News Continuous Bureau | Mumbai
Parth Pawar મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજીત પવારના નિધન બાદ પવાર પરિવાર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં રાજકીય જવાબદારીઓની વહેંચણી શરૂ થઈ ગઈ છે. સુનેત્રા પવારે રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામું આપીને રાજ્યના ડેપ્યુટી CM તરીકે શપથ લીધા છે. ત્યારે હવે ખાલી પડેલી રાજ્યસભાની આ બેઠક પર અજીત પવારના મોટા પુત્ર પાર્થ પવારની વરણી થવાની શક્યતા છે.
પાર્થ પવાર માટે રાજ્યસભાનો માર્ગ મોકળો
સુનેત્રા પવારની રાજ્યસભાની મુદત 4 જુલાઈ 2028 ના રોજ પૂરી થતી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્થ પવાર આ બેઠક પર ચૂંટણી લડીને દિલ્હી જઈ શકે છે. જોકે, અન્ય એક ચર્ચા એવી પણ છે કે તેમને 6 વર્ષની સંપૂર્ણ મુદત ધરાવતી બેઠક પર મોકલવામાં આવે. પાર્થ પવારે આ બાબતે પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચાઓ શરૂ કરી દીધી છે. વર્ષ 2019 માં માવળ લોકસભા બેઠક પરથી મળેલી હાર બાદ પાર્થ પવાર માટે આ રાષ્ટ્રીય રાજકારણમાં પુનરાગમન કરવાની મોટી તક છે.
પવાર પરિવારમાં જવાબદારીઓની વહેંચણી
અજીત પવારના નિધન બાદ પાર્થ પવાર અને જય પવાર બંને રાજકારણમાં વધુ સક્રિય થયા છે. નવી વ્યૂહરચના મુજબ, સુનેત્રા પવાર મહારાષ્ટ્રના ડેપ્યુટી CM તરીકે રાજ્યનું શાસન સંભાળશે, જ્યારે પાર્થ પવાર દિલ્હીમાં NCP ના અવાજ તરીકે કામ કરશે. જય પવાર પણ પક્ષના સંગઠનમાં મહત્વની ભૂમિકા ભજવે તેવી શક્યતા છે. અજીત પવારના નિધન બાદ આખા પક્ષ અને પરિવારની જવાબદારી હવે આ યુવા નેતાઓના ખભા પર આવી ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : Sunetra Pawar: મંત્રાલયમાં ફરી ગાજશે પવારનું નામ! સુનેત્રા પવાર બનશે નવા ડેપ્યુટી CM; જાણો કેમ તેમને અજીત પવારની જ કેબિન ફાળવાઈ?
શરદ પવારનો દિલ્હી પ્રવાસ અચાનક રદ
બીજી તરફ, NCP સુપ્રીમો શરદ પવારનો દિલ્હી પ્રવાસ અચાનક રદ થયો છે. તેઓ બજેટ સત્ર માટે દિલ્હી જવાના હતા. મુંબઈ રવાના થતા પહેલા શરદ પવાર અને પ્રતિભા પવારે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન ખાતે અજીત પવારના અંતિમ સંસ્કાર સ્થળની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે અજીત પવારના સ્મૃતિ સ્થળ અંગે ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કરી હતી. હાલમાં તેઓ મુંબઈમાં જ રોકાયા હોવાની માહિતી મળી રહી છે.