News Continuous Bureau | Mumbai
Kingfisher Airlines employee salary વિજય માલ્યાની બંધ પડેલી કિંગફિશર એરલાઇન્સ ના ભૂતપૂર્વ કર્મચારીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કર્મચારીઓના બાકી પગાર અને અન્ય ભથ્થાં પેટે 311.67 કરોડ રૂપિયા ની ચૂકવણીને મંજૂરી આપી દીધી છે. વર્ષોથી પોતાની મહેનતની કમાણી માટે રાહ જોઈ રહેલા સેંકડો સ્ટાફ મેમ્બર્સને હવે આ રકમ વહેંચવામાં આવશે.
કેવી રીતે થઈ આ રકમની વ્યવસ્થા?
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તપાસ દરમિયાન વિજય માલ્યા અને કિંગફિશર એરલાઇન્સની અનેક મિલકતો અને શેર જપ્ત કર્યા હતા. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ જપ્ત કરાયેલા આ શેરોને વેચીને મળેલી રકમ શરૂઆતમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ને સોંપવામાં આવી હતી. જોકે, ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ (DRT) ના તાજેતરના આદેશ મુજબ, આ રકમમાંથી ૩૧૧ કરોડ રૂપિયા હવે કિંગફિશરના જૂના સ્ટાફના વર્ષોથી અટકેલા પગાર અને બાકી લેણાં ચૂકવવા માટે વાપરવામાં આવશે, જે કર્મચારીઓનો કાયદેસરનો હક છે.
ED ની તપાસમાં શું ખુલાસો થયો?
ED ની ઊંડી તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે કિંગફિશર એરલાઇન્સે બેંકો પાસેથી લીધેલી લોનનો ભારે દુરુપયોગ કર્યો હતો. કંપનીએ લોન જે હેતુ માટે લીધી હતી તેના બદલે તેને વિદેશી લીઝ પેમેન્ટ અને વિમાનના સ્પેરપાર્ટ્સ ખરીદવા જેવા અન્ય કાર્યોમાં ડાયવર્ટ કરી દીધી હતી. આ ગેરરીતિ બદલ ED એ PMLA હેઠળ અત્યાર સુધીમાં કુલ ૫,૦૪૨ કરોડ રૂપિયાની મિલકતો કામચલાઉ ધોરણે જપ્ત કરી છે, જ્યારે ૧,૬૯૪.૫૨ કરોડની અન્ય મિલકતો પણ એટેચ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી હજારો કર્મચારીઓમાં આશા જાગી છે કે તેમને વર્ષો બાદ ન્યાય મળશે.
આ સમાચાર પણ વાંચો : BMC Elections 2026: મુંબઈ ભાજપ એક્શન મોડમાં! BMC કબજે કરવા 20 સભ્યોની જંગી ટીમની જાહેરાત, જાણો કયા કયા દિગ્ગજોને સોંપાઈ જવાબદારી
ક્યારે મળશે પૈસા?
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ED એ ફંડ ટ્રાન્સફર કરી દીધું છે. હવે લિક્વિડેટર દ્વારા કર્મચારીઓની યાદી અને તેમના બાકી નીકળતા લેણાંની ચકાસણી કરીને ટૂંક સમયમાં તેમના બેંક ખાતામાં સીધા પૈસા જમા કરવામાં આવશે. આનાથી સેંકડો પરિવારોને આર્થિક મદદ મળશે.