News Continuous Bureau | Mumbai
World Gujarati Language Day: મુંબઈ ગુજરાતી સંગઠન છેલ્લા સાત વર્ષથી મહારાષ્ટ્રની ગુજરાતી માધ્યમની શાળાઓમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓનું, ગુજરાતી અંગ્રેજી ભાષામાં વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું તેમજ ૧૦૦% પરિણામ લાવનાર શાળાઓનું સન્માન કરવા સરસ્વતી સન્માન સમારોહનું ( Saraswati Samman ceremony ) આયોજન કરે છે.


દર વખતે મુંબઈ ગુજરાતી સંગઠન ( Mumbai Gujarati Association ) સરસ્વતી સન્માન સમારોહ અલગ-અલગ થીમ સાથે કરે છે. જેમાં ગુજરાતી વારસો, સંસ્કૃતિ, ગરબા, આઝાદીના ૭૫ વર્ષ વગેરેનો સમાવેશ થાય છે. તેવી જ રીતે આ વર્ષે ‘માતૃભાષામાં શિક્ષણનું મહત્વ’ સમજાવતી થીમ પર સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સ્ટેજ તેમ જ પરિસરની સજાવટ માતૃભાષામાં ભણતરનું મહત્વ તેમજ ફાયદા સમજાવતા વિવિધ બેનર્સથી કરવામાં આવી હતી. પ્રવેશ દ્વાર પાસે સુંદર રંગોળી કરવામાં આવી હતી.


આ વર્ષે પણ ખૂબ જ સુંદર અને આગવી રીતે સરસ્વતી સન્માન સમારોહનું ૩૧મી ઑગસ્ટ ૨૦૨૪, શનિવારના દિવસે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઘાટકોપરની એસ.પી.આર. જૈન કન્યાશાળા ટ્રસ્ટનાં સૌજન્યથી ભૂરીબેન ગોળવાળા ઓડિટોરિયમ માં કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત પહેલાં આધુનિક તંત્રજ્ઞાનની (સ્કેન) મદદથી આવેલ અતિથીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.આપણી માતૃભાષાના વિદ્યાર્થીઓ તંત્રજ્ઞાનમાં પણ આગળ છે એ પ્રતીતિ થઈ. ત્યારબાદ આપણી સંસ્કૃતિને યાદ કરતાં આવનાર દરેક અતિથીઓનું કુમકુમ-અક્ષતથી ચાંલ્લો કરીને, મીઠાઈ ખવડાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં નાસિક,પુના,સાંગલી,દહાણુ તેમ જ મુંબઈની અલગ-અલગ શાળા-સંસ્થાનાં પદાધિકારીઓ, આચાર્યો, શિક્ષકો, સંચાલકો તેમજ વિદ્યાર્થીઓ તથા તેમના માતા-પિતાએ આવીને સમારોહની શોભા વધારી હતી.

આ કાર્યક્રમની મંગળ શરૂઆત બરાબર ત્રણ વાગ્યે અને એક મિનિટે કરી દેવામાં આવી હતી સૌપ્રથમ મા સરસ્વતી ને યાદ કરતા, અલગ અલગ સંસ્થાના પદાધિકારીઓ દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એસ.પી.આર. જૈન કન્યાશાળાની બાળાઓ કે જેમને ૭૦૦ જેટલાં ભગવદ્ ગીતાનાં શ્લોકો કંઠસ્થ છે તેમનાં દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. પછી અંગ્રેજી વિષયમાં, ગુજરાતી વિષયમાં તેમજ બંને વિષયમાં ૮૫ અથવા ૮૫ કરતાં વધુ ગુણ મેળવનાર કુલ ૧૪૮ વિદ્યાર્થીઓને ૫૦૦ રૂપિયાના રોકડ પુરસ્કાર સાથે પ્રમાણપત્ર પાઠવી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. અહીં પણ આધુનિક તંત્રજ્ઞાનની મદદથી દરેક વિદ્યાર્થીઓના નામ સાથે પ્રમાણપત્ર ડિજિટલ સ્ક્રીન પર જ દેખાડવામાં આવ્યાં હતાં.

આ સમાચાર પણ વાંચો : Poshan Tracker Initiative: મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને આ પહેલ માટે મળ્યો રાષ્ટ્રીય પુરસ્કાર.
ત્યારબાદ હુસૈનીભાઈ દવાવાલા નિર્દેશિત થીએટ્રિક્સ ગ્રુપ દ્વારા ‘આપણી માતૃભાષા, આપણી જવાબદારી’ નાં વિષયને ધ્યાનમાં રાખી માતૃભાષાની ખાટી-મીઠી વાતો સાથે હસતાં-હસતાં હકીકત સમજાવતું નાટકની શુભ શરૂઆત રંગલા અને રંગલીનાં ભવાઈના વેશથી થઈ કે જેમાં આજની પેઢી ટોમ એન્ડ જેરી, સીનચેન, ડોરેમોન જેવા કાર્ટૂન પાછળ ગાંડીતૂર બની છે અને આપણો સાંસ્કૃતિક બાળ સાહિત્યનો વારસો છકો મકો, બકોર પટેલ, ……છેલ છબો ભૂલી રહી છે તેની યાદ અપાવી હતી. આ નાટકમાં અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમનાં વિદ્યાર્થીઓ વચ્ચેની વિચારસરણીઓને ખૂબ જ સારી રીતે વાચા આપી માતૃભાષાના ભણતરનું આગવું મહત્વ, એમની વિચારસરણી, ભણતરમાં જ સંસ્કારોનું સિંચન અભ્યાસક્રમ દ્વારા જ થાય છે એ દર્શાવવામાં આવ્યું હતું. નાટકના અંતમાં આખા સભાગૃહમાં ગરબાની રમઝટથી બધા જ ઝૂમ્યા. આ નાટકનાં દરેક કલાકારોને સ્મૃતિચિહ્ન આપી વધાવવામાં આવ્યાં હતાં.
ત્યારબાદ એસ.પી.આર. જૈન કન્યાશાળાની બાળાઓ દ્વારા અદ્ભૂત પિરામિડ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં બાળાઓએ સાહસિક રીતે શૌર્યતા દાખવી અલગ-અલગ કુલ ૧૩ દૃશ્યો બતાવી વિદ્યાર્થીના જીવનમાં માતૃભાષામાં ભણતરનું મહત્વ દર્શાવતો સંદેશ પાઠવ્યો હતો.

નાટક અને પિરામિડથી પ્રભાવિત થઈ પ્રેક્ષકોમાંથી રોકડ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી જે ખૂબ જ પ્રોત્સાહક હતું.
આ બાદ મુંબઈ ગુજરાતી સંગઠનની યુવાટીમનાં સભ્યો દ્વારા લગાતાર ત્રણ વર્ષથી માતૃભાષાના ( Mother tongue ) ભણતર માટેની જાગૃતિ લાવવા માટે શેરીનાટક કરવામાં આવે છે. પહેલા વર્ષે ‘જાગો રે,જાગો રે, જાગો રે…’ વિષય પર બીજા વર્ષે ‘ગર્વ છે, ગર્વ છે, ગર્વ છે…’ અને ત્રીજા વર્ષે એટલે કે આ વર્ષે જગાડવા અને ગર્વ કરાવવા છતાં પણ આજે પણ માતૃભાષા માટે અજાગૃત છે, તેને જાગૃત કરવા માટે પ્રશ્નો અને જવાબ દ્વારા ‘સુતેલા છો, શા માટે…’ આ વિષય પર શેરીનાટક કરવામાં આવ્યું હતું અને યુવા સભ્યોની ઓળખ આપી નવયુવાનોને આહવાન કરવામાં આવ્યું હતું. આવેલ અતિથીઓ તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો.

મુંબઈ ગુજરાતી સંગઠન છેલ્લાં ૧૫ વર્ષથી માતૃભાષાની શાળાઓ માટે અવિરતપણે કાર્યરત છે આ વાતથી અવગત કરાવવા માટે મીરા ચાવડા, પાર્થ લખાણી તેમજ ભાવેશભાઈ મહેતા દ્વારા મુંબઈ ગુજરાતી સંગઠનના ધ્યેય અને કાર્યો સમજાવવામાં આવ્યા હતા.તેમ જ દરેક ને પોતાની શાળાને ફરીથી ધમધમતી કરવા પોતાની જવાબદારી નિભાવવા આગળ આવે જેમાં મુંબઈ ગુજરાતી સંગઠન પૂરો સહયોગ આપશે એવી મક્કમ બાહેંધરી પણ આપવામાં આવી.
તેમજ છેલ્લા ત્રણ વર્ષથી મહારાષ્ટ્રની માતૃભાષા ગુજરાતીની ઉત્તમ પ્રાથમિક અને માધ્યમિક શાળાની જેમ આ વર્ષથી ‘માતૃભાષાનું ઉત્તમ બાળમંદિર’ નાં એવોર્ડની જાહેરાત કરવામાં આવી. તેમજ પોતાના વિસ્તારમાં અંગ્રેજીમાં વટલાવવાની પ્રવૃત્તિ અટકાવવા માતૃભાષાના બાલમંદિર શરૂ કરવામાં પૂરો સહયોગ આપવામાં આવશે એવી જાહેરાત પણ કરવામાં આવી. હવેથી દરેક ઉત્તમ શાળા અને બાળમંદિરને ૧૧,૦૦૦ રોકડ પુરસ્કાર તેમજ સ્મૃતિચિહ્ન આપવામાં આવશે.

ત્યારબાદ મહારાષ્ટ્ર બોર્ડની ગુજરાતી માધ્યમની શાળાના પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર ચાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર, ટ્રોફી, સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયનાં વર્ષ ૧૯૮૪-૮૫ નાં બેચ તરફથી ચાંદીની લગડી, ઘડિયાળ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમ જ પ્રાઇવેટ એસ એસ સી, બારમાં ધોરણના અને અનુસ્નાતક માટેના ચાર વિશેષ ઈનામ આપવામાં આવ્યા. અને પછી મહારાષ્ટ્રની ગુજરાતી માધ્યમની દરેક શાળામાં પ્રથમ આવનાર કુલ ૬૪ વિદ્યાર્થીઓને ૧૦૦૦ રૂપિયા રોકડ પુરસ્કાર, ટ્રોફી તેમજ સો ટકા પરિણામ લાવનાર કુલ ૨૮ શાળાઓને ટ્રોફી અને પાયથન પુસ્તક પાઠવી સન્માન કરવામાં આવ્યું હતું. આમ કુલ ૧,૪૦,૦૦૦ રૂપિયાના રોકડ ઈનામો આપવામાં આવ્યાં હતાં.

On the occasion of World Gujarati Language Day Saraswati Samman Samaroh 2024 was celebrated in Gujarati style by the Mumbai Gujarati Association.

આ સમાચાર પણ વાંચો : Namo eWaste Management IPO : નમો ઇવેસ્ટ મેનેજમેન્ટ IPO લોન્ચ, ગણતરીના કલાકોમાં થયો સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ.. આ તારીખ સુધી ખુલ્લો રહેશે…
કાર્યક્રમનાં અંતે, આભાર વિધી સાથે રાષ્ટ્રીય ગીત ગાવામાં આવ્યું હતું અને મીઠાં ભોજનિયાની મોજ માણી કાર્યક્રમની યાદોને હૃદય પટ પર પ્રતિબિંબિત કરી સૌ હસતાં – હસતાં ફરીથી મળવાના આહ્વાન સાથે છૂટા પડ્યાં હતાં

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
