ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022
શનિવાર
મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના 12 ધારાસભ્યોનું સસ્પેન્શન પાછું ખેંચી લેવામાં આવ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ રામરાજે નાઈક નિમ્બાલકરે આ જાહેરાત કરી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે પણ આ ધારાસભ્યોના સસ્પેન્શન ને ગેરબંધારણીય ગણાવ્યુ હતુ. જોકે હવે આ 12 ધારાસભ્યોની વિધાનસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના નિર્ણયને માન આપીને વિધાનસભાએ ભાજપના આ 12 ધારાસભ્યોનું સસ્પેન્શન પાછું ખેંચી લીધુ છે અને તેમની સદસ્યતા પુનઃસ્થાપિત કરી છે. હવે આ 12 ધારાસભ્યોની વિધાનસભાની સદસ્યતા પુનઃસ્થાપિત થવાથી આગામી સમયમાં તેમના તારાંકિત પ્રશ્નો, કૉલિંગ એટેન્શન મોશન અને અન્ય વ્યવસાય સંબંધિત દરખાસ્તો નાણાકીય સત્રમાં સ્વીકારવામાં આવશે. આ રીતે હવે આ તમામ ધારાસભ્યો વિધાનસભાની કામગીરીમાં ભાગ લઈ શકશે.
ઉલ્લેખનીય છે કે આ ધારાસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર ભાજપના આ ધારાસભ્યોને વિધાન ભવન પરિસરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. વિધાનસભામાં ભાજપના 12 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા બાદ આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે આ સંબંધમાં ચુકાદો આપ્યો અને સસ્પેન્શનની આ કાર્યવાહીને ગેરબંધારણીય ગણાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતુ કે વિધાનસભાને ધારાસભ્યોને 60 દિવસથી વધુ સમય માટે સસ્પેન્ડ કરવાનો અધિકાર નથી.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયના સંદર્ભમાં વિધાનસભાના અધ્યક્ષ રામરાજે નાઈક નિમ્બાલકર, ઉપાધ્યક્ષ નીલમ ગોરહે, વિધાનસભાના ઉપાધ્યક્ષ નરહરિ ઝિરવાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુંબઈમાં મુલાકાત કરી હતી. તેમજ સુપ્રીમ કોર્ટના આ નિર્ણય વિધાનમંડળના અધિકારોમાં હસ્તક્ષેપ કરવા જઈ રહ્યો છે, આ શબ્દોમાં રાષ્ટ્રપતિએ નારાજગી પણ વ્યક્ત કરી હતી. આ પછી આ 12 ધારાસભ્યોનું સસ્પેન્શન પાછું ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આપને જણાવી દઈએ સસ્પેન્ડ કરાયેલા ભાજપના 12 ધારાસભ્યોમાં આશિષ શેલાર, ગિરીશ મહાજન, અતુલ ભાતખાલકર, જયકુમાર રાવલ, સંજય કુટે, અભિમન્યુ પવાર, હરીશ પિંપલે, રામ સાતપુતે, પરહ અલવાણી, નારાયણ કુચે, કીર્તિકુમાર બગડિયા અને યોગેશ સાગરનો સમાવેશ થાય છે.