
Bhagavat: આરંભમાં રામચરિત્રનું વર્ણન કર્યું છે. પછી દશમ સ્કંધની કથા આવશે. ભાગવતની કથા સાંભળનાર વક્તા અને શ્રોતા
રામજીની મર્યાદામાં રહે. મનુષ્યને થોડી સંપત્તિ, અધિકાર મળે એટલે મર્યાદાને ભૂલી જાય છે. રામજી ન પધારે ત્યાં સુધી શ્રીકૃષ્ણ ( Shri Krishna ) આવતા નથી. રામજીની ( Ram ) ઉત્તમ સેવા એ જ છે કે, એમની મર્યાદાનું પાલન કરો. રામના જેવું તમારું વર્તન રાખો. રામજીનું ભજન કરવું, એટલે રામજીની મર્યાદાનું પાલન કરવું. તેમનું એકંદર વર્તન જીવનમાં ઉતારવું.
મર્યાદા પુરુષોત્તમ રામનું અનુકરણ કરશો તો, ભગવાન મળશે. અનુકરણ રામજીની લીલાનું કરવાનું છે. રામજીનું ચરિત્ર
સર્વથા અનુકરણીય છે. સર્વ શ્રીકૃષ્ણલીલાનું ( Sri Krishna Leela ) અનુકરણ કરવાનું નથી. તેનું શ્રવણ જ થાય. શ્રીકૃષ્ણનું ચરિત્ર ચિંતનીય છે.
શ્રીકૃષ્ણલીલા ચિંતન કરવા માટે છે. ચિંતન કરી તન્મય થવા માટે છે. રામજી કરે તે કરવાનું. શ્રીકૃષ્ણ કહે તે કરવાનું. રામજી પૂર્ણ
પુરુષોત્તમ હોવા છતાં, મનુષ્યને આદર્શ બતાવે છે.
રામજીનો માતૃપ્રેમ, પિતૃપ્રેમ, બંધુપ્રેમ, રામજીનું એક પત્નીવ્રત વગેરે સઘળું જીવનમાં ઉતારવા જેવું છે. રામાયણના
દરેક પાત્રનું ચરિત્ર આદર્શ છે. દશરથજીનો ( Dashrathji ) રામજી પ્રત્યેનો પ્રેમ, સીતાજીનો રામ પ્રત્યેનો પ્રેમ, વગેરે માન ઉપજાવે છે.
શ્રીકૃષ્ણ કરે તે આપણાથી ન થાય. શ્રીકૃષ્ણ તો કાલિનાગ ઉપર નાચતા હતા. કાલિય નાગને નાથે છે. શ્રીકૃષ્ણ ટચલી
આંગળી ઉપર ગોવર્ધનને ઉપાડી લે છે. શ્રીકૃષ્ણના ચરિત્રનું અનુકરણ કરવું હોય, તો પૂતના ચરિત્રનું કરજો. ઝેર પી ગયા હતા,
ઝેર પચાવ્યા પછી શ્રીકૃષ્ણચરિત્રનું અનુકરણ કરજો.
રામજીએ ઐશ્વર્ય છુપાવ્યું છે. મનુષ્ય જેવું નાટક કર્યું છે.
સાધકનું વર્તન કેવું હોય તે રામચંદ્રજીએ બતાવ્યું. સાધકનું વર્તન, રામના જેવું હોવું જોઈએ. સિદ્ધ પુરુષનું વર્તન
શ્રીકૃષ્ણ જેવું હોઈ શકે.
રઘુનાથનો ( Raghunath ) અવતાર રાક્ષસોને મારવા માટે નથી, પણ મનુષ્યોને માનવ-ધર્મ બતાવવા માટે થયો છે. રામ, જીવ માત્રને
એ બોધ આપે છે. રામજી એક પણ મર્યાદાનો ભંગ કરતા નથી.
રામજીની લીલા સરળ છે. તેની બાળલીલા પણ સરળ છે જયારે શ્રીકૃષ્ણની લીલા ગહન છે. અટપટી છે.
શ્રી રામ અતિ સરળ છે. સરળતાની પૂર્ણતા છે. એમના જેવો સરળ આજ સુધી કોઈ થયો નથી. અગ્નિ નારાયણે કહ્યું,
માતાજી શુદ્ધ છે. પેલા મૂર્ખ ધોબીએ નિંદા કરી, રામજીને કાને વાત આવી. રામજીએ નિષ્ઠૂર થઈ, સીતાજીનો ત્યાગ કર્યો. મારે
જગતને, વર્તન કેવું હોવું જોઈએ, કેવું હોઈ શકે, તે બતાવવું છે. સીતાજીએ સ્ત્રીધર્મ બતાવ્યો.પતિ એ મારા પરમેશ્વર છે.
રામજી મર્યાદા પુરુષોત્તમ, શ્રીકૃષ્ણ એ પુષ્ટિ પુરુષોત્તમ. શ્રીકૃષ્ણ માખણચોર એટલે કે મૃદુ મનનો ચોર છે. તે સર્વસ્વ
માંગે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૪૩
રામનું નામ પણ સરળ, એની લીલા પણ સરળ. રામજીનાં નામમાં એક પણ જોડાક્ષર નથી. શ્રીકૃષ્ણના નામમાં એક
પણ સરળ અક્ષર નથી. બધા અક્ષર જોડાક્ષર છે.
રામજી દિવસના બાર વાગે આવે છે. કનૈયો રાત્રે બાર વાગે આવે છે. એક દિવસે આવે છે. બીજો મધ્ય રાત્રિએ આવે છે.
દશરથજીના રાજમહેલમાં એક આવે છે, ત્યારે બીજો કંસના કારાગૃહમાં. રામજીને ઓળખવા સહેલા છે. શ્રીકૃષ્ણને ઓળખવા
કઠણ છે. રામજીની મર્યાદાને જીવનમાં ઉતારવી કઠણ છે.
સૂક્ષ્મ વાસના દૂર કરવા, નવમાં સ્કંધમાં સંતોના ચરિત્ર કહ્યાં.
સૂર્યવંશમાં રામજીનું ચરિત્ર આવશે. રામચંદ્ર એ મર્યાદા અને શ્રીકૃષ્ણ એ પ્રેમ છે. મર્યાદા અને પ્રેમ ને જીવનમાં ઉતારશો,
તો સુખી થશો.
નરસિંહ અવતારની કથાએ ક્રોધનો નાશ કેવી રીતે કરવો, તે બતાવ્યું. વામન અવતારની કથાએ લોભનો નાશ કેવી રીતે
કરવો, તે બતાવ્યું. રામચંદ્રજીના અવતારે કામનો નાશ કેવી રીતે કરવો તે બતાવ્યું, ક્રોધ, લોભ, કામનો નાશ થાય તે પછી
શ્રીકૃષ્ણ ભગવાન પ્રગટ થાય છે.
ભાગવતનું ધ્યેય શ્રીકૃષ્ણલીલા ચરિત્ર કહેવાનું છે. પરંતુ પહેલા સ્કંધથી, કેમ શ્રીકૃષ્ણલીલાનું વર્ણન કરતા નથી? કારણ
એ છે કે ક્રોધ, લોભ, કામ વગેરેનો નાશ થાય તે પછી જ પરમાત્મા મળે-શ્રીકૃષ્ણ મળે.
અષ્ટમ સ્કંધની સમાપ્તિમાં, સત્યવ્રત મનુમહારાજની અને મત્સ્યાવતારની કથા કહી.
પરીક્ષિત રાજા કહે છે:- આ સત્યવ્રત મનુમહારાજના વંશની કથા સંભળાવો.