News Continuous Bureau | Mumbai
પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલું યુદ્ધ હવે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. શાંતિ વાટાઘાટોના પ્રયાસો વચ્ચે ગુરુવારે અમેરિકા અને ઈઝરાયેલે સંયુક્ત રીતે તેહરાનના સૌથી ઊંચા પુલ ‘બી-૧ બ્રિજ’ (B1 Bridge) પર ભયાનક હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં પુલ સંપૂર્ણપણે નેસ્તનાબૂદ થઈ ગયો છે અને અત્યાર સુધીમાં ૮ નાગરિકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે ૯૫થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
તેહરાનનો પડોશી શહેર કરજ સાથેનો સંપર્ક કપાયો
ઈરાની મીડિયા પ્રેસ ટીવીના અહેવાલ મુજબ, આ સૈન્ય કાર્યવાહીનો મુખ્ય ટાર્ગેટ કરજ વિસ્તારનો બી-૧ બ્રિજ હતો. આ પુલ તેહરાનને તેના પડોશી શહેર સાથે જોડતી મહત્વની કડી હતો, જે હવે તૂટી ગઈ છે. હુમલા સમયે ત્યાંથી પસાર થઈ રહેલા મુસાફરો અને સ્થાનિક ગામના રહેવાસીઓ આ બોમ્બમારાનો ભોગ બન્યા છે. તેહરાનના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલામાં માર્યા ગયેલા લોકોનો આંકડો હજુ વધી શકે તેમ છે.
આ સમાચાર પણ વાંચો : Summer Special Train: વેકેશનનું ટેન્શન ખતમ! મુંબઈ-પુણેથી વતન જવા માટે રેલવેએ ૨૧૦૦ વધારાની સ્પેશિયલ ટ્રેનોની આપી મંજૂરી.
કુદરત દિવસ ઉજવી રહેલા પરિવારો બન્યા નિશાન
દુર્ભાગ્યવશ, હુમલો થયો ત્યારે મોટી સંખ્યામાં પરિવારો ‘કુદરત દિવસ’ નિમિત્તે પુલની આસપાસના ખુલ્લા વિસ્તારોમાં એકઠા થયા હતા. આ હુમલામાં નિર્દોષ મહિલાઓ અને બાળકોએ પણ જીવ ગુમાવ્યા છે. ઈરાની મીડિયાના જણાવ્યા મુજબ, યુદ્ધ શરૂ થયાના એક મહિનામાં અત્યાર સુધીમાં દેશભરમાં ૨,૦૦૦થી વધુ લોકોના મોત થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી બાદ આ હુમલાને ઈરાનના માળખાગત સુવિધાઓ પરના મોટા પ્રહાર તરીકે જોવામાં આવી રહ્યો છે.
રાષ્ટ્રપતિ પેજેશ્કિયનનો વળતો પ્રહાર કરવાનો સંકલ્પ
આ ભયાનક હુમલા બાદ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ઈરાન પોતાની પૂરેપૂરી ક્ષમતાનો ઉપયોગ કરીને અમેરિકી અને ઈઝરાયેલી હુમલાખોરો સામે પોતાનો બચાવ કરશે. પેજેશ્કિયને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો કે જ્યારે અમેરિકાએ આ બોમ્બમારો શરૂ કર્યો, ત્યારે તેહરાન વોશિંગ્ટન સાથે પરોક્ષ રીતે વાતચીત કરી રહ્યું હતું. ઈરાને આ હુમલાને અકારણ આક્રમકતા ગણાવી છે.
