ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય – ૧૧૧

by Akash Rajbhar
Purpose of Bhagavata and its mahatmya – 111
Purpose of Bhagavata and its mahatmya – 111
NewsContinuous
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય – ૧૧૧
Loading
/

જગતની કોઇ વસ્તુ સુંદર નથી. આંખમાં વિકાર છે એટલે વસ્તુ સુંદર લાગે છે. મનુષ્ય સૌંદર્ય પાછળ પાગલ બને છે,
પણ જે વ્યક્તિના સૌંદર્ય પાછળ પાગલ બન્યો હોય તેના મોઢા ઉપર બળિયા આવી જાય, તો તેનું મોઢું જોવુ ગમતું નથી. શરીરની
સુંદરતા નહિ, હ્રદયની સુંદરતા જુઓ. જગત કરતાં પણ જગતનો સર્જનહાર સુંદર છે. લોકો સૌંદર્ય જોવા કાશ્મીર જાય છે. પણ
કાશ્મીરને બનાવનાર મારો શ્યામસુંદર કેટલો સુંદર હશે? શ્રીકૃષ્ણ સુંદર છે, એમ વારંવાર વિચારવાથી ભક્તિનો ઉદય થાય છે.
નિત્યસુંદર એક ઈશ્ર્વર છે.
ઠાકોરજીનાં દર્શન કરવાથી, આંખ સફળ થાય છે. કર્દમ કહે છે:-મહારાજ! તમારા દર્શન કરવાથી મારી આંખ સફળ થઈ
છે. નાથ! તમને પ્રાપ્ત કરી સંસારસુખની માંગણી કરે તે મૂર્ખ છે. જે સંસારનું સુખ નરકમાં પડેલા કીડાઓ પણ ભોગવે છે. તેના
સુખની માગણી પરમાત્મા પાસે કરે એવો મૂર્ખ કોણ હોય? લૌકિક કામસુખની ઇરછા માટે શ્રીકૃષ્ણની આરાધના કરે, તે તુચ્છ છે.
હું આપની પાસે સ્ત્રીસંગ નહીં પણ સત્સંગ માંગુ છું. એવી સ્ત્રી આપો કે મને ભગવાન તરફ વાળે. એવી કન્યા પત્ની તરીકે મને
મળે કે મારા મનમાં કદાચ પાપ આવે, તો મને પાપ કરતાં અટકાવે અને પ્રભુના માર્ગમાં મને વાળે. મારું લગ્ન સંસાર સાગરમાં
ડૂબવા માટે નહીં, પણ તરવા માટે છે. કૃષ્ણસેવા મહાન ધર્મ છે. હું કામસુખ માંગતો નથી. શાસ્ત્રમાં પત્નીને કામપત્ની નહિ, પણ
ધર્મપત્ની કહી છે. નાથ, બ્રહ્માજીએ આજ્ઞા કરી છે, તેથી લગ્ન કરવાની મને ઇચ્છા થઈ છે. મને પત્ની જોઈતી નથી. મારે ઘરમાં
સત્સંગ જોઈએ છે. સ્ત્રીસંગ એ કામસંગ નહિ પણ સત્સંગ છે. ધર્મના આચરણ માટે પત્ની છે. એકલા પુરુષ કે એકલી સ્ત્રી
ધર્મમાર્ગમાં આગળ વધી શકતા નથી. એકલી નાવડી સંસારસાગર પાર કરી શકે નહિ. એકલો નાવિક પણ સંસારસાગર પાર કરી
શકે નહિ. સ્ત્રી એ નાવડી અને પુરુષ એ નાવિક છે. એકને બીજાનો સાથ જોઈએ. પુરુષમાં વિવેક હોય છે અને સ્ત્રીમાં સ્નેહ.
વિવેક અને સ્નેહ મળે તો ભક્તિ પ્રગટ થાય છે. પુરુષ કમાઈ જાણે છે. પુરુષ એ જ્ઞાનસ્વરૂપ છે. સ્ત્રીનું હ્રદય કોમળ હોવાથી તે
સમર્પણ કરે છે. સ્ત્રી એ ક્રિયાશક્તિ છે.
ઘણાંને આશ્ર્ચર્ય થશે કે કર્દમે આટલાં વર્ષોની તપશ્ચર્યા પછી ભગવાન પાસે મુક્તિ કેમ ન માંગી? કર્દમે વિચાર્યું,
હજારો જન્મની કામવાસનાઓ સુષુપ્ત રીતે મનમાં રહેલી હોય છે, તેને સંતોષી મનુષ્ય ઉપર જે ત્રણ પ્રકારનાં ઋણ હોય છે, તેમાંથી
મુક્ત થવું સારું અને તે પછી મુક્તિની ઈચ્છા રાખવી.
ભગવાને કહ્યું ,બે દિવસ પછી મનુ મહારાજ તમારી પાસે આવશે અને પોતાની પુત્રી દેવહુતિ તમને આપશે. પરમાત્માએ
આજ્ઞા કરી કે મનુ મહારાજ કન્યા લઈને આવે ત્યારે નાટક કરતા નહિ. આજકાલ લોકો નાટક બહુ કરે છે. મારે પરણવું નથી.
પતિ-પત્ની પવિત્ર જીવન ગાળે તો ભગવાનને ઇચ્છા થાય કે હું તેમને ત્યાં જન્મ લઉં.
હું તમારે ત્યાં પુત્રરૂપે આવીશ. જગતને મારે સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ કરવાનો છે. એવું કહી શ્રીહરિ ત્યાંથી વિદાય થયા.
નારદજી મનુ મહારાજ પાસે આવ્યા અને કહ્યું, તમે કર્દમને કન્યાદાન કરો.

ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય – ૧૧૦

મનુમહારાજ શતરૂપા અને દેવહૂતિ સાથે કર્દમઋષિના આશ્રમમાં આવે છે. કર્દમ વિવેકથી દેવહૂતિની પરીક્ષા કરે છે.
કર્દમઋષિએ ત્રણ આસનો બિછાવ્યા છે. તે ઉપર બધાને બેસવા કહે છે. મનુ શતરૂપા બેસે છે. દેવહૂતિ બેસતા નથી. કર્દમે કહ્યું-
આ ત્રીજું આસન દેવી તમારે માટે છે. તેમ કહી દેવહૂતિને બેસવા માટે આસન બતાવ્યું.
દેવહૂતિએ વિચાર કર્યો, ભવિષ્યમાં આ મારા પતિ થવાના છે. પતિએ પાથરેલા આસન પર બેસું તો પાપ લાગે. આસન
ઉપર બેસું એ મારો ધર્મ નથી. હવે જો ન બેસું તો આસન આપનારનું અપમાન થાય છે. તેથી દેવહૂતિ જમણો હાથ આસન ઉપર
રાખી, આસનની બાજુમાં બેસે છે.
બિચારી જૂના જમાનાની હતી. આજકાલની હોત તો આસન ઉપર પહેલેથી જ બેસી જાત. હાલમાં તો પત્નીઓ પતિઓને
બાબાને ઝુલાવવાનો હુક્મ કરે છે. છોકરાઓને પતિને સોંપીને ફરવા નીકળી જાય છે. આવું ન કરો.
આર્યનારીના સાચા સંસ્કાર આજ ભુલાતા જાય છે. આજ છોકરીઓની પરીક્ષા કરવાની રીતો જુદી છે.
કર્દમ વિચારે છે, છોકરી છે તો લાયક. લગ્ન કરવામાં વાંધો નથી.
મનુમહારાજે કહ્યું:-આ કન્યા ધર્મનું પાલન કરવા, હું આપને અર્પણ કરવા આવ્યો છું.
અતો ભજિષ્યે સમયેન સાધ્વીં યાવત્તેજો બિભૃયાદાત્મનો મે ।
અતો ધર્માન્ પારમહંસ્યમુખ્યાન્ શુકલપ્રોકતાન્ બહુ મન્યેડવિહિંસ્ત્રાન્ ।। ભા.સ્કં.3 અ.૨૨.શ્ર્લો.૧૯.
કર્દમઋષિ બોલ્યા:-લગ્ન કરવાની મને ઈરછા છે-પણ લગ્ન પહેલાં હું એક પ્રતિજ્ઞા કરવાનો છું, મારા લગ્ન વિલાસ માટે
નથી, પણ કામનો વિનાશ કરવા માટે છે. કામનો વિકાસ નહિ પણ કામનો વિનાશ એ લગ્નનું પ્રયોજન છે. કામભાવને એક ઠેકાણે
સમાવિષ્ટ કરી, કામને ભોગવી તેનો વિનાશ કરવો એ ગૃહસ્થાશ્રમનો આદર્શ છે. મારું લગ્ન કામના વિનાશ માટે છે.
કૃષ્ણમિલનમાં વિધ્ન કરનાર કામ છે. તે કામને મારે મારવો છે. એક પુત્ર થયા પછી હું લૌકિક સંબંધનો ત્યાગ કરીશ. એક પુત્ર
થયા પછી હું સંન્યાસ લઈશ.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More