News Continuous Bureau | Mumbai
BMC Mayor Race મુંબઈ મહાનગરપાલિકામાં મેયર પદને લઈને અત્યારે ભારે સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે ભાજપ અને એકનાથ શિંદે જૂથ મળીને મેયર બનાવશે, પરંતુ હવે સમાચાર મળી રહ્યા છે કે ભાજપ અને ઉદ્ધવ ઠાકરે જૂથ (Shiv Sena UBT) વચ્ચે વાતચીત ચાલી રહી છે. આ ચર્ચા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એકનાથ શિંદેની ‘બાર્ગેનિંગ પાવર’ ને ઓછી કરવાનો હોવાનું મનાય છે.જોકે, ભાજપના નેતા પ્રવીણ દરેકરે આ વાતોને અફવા ગણાવી છે, પરંતુ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે જો ઠાકરે જૂથના 65 નગરસેવકો મેયરની ચૂંટણી વખતે ગેરહાજર રહે, તો ભાજપનો મેયર બહુમતી સાથે અને બિનહરીફ ચૂંટાઈ શકે છે.
વર્ષ 2017 ના ‘ઋણ’ ની થશે ભરપાઈ?
વર્ષ 2017 માં જ્યારે BMC ના પરિણામો આવ્યા હતા, ત્યારે ભાજપે મોટું મન રાખીને શિવસેના (ત્યારે અવિભાજિત) ના મેયર બનાવવા માટે ટેકો આપ્યો હતો અને પોતે સત્તામાં ભાગ લીધા વગર ‘પહેરેદાર’ ની ભૂમિકા ભજવી હતી. હવે 2026 માં ઠાકરે જૂથ તે જ રીતે ભાજપને મદદ કરીને જૂની મદદનો બદલો વાળી શકે છે તેવી અટકળો તેજ થઈ છે. આનાથી શિંદે જૂથ દ્વારા કરવામાં આવતી ‘અઢી વર્ષના મેયર પદ’ ની માંગને દબાવી શકાય છે.
શું છે બેઠકોનું ગણિત?
મુંબઈમાં બહુમતી માટે 114 બેઠકોની જરૂર છે:
ભાજપ: 89 બેઠકો
ઉદ્ધવ ઠાકરે જૂથ (UBT): 65 બેઠકો
એકનાથ શિંદે જૂથ: 29 બેઠકો
કોંગ્રેસ: 24 બેઠકો
જો ભાજપ અને શિંદે જૂથ મળે તો આંકડો 118 (89+29) થાય છે, જે બહુમતીથી વધુ છે. પરંતુ જો શિંદે જૂથ અઢી વર્ષ માટે મેયર પદ માંગે, તો ભાજપ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. આ જ કારણ છે કે ભાજપે ઠાકરે જૂથ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર શરૂ કર્યો હોવાનું મનાય છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
એકનાથ શિંદેની દોડધામ
પોતાના નગરસેવકો સુરક્ષિત રહે અને કોઈ ‘ઓપરેશન’ ન થાય તે માટે એકનાથ શિંદેએ તમામ 29 નગરસેવકોને હોટલમાં રાખ્યા છે. શિંદે આજે પાલિકામાં પોતાના પક્ષના નગરસેવકોના ‘ગઠબંધન’ ની સત્તાવાર નોંધણી કરાવવાની તૈયારીમાં છે. મુંબઈના મેયર પદની જંગ હવે ભાજપ વિરુદ્ધ શિંદે કે ભાજપ વિરુદ્ધ ઠાકરેને બદલે એક જટિલ ત્રિપાંખિયા જંગમાં ફેરવાઈ ગઈ છે.
