ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૦૮

by Akash Rajbhar
The purpose of Bhagavata and its mahatmya. – 108
The purpose of Bhagavata and its mahatmya. – 108
NewsContinuous
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૦૮
Loading
/

સનત્ કુમારો વંદન કરે છે, પણ ઠાકોરજી સામું જોતા નથી. સનકાદિ ઋષિઓ ભગવાન પાસે ક્ષમા માગે છે. પ્રભુએ
કહ્યું-તમારી ભૂલ થઈ નથી. તમારું અપમાન એ મારું અપમાન છે.
શીલવાન બ્રાહ્મણો ભગવાનને વહાલા છે, કારણ તેઓ ભગવાનને ઓળખાવે છે. તમે મારી ભક્તિ અને જ્ઞાનનો પ્રચાર
કર્યો છે. મને મારા ભક્તો કરતાં બ્રહ્મા, લક્ષ્મીજી પણ પ્રિય નથી. ભગવાન બોલવામાં ચતુર છે. લક્ષ્મીજીને ખોટું લાગશે એટલે
બોલ્યા, અનન્ય ભક્તિ ન હોય તો મને પ્રિય નથી. લક્ષ્મીજીની અનન્ય ભક્તિ છે. નિષ્કામ ભાવથી પ્રેમ કરે છે એટલે વિશેષ પ્રિય
છે. નિષ્કામ ભક્તિ મને અતિશય પ્રિય છે. લક્ષ્મીજીમાં પણ નિષ્કામ ભક્તિ ન હોય, તો લક્ષ્મીજી પણ મને પ્રિય લાગતાં નથી.
ચંચળ લક્ષ્મી ઠાકોરજીના ચરણમાં સ્થિર થાય છે. તુલસીજી રાધાજીનું સ્વરૂપ છે. જીવાત્મા પરમાત્માનું લગ્ન એ તુલસી
વિવાહનું તાત્પર્ય છે.
સનકાદિક વિચારે છે અમારા વખાણ ખૂબ કરે છે, પણ ધામમાં બોલાવતા નથી કે લઈ જતા નથી. અમારે હજુ
તપશ્ર્ચર્યા કરવાની જરૂર છે. હજી ક્રોધ અમારામાંથી ગયો નથી. સનકાદિક બ્રહ્મલોકમાં પધારે છે.
જય-વિજયને સાંત્વના આપી, નારાયણ ભગવાને કહ્યું:- તમારા ત્રણ અવતારો થશે.
સનકાદિકના શાપથી જય અને વિજય અનુક્રમે હરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ તરીકે અવતર્યા.
શુકદેવજી વર્ણન કરે છે. દિતિના ગર્ભમાં જય-વિજય આવ્યા છે. દિતિને બે બાળકોનો જન્મ થયો. તેમના નામ છે,
હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ.
કસમયે કરેલા કામોપભોગથી દિતિ-કશ્યપને ત્યાં રાક્ષસોનો જન્મ થયો. માટે કામાધીન ન બનો. એકાદશી, દ્વાદશી,
પૂર્ણિમા, અમાવાસ્યા, જન્મતિથિ, વ્યતિપાતાદિ દિવસોએ બ્રહ્મચર્યનું પાલન કરો. મહાપ્રભુજીએ કશ્યપ ઉપર ત્રણ દોષો નાખેલા
છે:- કર્મત્યાગ, મૌનત્યાગ અને સ્થાનત્યાગ.
હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ રોજ ચાર ચાર હાથ વધતા, જો આમ ખરેખર બને તો માતા પિતાની શી સ્થિતિ થાય તે
કલ્પી શકો છો? બીજી મુશ્કેલી બાજુએ મૂકીએ તો પણ એક દિવસનાં કપડાં બીજા દિવસે ટૂંકા પડે. પણ ભાગવતની આ
સમાધિભાષા છે. ભાગવતમાં સમાધિભાષા મુખ્ય છે, લૌકિકભાષા ગૌણ છે.
આ લોભનું સ્વરૂપ બતાવ્યું છે. ચાર, ચાર હાથ વધતા એટલે કે લોભ રોજ ને રોજ વધતો જ જાય છે. લોભથી લોભ વધે
છે. લોભનો અંત પ્રભુકૃપા વગર થતો જ નથી. શરીર જીર્ણ થવાથી, વૃદ્ધાવસ્થામાં કામ મરે છે. પણ લોભનો નાશ થતો નથી.
લોભથી લોભ વધે એટલે પાપ વધે. પાપ વધે એટલે ધરતી રસાતાળમાં જાય છે. ધરતી એટલે માનવસમાજ દુ:ખરૂપી
રસાતાળમાં ડૂબે છે.

ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૦૭

હિરણ્યાક્ષ = સંગ્રહવૃત્તિ
હિરણ્યકશિપુ=ભોગવૃત્તિ.
હિરણ્યાક્ષે ખૂબ ભેગુ કર્યું છે. હિરણ્યકશિપુએ ખૂબ ભોગવ્યું છે.
લોભ વધે એટલે ભોગ વધે, ભોગ વધે એટલે પાપ વધે છે. જ્યારથી લોકો માનવા લાગ્યા કે પૈસાથી જ સુખ મળે છે,
ત્યારથી જગતમાં પાપ બહુ વધી ગયું છે. કેવળ પૈસાથી જ સુખ મળે છે તેવું નથી.
હિસ્ણ્યાક્ષને મારવા વરાહ અવતાર.
હિરણ્યકશિપુને મારવા નૃસિંહ અવતાર, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ એ લોભનો અવતાર છે.
કામને મારવા એક જ અવતાર લીધો છે. રાવણ-કુંભકર્ણને મારવા રામચંદ્રજીનો અવતાર. ક્રોધને મારવા પણ એક જ
આવતાર-શિશુપાળને મારવા કૃષ્ણાવતાર, પરંતુ લોભને મારવા માટે બે અવતાર લેવા પડયા. વરાહ અવતાર અને નૃસિંહ
અવતાર.
કામક્રોધને મારવા એક જ અવતાર લેવો પડયો. પણ લોભને મારવા બે અવતાર લેવા પડયા. તે બતાવે છે કે, લોભને
જીતવો બહુ જ દુષ્કર છે.
વૃદ્ધાવસ્થામાં ડહાપણ ઘણાને આવે છે. પણ જુવાનીમાં જે ડાહ્યો થયો તે સાચો ડાહ્યો. શક્તિ ક્ષીણ થાય, ત્યારે કામ
જાય તેમાં શું આશ્ર્ચર્ય? કોઇ ગણકારે નહિ, ત્યારે ડોસાનો ક્રોધ થાય તેમાં શું નવાઈ? પણ આ લોભ છેવટ સુધી વૃદ્ધાવસ્થામાં
પણ છૂટતો નથી. લોભને મારવો કઠણ છે. લોભ ના ફેલાવાથી પૃથ્વી દુઃખરૂપી સાગરમાં ડૂબી હતી. સત્કર્મમાં વિધ્ન કરનાર લોભ
છે, માટે લોભને સંતોષથી મારજો. લોભ સંતોષથી મરે, માટે સંતોષ કેળવો, વરાહ ભગવાન એ સંતોષનો અવતાર છે.

વરાહ અવતાર એ યજ્ઞાવતાર છે. વર+અહ, વર એટલે શ્રેષ્ઠ અને અહ એટલે દિવસ. શ્રેષ્ઠ દિવસ કયો? જે દિવસે
તમારા હાથે સત્કર્મ થાય તે. શ્રેષ્ઠ કર્મ કરો એટલે દિવસ શ્રેષ્ઠ બનશે, જે કાર્યથી પ્રભુ પ્રસન્ન થાય એ સત્કર્મ છે. સત્કર્મને યજ્ઞ કહે
છે. સત્કર્મમાં વિધ્ન કરનારો હિરણ્યાક્ષ છે. મનુષ્યના હાથે સત્કર્મ થતું નથી, કારણ કે એમને લાગે છે મને પરમેશ્ર્વરે આપ્યું
નથી. હિંરણ્યાક્ષ એ લોભનું સ્વરૂપ છે.
વરાહ ભગવાને, પૃથ્વી સમુદ્રમાં ડુબેલી હતી તેને બહાર કાઢી. પરંતુ પૃથ્વીને પોતાની પાસે રાખી નથી. પૃથ્વી મનુને
એટલે કે મનુષ્યોને સોંપી. જે પોતાની પાસે આવ્યું તે બીજાને આપી દીધું. આ સંતોષ છે.
વરાહ ભગવાન, યજ્ઞ સ્વરૂપ છે. યજ્ઞ કરવાથી ચિત્તશુદ્ધિ થાય છે. લોભ વગેરેનો નાશ કરી ચિત્તશુદ્ધિ કરવાની છે.
ચિત્તશુદ્ધિ થયા પછી કપિલ મુનિ એટલે બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ થાય છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More