સૌ વિદ્યાર્થીઓને સન્માનિત કરીને અભિનંદન પાઠવ્યા.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ… pic.twitter.com/5dPi457yfn
— Bhupendra Patel (@Bhupendrapbjp) May 3, 2025
સ્પીપાના ડાયરેકટર જનરલ શ્રી હારિત શુક્લા દ્વારા સ્વાગત પ્રવચન દ્વારા સૌને આવકારવામાં આવ્યા હતા તથા સંસ્થાના ભાવિષ્યલક્ષી આયોજનની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. તેમણે સિવિલ સર્વિસ પરીક્ષાઓમાં સફળ થતા ઉમેદવારોને રાજ્ય સરકાર દ્વારા અપાતી સહાયમાં કરવામાં આવેલા વધારાની વિગતો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની વિવિધ સહાય યોજનાઓ અને સ્પીપા જેવી સંસ્થાઓ ગુજરાતના યુવાઓના સામર્થ્યને યોગ્ય મંચ પૂરો પાડીને તેમને સફળતાના શિખરો સર કરવામાં સંપૂર્ણ સહયોગ પૂરો પાડે છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Local Train Updates : આવતીકાલે ‘નો મેગા બ્લોક…’ પણ સોમવારે નાગરિકો માટે ઓફિસ પહોંચવું મુશ્કેલ બનશે, ખોરવાઈ શકે છે મુંબઈની લોકલ ટ્રેનો! જાણો કારણ…
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના ઇતિહાસમાં યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૨૪માં સર્વશ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થયું છે. સરદાર પટેલ લોક પ્રસાશન સંસ્થા (સ્પીપા) ખાતે તાલીમ મેળવીને યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૨૪માં કુલ ૨૬ તાલીમાર્થીઓ સફળ થયા છે.
સન્માન સમારોહમાં સન્માનિત થયેલા તાલીમાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. આ પ્રસંગે સફળ ઉમેદવારોની સિદ્ધિઓ, તૈયારીઓ અને સ્પીપાની વ્યવસ્થા તથા સુવિધાઓ દર્શાવતી ટૂંકી ફિલ્મનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, પૂર્વ મુખ્ય સચિવ શ્રી શ્રી પી.કે. લહેરી, તાલીમાર્થીઓના પરિવારજનો, સ્પીપાના અધિકારી – કર્મચારી ગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.