પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
પ્રહલાદજીએ કહ્યું, અનેક જન્મોના અનુભવથી કહું છું, સંસારમાં સાચી શાંતિ કોઈને નથી.
ઘરમાં ભજન બરાબર થતું નથી. ઘરમાં નહિ, વનમાં જઈને ભજન કરવાનું છે. મારે એકાંતમાં જઇ ભજન કરવું છે.
એકાંતમાં બેસી નારાયણનું અરાધન કરવું છે.
સમાજ સુધારવાની ભાવના સારી છે. પણ તેની પાછળ અહંકાર આવે છે. અહંકાર આવે ત્યારે બધા અવગુણો આવે છે.
સમાજને કોઈ સુધારી શકયા નથી. હું મારા જીવનને અને મનને સુધારીશ એવી ભાવના રાખવી. સાધારણ મનુષ્ય જગતને સુધારી
શક્તો નથી. શંકરાચાર્ય ને વલ્લભાચાર્ય પાછા અવતરે તો જગત સુધરે.
આ સાંભળી હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો, શંડામર્કને ઠપકો આપ્યો. તમે મારા બાળકને આવો બોધ આપ્યો? આવું
શિક્ષણ આપ્યું?
શંડામર્ક:-અમે કોઈ દિવસ આવો પાઠ શીખવ્યો નથી.
હિરણ્યકશિપુએ કહ્યું:-જુઓ, દેવો મારાથી ગભરાય છે. તે સૂક્ષ્મરૂપ ધારણ કરી વિષ્ણુનો પ્રચાર કરે છે. માટે સાવચેતી
રાખો.
શંડામર્કે પ્રહલાદને પૂછયું, અમે આવું તને શિખવાડયું નથી, તો બાપુ આગળ આવું કેમ બોલ્યા?
પ્રહલાદજી કહે છે:-ગુરુજી, કોઈના કહેવાથી આ જીવ ભક્તિ કરતો નથી, કે પરમાત્માના માર્ગે વળતો નથી. સંતકૃપા
વિના, સત્સંગ વિના ભક્તિનો રંગ લાગતો નથી. પ્રભુ કૃપા કરે તો ભક્તિનો રંગ લાગે છે.
થોડા સમય પછી એક દિવસ હિરણ્યકશિપુએ પ્રહલાદને કહ્યું:-બેટા પ્રહલાદ, આટલા દિવસોમાં ગુરુજી પાસેથી તેં જે
શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય તેમાંથી સારી વાતો મને સંભળાવ.
પ્રહલાદ કહેવા લાગ્યા:-પિતાજી, વિષ્ણુ ભગવાનની ભક્તિના નવ ભેદ છે. ભગવાનના ગુણ-લીલા-નામ આદિનું
શ્રવણ, તેનું કીર્તન, તેના સ્વરૂપનામ આદિનું સ્મરણ, એનાં ચરણોની સેવા, પૂજા-અર્ચના, વંદન, દાસ્ય, સખ્ય અને
આત્મનિવેદન. ભગવાનના પ્રતિ સમર્પણ ભાવથી આ નવ પ્રકારની ભક્તિ જો કરવામાં આવે તો હું તેને ઉત્તમ અધ્યયન સમજું છું.
નવધા ભક્તિથી પ્રભુ પ્રસન્ન થાય છે. પ્રભુ પ્રસન્ન થાય તો જીવન સફળ થાય છે. બાકી ભોગ ભોગવવાથી શાંતિ મળતી
નથી.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૮૩
આ સાંભળી હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો. પ્રહલાદને ગોદમાંથી ફેંકી દીધો. સેવકોને હુકમ કર્યો, તમે આ બાળકને મારો.
તે મારી નાંખવાને યોગ્ય છે. તે મારા શત્રુનું ભજન કરે છે. દૈત્યો પ્રહલાદને મારવા દોડયા.
પ્રહલાદની દ્દષ્ટિ દિવ્ય હતી. પ્રહલાદને તલવારમાં શ્રીકૃષ્ણ દેખાય. તલવાર જેના હાથમાં છે તેમાં પણ શ્રીકૃષ્ણ દેખાય
છે.
સંસારમાં સુંદર પદાર્થો રહેવાના, પણ સર્વને ભગવતભાવથી જુઓ. જગતનાં કામ કરતાં ઈશ્વરનું અનુસંધાન રાખો.
બાળકને બદલે બાળકૃષ્ણનું અનુસંધાન રાખો, તો કનૈયો મળશે અને કનૈયા પાછળ લક્ષ્મી પણ આવશે. લૌકિક નામરૂપમાં મન
ફસાય તે આસક્તિ, પરંતુ તે જ મન શ્રીકૃષ્ણના નામરુપમાં ફસાય તો તે ભક્તિ છે. લૌકિક નામરૂપમાં ફસાયેલું મન શ્રીકૃષ્ણનાં
નામરૂપમાં ફસાય તો જ મુક્તિ મળે. તો જ ઉદ્ધાર થાય.
સ્વરૂપાશક્તિ વગર ભક્તિ ફળતી નથી. સંસારના વિષયોમાં પ્રેમ એ આસક્તિ. ભગવાન તરફ પ્રેમ, એ ભક્તિ.
સંસારાશક્તિ એ બાધક છે. તે બંધન કરે છે. ભગવતાસક્તિ બંધનમાંથી મુક્ત કરે છે. તે મુક્તિ અપાવે છે.
શુકદેવજી સાવધાન કરે છે, રાજન્! આંખમાં કામને ન રાખવો અને મનમાં સ્વાર્થ ન રાખવો. સમતા રાખી જગતને જુઓ.
આંખ બગડેલી હશે તો જગત બગડેલું લાગશે. જ્ઞાની મહાપુરુષોને જગતમાં કોઇ ખરાબ દેખાતું નથી. સંસાર પ્રત્યે પ્રીતિ થાય તો
ભક્તિ થતી નથી. પ્રભુના સ્વરૂપમાં આસક્તિ થાય, એ ભક્તિ છે. ભક્તિ હોય તો મુક્તિ છે. ભગવાન શ્રીકૃષ્ણ સિવાય કોઈ વસ્તુ
સુંદર નથી.
બે જણા બજારમાં ફૂલ લેવા ગયા, એક ભગવાનની પૂજા માટે અને બીજો પત્નીની વેણી માટે. પહેલાની ભક્તિ છે.
બીજાની આસક્તિ. એકને પરમાત્માને શણગારવાની ભાવના છે. ઠાકોરજીના માટે લાવ્યો છે, તેની ભક્તિ છે. બીજાને લાડીને
શણગારવાની છે. બીજાને સંસાર વિલાસની આસક્તિ છે. બે ક્રિયા એક છે, છતાં એકની ભક્તિ અને બીજાની આસક્તિ છે.