News Continuous Bureau | Mumbai
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાતા તેની સીધી અસર શેરબજાર પર જોવા મળી છે. પાકિસ્તાનમાં બંને દેશો વચ્ચે ચાલી રહેલી શાંતિ વાટાઘાટો નિષ્ફળ જતાં સોમવારે ભારતીય શેરબજારમાં મોટો કડાકો બોલાયો હતો. સેન્સેક્સ અને નિફ્ટી ખુલતાની સાથે જ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગયા હતા, જેના કારણે રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે.છેલ્લા અઠવાડિયાની તેજી પર બ્રેક લાગતા આજે સેન્સેક્સ તેના અગાઉના બંધ 77,550 ની સરખામણીએ સીધો 75,937 ના સ્તર પર ખુલ્યો હતો અને થોડી જ સેકન્ડોમાં ૧૬૦૦ પોઈન્ટના ઘટાડા સાથે 75,868 પર આવી ગયો હતો. નિફ્ટી પણ ૨૪,૦૦૦ ની સપાટી તોડીને ૨૩,૫૮૯ પર ટ્રેડ કરી રહ્યો હતો.
ક્રૂડ ઓઈલના ભાવ વધતા બજારનું સેન્ટિમેન્ટ બગડ્યું
શેરબજારમાં આવેલા આ ભૂકંપ પાછળનું મુખ્ય કારણ કાચા તેલ ના ભાવમાં આવેલો ઉછાળો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતી જતી ચેતવણીઓને કારણે વૈશ્વિક બજારમાં અસ્થિરતા વધી છે. એશિયાઈ બજારોમાં પણ હાહાકાર જોવા મળ્યો હતો, જ્યાં જાપાનનો નિક્કી ૬૦૦ પોઈન્ટ અને હોંગકોંગનો હેંગસેંગ ૪૦૦ પોઈન્ટ તૂટ્યો હતો. ગિફ્ટ નિફ્ટી પણ ૨૮૦ પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Ranveer Allahbadia Girlfriend: શું રણવીર અલ્હાબાદિયા અને જૂહી ભટ્ટ રિલેશનશિપમાં છે? આઈપીએલની મેચમાં સાથે જોવા મળતા ચાહકોમાં શરૂ થઈ ચર્ચા
આ દિગ્ગજ શેરોમાં જોવા મળી મોટી ગિરાવટ
બજાર ખુલતાની સાથે જ બ્લુ-ચિપ કંપનીઓના શેરો લાલ નિશાનમાં આવી ગયા હતા. સૌથી વધુ પ્રભાવિત થયેલા શેરોની યાદી નીચે મુજબ છે:
IndiGo: 4% નો ઘટાડો
Maruti: 3% નો ઘટાડો
Bajaj Finance: 2.90% નો ઘટાડો
SBI: 2.80% નો ઘટાડો
Reliance: 2.70% નો ઘટાડો
HDFC Bank: 2.60% નો ઘટાડો
BSE ના લાર્જકેપ કેટેગરીના તમામ ૩૦ શેરો રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા હતા.
નિષ્ણાતોનો મત: રોકાણકારોએ શું કરવું?
બજારના નિષ્ણાતો માને છે કે જ્યાં સુધી હોર્મુઝ જળમાર્ગ અને યુએસ-ઈરાન સંબંધો પર કોઈ સ્પષ્ટતા નહીં આવે ત્યાં સુધી બજારમાં અસ્થિરતા જળવાઈ રહેશે. રોકાણકારોને અત્યારે ઉતાવળમાં વેચાણ ન કરવાની અને બજાર સ્થિર થાય ત્યાં સુધી રાહ જોવાની સલાહ આપવામાં આવી રહી છે. ક્રૂડની વધતી કિંમતો ભારત જેવા તેલ આયાતકાર દેશ માટે મોટું આર્થિક જોખમ ઉભું કરી રહી છે.