News Continuous Bureau | Mumbai
Vishvabharati Sansthan Event:જાણીતાં કવયિત્રી વાર્તાકાર ઉષા ઉપાધ્યાયે વર્ષ ૨૦૧૮માં
સ્થાપેલી સંસ્થા વિશ્વભારતી સંસ્થાન લેખિકાઓને , કવયિત્રીઓને, અનુવાદકને તથા કળાના કોઈ પણ ક્ષેત્રે પ્રવૃત્ત સ્ત્રીઓને મંચ આપવાનું તથા પોખવાનું કાર્ય કરે છે.

તાજેતરમાં વિશ્વભારતી સંસ્થાન અમદાવાદ, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને વિશ્વ લાડ પરિષદના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૨ માર્ચ ૨૦૨૬ના રોજ ‘જૂઈ – મેળો ‘નું ભવ્ય વાર્ષિક અધિવેશન યોજાયું હતું .ઉદ્ઘાટન સમારંભમાં અતિથિ વિશેષ તરીકે વિશ્વવિખ્યાત ગાયક કલાકાર શ્રીમતી નિશા સોલી કાપડિયા તથા કલાપ્રેમી અને સમાજસેવક શ્રીમતી પન્નાબહેન રસિકલાલ હેમાણી ઉપસ્થિત રહ્યાં હતા. નિશા કાપડિયાએ પરવીન શાકીરના શેરથી એમના વ્યાખ્યાનની માર્મિક શરૂઆત કરી હતી અને ‘જૂઈ – મેળો ‘ ના સાતત્યપૂર્ણ અધિવેશનો માટે આનંદ વ્યક્ત કરી લેખિકાઓને શુભકામના પાઠવી હતી. વિશ્વ લાડ પરિષદના પ્રમુખ અને એક લાખ હાયકુની રચના કરીને રેકોર્ડ પ્રસ્થાપિત કરનાર શ્રીમતી રમાબહેન શાહે ઉપસ્થિત સૌનું સ્નેહસભર સ્વાગત કર્યું હતું.ઉદ્ઘાટન સત્રમાં વિશ્વભારતી સંસ્થાન દ્વારા સર્વશ્રી પૂર્વી બ્રહ્મભટ્ટ ,સંધ્યા ભટ્ટ, નંદિની ત્રિવેદી ,શિલ્પા દેસાઈ તથા દેવયાની દવેને એમના ઉત્કૃષ્ટ સાહિત્યિક પ્રદાન માટે રૂપિયા ૧૧,૦૦૦/- અને મેમેન્ટો તથા સર્વશ્રી પ્રતિમા પંડ્યા, રીના પરીખ,શ્રદ્ધા ભટ્ટ તથા અંજલિ શાહને રૂ.૫,૦૦૦/- ના પુરસ્કાર તથા મેમેન્ટો દ્વારા સન્માનવામાં આવ્યાં હતાં .

આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં મૂલ્યવાન પ્રદાન કરનાર સર્વશ્રી ચિત્રા દેસાઈ, ફાલ્ગુની અજીત શેઠ ,સરોજિની જિતેન્દ્ર, વર્ષાબહેન શાહ, સુરેખા વાણી ,આશા ગોહિલ તથા નયના ડેલીવાલાનું રૂ. ૨૦૦૦/ના પુરસ્કાર તથા મેમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ઉદ્ઘાટન સત્રમાં સુપ્રસિદ્ધ સંગીતકાર તથા કટારલેખક
સ્નેહલ મજુમદાર અને ઓપેરા રંગકર્મી મંજરી મજુમદાર , કલા ગુર્જરીના પ્રમુખ હેમાંગ જાંગલા, પત્રકાર તરુ કજારિયા,એડવોકેટ પ્રવીણ વીરા, વલસાડના બિલ્ડર અને એડવોકેટ રણજીતસિંહ દેસાઈ તથા કવિ વાર્તાકાર સંજય પંડ્યા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ આયોજનમાં દિવસભરની વિવિધ બેઠકો ,બહુભાષી કવવિત્રી સંમેલન, ગદ્યસત્ર ,કલાસત્ર ,કાવ્યસત્ર વગેરેમાં મરાઠી, ઉડિયા, હિન્દી તથા ગુજરાતી લેખિકાઓએ પોતાની રચનાઓની રસપ્રદ પ્રસ્તુતિ કરી હતી. સર્વ લલિત કળાઓના સમન્વિત મંચ જૂઈ – મેળો ‘ ના કલા સત્રમાં ભરતનાટ્યમ નૃત્ય , એકોક્તિઓ તથા સુગમ સંગીતની આસ્વાદ્ય પ્રસ્તુતિ થઈ હતી.
ઉલ્લાસસભર વાતાવરણમાં ‘જૂઈ – મેળો ‘નું આ વાર્ષિક અધિવેશન સંપન્ન થયું હતું .
