News Continuous Bureau | Mumbai
Sanjeev Arora Arrested ED। પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના મંત્રીમંડળના સભ્ય અને ઉદ્યોગ મંત્રી સંજીવ અરોરાની શનિવારે ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અગાઉ સવારથી જ ચંદીગઢ, દિલ્હી અને ગુરુગ્રામમાં મંત્રી અને તેમના સહયોગીઓના પાંચ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. અંદાજે સાત કલાકની તપાસ બાદ કેન્દ્રીય એજન્સીએ આ આકરું પગલું ભર્યું છે.
શું છે સમગ્ર કૌભાંડ?
સંજીવ અરોરા પર 100 કરોડ રૂપિયાથી વધુના કથિત ફર્જી GST ખરીદી બિલ બનાવવાનો અને મની લોન્ડરિંગનો આરોપ છે. ED દ્વારા ‘હેમ્પટન સ્કાઈ રિયલ્ટી લિમિટેડ’ નામની કંપનીના પરિસરમાં પણ તપાસ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નવો ગુનો દાખલ કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા એપ્રિલ મહિનામાં પણ ફેમા (FEMA) હેઠળ તેમના ઠેકાણાઓ પર તપાસ થઈ હતી.
મંત્રીના પુત્રની પણ ધરપકડની શક્યતા
અહેવાલો અનુસાર, સંજીવ અરોરાની સાથે તેમના પુત્રની પણ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ મંત્રીને ચંદીગઢ સ્થિત તેમના સરકારી આવાસ પરથી EDની ઓફિસે લઈ જવામાં આવ્યા હતા. સંજીવ અરોરા લુધિયાણા પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય છે અને પંજાબના મોટા ઉદ્યોગપતિઓમાં તેમની ગણના થાય છે. આ ધરપકડ બાદ પંજાબના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ભગવંત માનનો કેન્દ્ર સરકાર પર પ્રહાર
મંત્રીની ધરપકડ અને દરોડા બાદ મુખ્યમંત્રી ભગવંત માને સંગરુર ખાતે પત્રકાર પરિષદ યોજીને કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ સરકાર ED અને CBI જેવી એજન્સીઓને પોતાના રાજકીય હથિયાર તરીકે વાપરી રહી છે. માને ઉમેર્યું કે, “મહારાષ્ટ્ર હોય કે બંગાળ અને હવે પંજાબ, ભાજપ વિપક્ષી સરકારોને નિશાન બનાવી રહી છે, પરંતુ પંજાબ આવી રીતે ઝૂકશે નહીં.”
👉 આ સમાચાર વાચો:
Suvendu Adhikari West Bengal CM| બંગાળમાં નવા યુગની શરૂઆત શુભેન્દુ અધિકારીએ લીધા CM પદના શપથ; PM મોદીએ સ્ટેજ પરથી જનતાને કર્યા ‘દંડવત પ્રણામ’