News Continuous Bureau | Mumbai
મેગાસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંતની સોના અને હીરાની જ્વેલરી તેમના નિવાસસ્થાનના લોકરમાંથી કથિત રીતે ચોરાઈ ગઈ છે. ચોરીની જાણ થતાં ઐશ્વર્યાએ ગયા મહિને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે 3.60 લાખની કિંમતના સોના અને હીરાના દાગીનાની ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. આ મામલામાં ઐશ્વર્યાએ તૈનામપેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ઐશ્વર્યા એ નોંધાવી ફરિયાદ
પોતાની ફરિયાદમાં ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે તેણે છેલ્લે 2019માં તેની બહેન સૌંદર્યાના લગ્નમાં ઘરેણાં પહેર્યા હતા. ચોરીના દાગીનામાં હીરાના સેટ, જૂના સોનાના દાગીના, નવરત્ન સેટ, નેકલેસ અને બંગડીઓનો સમાવેશ થાય છે. આ દાગીના બહેનના લગ્નમાં પહેર્યા બાદ લોકરમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ 10 ફેબ્રુઆરીએ જોયું તો ઘરેણા ન હતા.ઐશ્વર્યાએ જણાવ્યું કે 2019માં જ્યારે બહેનના લગ્ન થયા ત્યારે જ્વેલરી લોકર ત્રણ જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યું હતું. ઓગસ્ટ 2021 સુધીમાં, લોકર સેન્ટ મેરી રોડ એપાર્ટમેન્ટમાં હતું. જે બાદ તેને CIT કોલોનીમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું. જ્યાં ઐશ્વર્યા ધનુષ સાથે રહી હતી. આ પછી, એપ્રિલ 2022 માં, રજનીકાંત ના પોઈસ ગાર્ડન આવાસમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
પોલીસે શરૂ કરી તપાસ
મળતી માહિતી મુજબ ફેબ્રુઆરીમાં જ્યારે ઐશ્વર્યાએ લોકર ખોલ્યું ત્યારે ઘરેણાં ગાયબ હોવાથી તે ચોંકી ગઈ હતી. જે બાદ તેણે ઘરના કેટલાક નોકરો પર શંકા જતા તૈનામપેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તૈનામપેટ પોલીસે આઈપીસીની કલમ 381 હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.