ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 સપ્ટેમ્બર 2020
માર્ચમાં લોકડાઉન લાગુ થયા બાદ મુંબઈ માંથી લાખોની સંખ્યામાં મજૂરો, કામદાર, કર્મચારીઓ પોતપોતાના વતનની વાટ પકડી હતી. પરંતુ વતનમાં કોઈ કામ ન મળતા અથવા કેટલાકને માલિકોએ પરત બોલાવતા લાખોની સંખ્યામાં પરપ્રાંતિયો મુંબઇ પાછાં ફરી રહયાં છે. મે- જુનમાં લોકડાઉનમાં છૂટછાટ અપાયા બાદ હવે આર્થિક રાજધાની મુંબઈમાં અન્ય રાજ્યોમાંથી પાછા ફરનારા મજૂરોની સંખ્યા વધવા લાગી છે. જૂન મહિનાથી ઓગસ્ટ સુધીમાં ત્રણ મહિનામાં લગભગ 25 લાખ જેટલા પ્રવાસીઓ વિશેષ ટ્રેનોમાં મુંબઈ પાછા ફર્યા હોવાની માહિતી મધ્ય અને પશ્ચિમ રેલવેએ આપી હતી.
મુંબઈમાં સૌથી વધારે લોકો બાંધકામ અને મેટ્રો ક્ષેત્રે જોડાયેલાં છે. કેટલાક મજૂરોને તો બિલ્ડરોએ 15 ટકાના પગાર વધારાની લાલચ આપીને મુંબઇ બોલાવ્યાં છે જેના કારણે બિલ્ડીંગ બાંધકામ શરૂ થઈ શક્યું છે. એવી જ રીતે અન્ય ક્ષેત્રમાં પણ લોકો પાછા ફરવા લાગ્યા છે. રેલ્વે વિભાગે આપેલી માહિતિ મુજબ , મધ્ય રેલવેમાં 16 લાખ પ્રવાસીઓ પાછા ફર્યા છે. જ્યારે 9 લાખ પ્રવાસીઓ પશ્ચિમ રેલવે દ્વારા પાછા ફર્યા છે.
આ બધા લોકો જૂન મહિનાથી શરુ કરાયેલી વિશેષ 230 ટ્રેનોમાં પાછા ફર્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં મુંબઈ તરફ આવતી બધી જ ટ્રેનોનું બુકિંગ લગભગ ફુલ હોવાની માહિતી પણ રેલવેના અધિકારીઓએ આપી હતી..
