સવાર પડયું. જુએ છે, તો અનિરુદ્ધ ન મળે. સર્વને આ વાતની જાણ થઈ. શ્રીકૃષ્ણે સુદર્શનને બોલાવ્યો. અનિરુદ્ધ ગુમ થયા છે. રાત્રે શું કરતો હતો? સુદર્શન કહે, હું નારદજી સાથે સત્સંગ કરતો હતો. ભગવાને તેને ઠપકો આપ્યો, તારે નોકરી છોડી આ સત્સંગ કરવાની શી જરૂર હતી? નારદ સાથ ન આપે ત્યાં સુધી અનિરુદ્ધની ચોરી થતી નથી. બ્રહ્મચર્ય સાથ ન આપે ત્યાં સુધી મનની ચોરી થતી નથી. ચિત્રલેખા અનિરુદ્ધને અંત:પુરમાં લઈ આવે છે. બાણાસુરને આ વાતની જાણ થતાં તે અનિરુદ્ધને કેદ કરે છે. શ્રીકૃષ્ણને ખબર પડી કે બાણાસુરે અનિરુદ્ધને કેદ કર્યો છે. શ્રીકૃષ્ણે શોણિતપુર ઉપર ચડાઈ કરી. બાણાસુર શિવજીનો સેવક, તેથી શ્રીકૃષ્ણે તેને માર્યો નથી. બાણાસુરને હજાર હાથ હતા. શ્રીકૃષ્ણે તેને ચતુર્ભુજ બનાવી છોડી દીધો. ઉષા, અનિરુદ્ધના લગ્ન થયાં છે. પછી નૃગરાજાની કથા કહી. સકામ કર્મ, પાપનો નાશ કરશે નહિ. પરંતુ કેવળ પ્રભુ પ્રીત્યર્થે સત્કર્મ કરે, તો પાપનો નાશ થાય છે. નૃગરાજાએ સર્વ કર્મો સકામ કરેલાં, એટલે તેનાં પાપનો નાશ થયો નહિ. નૃગરાજાને કાચીંડાનો અવતાર લેવો પડયો. ભગવાને તેનો ઉદ્ધાર કર્યો. બ્રાહ્મણને દાનમાં આપેલી ગાય અજાણતાં તેણે દાનમાં આપી અને તેને કાચીંડાનો જન્મ લેવો પડયો. દાનમાં આપેલી વસ્તુ પાછી ન લેવાય. દેવધન મોજશોખમાં કદી ન વાપરવું. આનંદ રામાયણમાં એક કથા આપેલી છે. રામજીએ એક દિવસ કૂતરાનો રડવાનો અવાજ સાંભળ્યો. રામજીએ લક્ષ્મણને કહ્યું, આ કૂતરો કેમ રડે છે? કૂતરાને બોલાવી લાવો. કૂતરાને પૂછ્યું, તું કેમ રડે છે? કૂતરો કહે, સંન્યાસીએ મને પથ્થર માર્યો. સંન્યાસીને બોલાવ્યો. સંન્યાસી કહે, હું મધુકરી માગીને જતો હતો તે વખતે આ કૂતરો મારી પાછળ પડયો. મને થયું, કૂતરો મને અડકી જશે, હું અભડાઈ જઈશ તેથી મેં કૂતરાને પથ્થર માર્યો, રામજીએ કહ્યું, મહારાજ તમે સંન્યાસ લેવામાં ઉતાવળ કરી છે. કૂતરો તો પશુ છે. તમે કૂતરાનો અપરાધ કર્યો છે. એટલે કૂતરો જે સજા ફરમાવશે તે તમારે ભોગવવી પડશે. રામજીએ કૂતરાને કહ્યું તારે જે સજા કરવી હોય તે કર. કૂતરાએ માગ્યું કે એ સંન્યાસીને લાખોની આવકવાળા મઠના મહંત બનાવો.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૩૬
બધા વિચારમાં પડયા. આ સજા કે આશીર્વાદ? કૂતરાએ સમજાવ્યું કે ગયા જન્મમાં હું આવા એક મોટા મઠનો મહંત હતો, અને દેવધન મેં મારા વિલાસ અર્થે વાપરેલું. તેથી મને આ કૂતરાનો જન્મ લેવો પડ્યો છે. આ સંન્યાસી કોઈ મંદિરના મોટા મહંત થશે તો, તેની દશા મારા જેવી થશે અને તેને કોઇ પથ્થરો મારશે. દેવધન, બ્રાહ્મણનું ધન પચાવી પાડવાની ઇચ્છા ન રાખો. શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે, બ્રાહ્મણ મને વહાલા છે, બ્રાહ્મણનું અપમાન ન કરો. વિચિત્રતા એ છે કે આ યદુકુળના બાળકો જ બ્રાહ્મણનું અપમાન કરે છે. દાઉજી વ્રજમાં બિરાજતા હતા. ત્યાં દ્વિવિદ વાનર આવ્યો. દાઉદજીએ તેનો વધ કર્યો, પૌંડ્રંક અને કાશીરાજાનો વધ કર્યો. દુર્યોધનની કન્યા લક્ષ્મણાનો વિવાહ સાંબ સાથે થયો તે પ્રસંગ કહી સંભળાવ્યો, તે પછી નારદ પરિહાસની કથા કહી. એક દિવસ નારદજીને કૃષ્ણનો ગૃહસંસાર જોવાની ઈચ્છા થઈ. બ્રહ્મચારીએ કે સંન્યાસીએ ગૃહસ્થીના ઘરનો વિચાર પણ ન કરવો જોઇએ. તેમ છતાં નારદજીએ આવી ઈચ્છા કરી. નારદજીને થયું ૧૬,૧૦૮ રાણીઓ સાથે કેવી રીતે રહેતા હશે? કયારે કોને મળતા હશે? કયારે વાત કરતા હશે કયારે ભોજન કરતા હશે, કયારે રમતા હશે? ગમે તે કરતા હશે, તારે તેની પંચાત કરવાની શી જરૂર છે? પણ નારદજીથી ન રહેવાયું, તે ભગવાનનો ગૃહસંસાર જોવા દ્વારકા આવ્યા. ભગવાનના એક મહેલમાં દાખલ થયા. રુક્મિણીના પલંગ ઉપરથી ઊભા થઈ, શ્રીકૃષ્ણ નારદજીનું સ્વાગત કરે છે. ભગવાન જાણતા હતા કે નારદજી સળગાવવા આવ્યાં છે. છતાં તેમને પૂછે છે, કહો, આપનું કેમ પધારવું થયું? નારદ બ્રાહ્મણ એટલે શ્રીકૃષ્ણ ભગવાન હોવા છતાં નારદજીના ચરણ ધૂવે છે. નારદજીની પૂજા કરે છે. શ્રીકૃષ્ણ જેવા ગૃહસ્થી કોઈ થયા નથી, અને એમના જેવા સંન્યાસી પણ કોઇ થયા નથી. નારદજી જેવા પોતાના ભકત પણ એમને આંગણે આવ્યા ત્યારે ગૃહસ્થના ધર્મ અનુસાર તેઓએ તેની પૂજા કરી છે. તે પછી નારદજી બીજા મહેલમાં જાય છે. ત્યાં શ્રીકૃષ્ણ ઉદ્ધવજી સાથે પાસા રમતા હતા. શ્રીકૃષ્ણ ઊભા થઇ નારદજીનું સ્વાગત કરે છે, ભગવાન પૂછે છે, કેમ નારદજી, કયારે આવ્યા ? નારદજી આશ્ર્ચર્યમાં પડયા, હજુ થોડીવાર પણેલાં મારું સ્વાગત કરેલું અને પાછા પૂછે છે કયારે આવ્યા?