News Continuous Bureau | Mumbai
LPG Crisis Management: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે હોર્મુઝની સામુદ્રધૂની પર સર્જાયેલા તણાવની સીધી અસર ભારતના એલપીજી (LPG) પુરવઠા પર પડી છે. એક મહિનાથી વધુ સમયથી આ મહત્વનો દરિયાઈ માર્ગ બંધ હોવાથી દેશમાં ગેસની અછત વર્તાઈ રહી છે. આ સંકટને પહોંચી વળવા કેન્દ્ર સરકારે હવે ઔદ્યોગિક ગેસના પુરવઠામાં કાપ મૂકીને સામાન્ય નાગરિકો માટે ઘરગથ્થુ પુરવઠાને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લીધો છે.પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નવા આદેશ મુજબ, કુલ એલપીજી જથ્થાના 70 ટકા હિસ્સો રાજ્યોને ફાળવવામાં આવ્યો છે. જે રાજ્યો પાઈપ દ્વારા કુદરતી ગેસ (PNG) ને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહ્યા છે, તેમને વધારાનો 10 ટકા ક્વોટા આપવામાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય લોકોને એલપીજી પરની નિર્ભરતા ઘટાડીને વૈકલ્પિક ઇંધણ તરફ વાળવાનો છે.
આ લોકોને સૌથી પહેલા મળશે LPG સિલિન્ડર
નવા નિયમો મુજબ, જે એકમોમાં એલપીજીનો ઉપયોગ અનિવાર્ય છે અને તેની જગ્યા PNG લઈ શકે તેમ નથી, તેમને પુરવઠામાં પ્રાથમિકતા આપવામાં આવશે. જે ઉદ્યોગોમાં એલપીજીનો ઉપયોગ ‘કાચા માલ’ તરીકે થાય છે, તેમને પણ રાહત આપવામાં આવશે. આ સિવાય સામાન્ય ગ્રાહકોને ઘરગથ્થુ વપરાશ માટે અવિરત પુરવઠો મળે તે માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને કડક સૂચના આપવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Hormuz Strait Toll: ક્રિપ્ટોકરન્સીનો તેલમાં પ્રવેશ! ઈરાને હોર્મુઝ પસાર કરવા માટે બિટકોઈન પેમેન્ટ કર્યું ફરજિયાત, જાણો શું છે નવો નિયમ
ઔદ્યોગિક વપરાશ પર 70% ની મર્યાદા
સ્ટીલ, મેટલ, ફાર્મા, ફૂડ પ્રોસેસિંગ અને ઓટોમોબાઈલ જેવા અનેક ક્ષેત્રોને હવે માર્ચ 2026 પહેલાના તેમના સરેરાશ વપરાશના માત્ર 70 ટકા જ પુરવઠો મળશે. આ પુરવઠો દૈનિક 0.2 મેટ્રિક ટન સુધી મર્યાદિત કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી ઉદ્યોગો પર સીધી અસર પડશે, પરંતુ સામાન્ય જનતાને સિલિન્ડર માટે લાંબી કતારોમાં ઉભા રહેવામાંથી મુક્તિ મળશે.
યુદ્ધ અને સીઝફાયરની સ્થિતિ
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ બાદ થોડો સમય સ્થિતિ થાળે પડી હતી, પરંતુ ઇઝરાયેલ-લેબનોન સંઘર્ષને કારણે ઈરાને ફરી હોર્મુઝનો માર્ગ બંધ કરી દીધો છે. આ કારણે ભારતમાં ગેસ સ્ટેશનોની બહાર કલાકો સુધી લોકોની ભીડ જોવા મળી હતી. આ સંકટને પહોંચી વળવા માટે સરકારે એલપીજી ઉત્પાદન વધારવા અને બુકિંગની સમયસીમા લંબાવવા જેવા અનેક કદમ ઉઠાવ્યા છે.