News Continuous Bureau | Mumbai
Manikrao Kokate Resignation અજિત પવારની NCP ના દિગ્ગજ નેતા અને મહારાષ્ટ્રના મંત્રી માણીકરાવ કોકાટે ની મુશ્કેલીઓ વધી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. બીજી તરફ, છેતરપિંડીના કેસમાં કોર્ટે સજા યથાવત રાખતા નાસિક પોલીસ ધરપકડનું વોરંટ લઈને મુંબઈની લીલાવતી હોસ્પિટલ પહોંચી ગઈ છે, જ્યાં કોકાટે હાલ સારવાર હેઠળ છે.
હોસ્પિટલમાંથી જ થશે ધરપકડ?
નાસિક પોલીસની એક વિશેષ ટીમ હાલ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ડેરો નાખીને બેઠી છે, જ્યાં મંત્રી માણીકરાવ કોકાટે સારવાર હેઠળ છે. આજે તેમનો મહત્વનો એન્જિયોગ્રાફી ટેસ્ટ થવાનો છે અને પોલીસ તંત્ર મેડિકલ રિપોર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. જો આ ટેસ્ટનો રિપોર્ટ નોર્મલ આવશે તો ડોક્ટરો તેમને હોસ્પિટલમાંથી રજા આપી શકે છે. એસીપી સંદીપ મિટકેના નેતૃત્વમાં પોલીસ ટીમે પહેલેથી જ ડોક્ટરોના નિવેદન નોંધી લીધા છે અને જેવી તેમને હોસ્પિટલમાંથી રજા (ડિસ્ચાર્જ) મળશે, કે તરત જ તેમની સામે નીકળેલા બિન-જામીનપાત્ર વોરંટના આધારે અટકાયત કરવાની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
આ સમગ્ર વિવાદ ૧૯૯૫ના સમયનો છે, જેમાં કોકાટે પર આર્થિક છેતરપિંડીના ગંભીર આરોપો લાગેલા છે. મુખ્ય આરોપ મુજબ, ૧૯૯૫માં કોકાટેએ સત્તાવાર રીતે પોતાની આવક ઓછી દર્શાવીને ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા અને તેના આધારે ઇકોનોમિકલી વીકર સેક્શન (EWS) ક્વોટા હેઠળ ગેરકાયદેસર રીતે બે ફ્લેટ મેળવ્યા હતા. આ જાળસાજીના કેસમાં લાંબી કાનૂની લડત બાદ અદાલતે તેમને દોષિત ઠેરવી ૨ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. નોંધનીય છે કે ઉપરની અદાલતે પણ આ સજાને યથાવત રાખી હોવાથી હવે તેમની પાસે ધરપકડથી બચવાનો કોઈ કાયદાકીય માર્ગ રહ્યો નથી.
રાજકીય ગરમાવો
વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડીએ આ મુદ્દે સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે. સંજય રાઉતે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “ભ્રષ્ટાચારીઓને મંત્રી બનાવવાનું આ પરિણામ છે.” બીજી તરફ, સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ સ્પષ્ટ કર્યું છે કે કાયદો દરેક માટે સમાન છે અને કોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Dadar Station: મુંબઈના દાદર સ્ટેશન પાસે હાઈવોલ્ટેજ ડ્રામા: એક બિલ્ડિંગ પરથી બીજી પર કુદકા મારતા વ્યક્તિ ને કારણે અફરાતફરી, ૨ કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
વહીવટી ફેરફાર
: માણીકરાવ કોકાટેના રાજીનામા બાદ તેમના ખાલી પડેલા વિભાગોનો વધારાનો હવાલો અન્ય મંત્રીઓને સોંપવામાં આવી શકે છે. આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓ પહેલા અજિત પવાર માટે આ એક મોટો રાજકીય ફટકો માનવામાં આવે છે, કારણ કે નાસિક પટ્ટામાં કોકાટેનો સારો પ્રભાવ છે.