ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 સપ્ટેમ્બર 2020
સૌથી લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના વરિષ્ઠ કલાકાર નટુકાકા હાલ બિમાર છે અને હજુ થોડો સમય સિરિયલમાં જોવા નહી મળે. પહેલા લોકડાઉનને કારણે શૂટીંગ અટકેલુ હતું. જે પછી સરકારે 60 વર્ષથી વધુ ઉમરના કલાકારોના શૂટીંગ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેને લીધે નટુ કાકા સિરીયલમાં દેખાયા નહોતા.
જોકે થોડા દિવસ પછી સરકારે મંજૂરી આપી દીધી હતી અને પરવાનગી મેળવ્યા બાદ તેમણે સેટ પર પરત ફરવાની ખુશી પણ વ્યક્ત કરી હતી. પરંતુ હાલ ઘનશ્યામ નાયક બિમાર છે અને તેમના ગળામાં તકલીફ છે. રિપોર્ટ અનુસાર ઘનશ્યામ નાયક હાલમાં હોસ્પિટલમાં દાખલ છે અને રવિવારના રોજ તેમના ગરદનના ભાગમાં સર્જરી કરવામાં આવી હતી, જે સર્જરી પછી લગભગ આઠ નાની ગાંઠ કાઢવામાં આવી હતી, એ ગાંઠ હવે ટેસ્ટ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવી છે. .આ અંગે ઘનશ્યામ નાયક એ કહ્યું હતું કે, ‘મને ઇશ્વર પર શ્રદ્ધા છે. પહેલા ત્રણ દિવસ અઘરા હતા, પણ હવે તબિયત સારી છે અને આજે જે કોઈ રિપોર્ટ આવશે તે પણ નોર્મલ આવશે એનો મને વિશ્વાસ છે. આ સર્જરી બાદ અભિનેતા થોડા દિવસો માટે આરામ કરશે અને ત્યારબાદ તે સેટ પર પરત ફરશે.
