News Continuous Bureau | Mumbai
મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ અને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ માં સર્જાયેલા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. ‘જગ વસંત’ નામનું વધુ એક મોટું LPG કાર્ગો જહાજ તમામ અવરોધો પાર કરીને ગુજરાતના કંડલા બંદરે આવી પહોંચ્યું છે. આ જહાજના આગમનથી દેશમાં રસોઈ ગેસની અછત દૂર કરવામાં મોટી મદદ મળશે. ‘જગ વસંત’ જહાજ કુલ 42,000 થી 46,000 મેટ્રિક ટન લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ (LPG) નો જથ્થો લઈને આવ્યું છે. હોર્મુઝની ખાડીમાં ચાલી રહેલા યુદ્ધ અને ઈરાનના નિયંત્રણ વચ્ચે આ જહાજનું સુરક્ષિત ભારત પહોંચવું એ મોટી રાજદ્વારી અને વ્યૂહાત્મક સફળતા માનવામાં આવે છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, દરિયાની વચ્ચે જ આ LPG ને બીજા નાના જહાજોમાં ટ્રાન્સફર કરવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
ઈંધણની અછત સામે લડવા ભારત સજ્જ
ભારત હાલમાં પશ્ચિમ એશિયાના સંકટને કારણે ઈંધણના પુરવઠા પર સતત નજર રાખી રહ્યું છે. ‘જગ વસંત’ પહેલા પણ કેટલાક જહાજો ભારત પહોંચ્યા છે, જે દર્શાવે છે કે ભારત વૈશ્વિક તણાવ છતાં પોતાની ઉર્જા સુરક્ષા જાળવી રાખવામાં સક્ષમ છે. કંડલા બંદરે આ જહાજ લંગારાયા બાદ હવે ગેસ બોટલિંગ પ્લાન્ટ્સ સુધી પહોંચાડવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : US-Iran War: યુદ્ધના ભણકારા વચ્ચે ઈરાન માલામાલ! હોર્મુઝની ખાડી પર કબજો જમાવીને કરી રહ્યો છે ₹1300 કરોડની દૈનિક કમાણી, જાણો શું છે આખો ખેલ.
શા માટે આ સમાચાર મહત્વના છે?
છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં LPG અને પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ ફેલાઈ રહી હતી. આવી સ્થિતિમાં આટલા મોટા જથ્થા સાથે જહાજનું આગમન બજારમાં સ્થિરતા લાવશે. સરકાર પણ વારંવાર કહી રહી છે કે દેશ પાસે પૂરતો સ્ટોક છે અને જનતાએ ગભરાવાની જરૂર નથી. ‘જગ વસંત’ નું આગમન એ વાતની પુષ્ટિ કરે છે કે ભારતનો પુરવઠો સાંકળ હજુ પણ કાર્યરત છે.