News Continuous Bureau | Mumbai
Gujarati Sahitya: જૂની રંગભૂમિનાં ગીતોની શિબિર ( Old theater songs Shibir ) હોય અને ત્રીસ જેટલાં સારું ગાઈ શકતા વિદ્યાર્થીઓ તથા વીસેક સંગીતની તાલીમ લેતાં વયસ્ક હોય એ દ્રશ્ય પુલકિત કરે એવું હોય છે.

‘ રંગભૂમિના ગીતો ( theater songs ) એ સુગમ સંગીત નથી. સુગમ સંગીત બેસીને ગવાય. જૂની રંગભૂમિનાં ગીતોમાં ગાન પણ છે અને અભિનય પણ છે. ‘ ગુજરાતી તખ્તાના, સિરિયલના તથા ફિલ્મોના વરિષ્ઠ કલાકાર ઉત્કર્ષ મઝુમદારે ( Utkarsh Mazumdar ) મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી ( Gujarat Sahitya Akademi ) દ્વારા ક.જ.સોમૈયા કૉલેજના સહયોગમાં યોજાયેલી શિબિરમાં જણાવ્યું હતું. ‘ એ સમયે સંવાદ પણ ઊંચા સ્વરે બોલાતા અને ગાન પણ મોટેથી થતું કારણ ભજવણી વખતે માઈક ન હતાં ‘ એવું એમણે ઉમેર્યું હતું. જૂની રંગભૂમિના સંવાદ બોલાવડાવીને ગાયકે પોતાના કોચલામાંથી કઈ રીતે બહાર આવવાનું છે એ એમણે શીખવ્યું હતું. એમણે કહ્યું હતું કે રજૂઆત કરનાર શ્રોતાથી એક ફૂટ ઉપર મંચ પર ઊભો છે એટલે કલાકારની ઉચ્ચતા ,એનો આત્મવિશ્વાસ એની રજૂઆતમાં દેખાવો જોઈએ.

વરિષ્ઠ કલાકાર મીનળ પટેલે પણ શિબિરનાં સહભાગીઓને ‘ નાગરવેલીઓ રોપાવ તારા રાજમહેલોમાં ‘ગીત ( Gujarati Songs ) સાભિનય રજૂ કરી સમજાવ્યું હતું. એમના સહજતાથી શીખવેલા ગીતને વિદ્યાર્થીનીઓએ મિનીટોમાં આત્મસાત કરી મંચ પરથી રજૂ કર્યું હતું. બંને તરફ બાહુ ફેલાવી મીનળબહેને સહુને જણાવ્યું હતું કે કલાકાર આ અવકાશના રાજા છે એટલે હાથની, શરીરની મુવમેન્ટ સિમીત ન રાખવી અને દિલ ઠાલવી ગીત સાથે અભિનય કરવો.

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મઝુમદાર પોતે સારા ગાયક તથા સંતુરવાદક છે. એમણે પણ માસ્ટર અશરફખાનની લોકપ્રિયતાની વાત કરી ‘ એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી ‘ ગીતનાં બે સ્વરાંકન રજૂ કર્યાં.

આ અગાઉ કાર્યક્રમની ભૂમિકા બાંધતા સંજય પંડ્યાએ જણાવ્યું ,’લોકકલાની વાત કરીએ તો ભવાઈને ૧૪મી સદીમાં અસાઈત ઠાકરે પ્રચલિત કરી.ગુજરાતની આ લોકકલા સદીઓથી ટકી રહી છે.છેક ઓગણીસમી સદીના છઠ્ઠા સાતમા દાયકામાં પારસીઓએ પારસી ગુજરાતી નાટકો ભજવવા શરૂ કર્યા.૧૮૭૮ માં ગુજરાતી નાટક ભજવવાનાં શરૂ થયાં જેમાં ગીતોનું પ્રાધાન્ય હતું.આ આપણી જૂની રંગભૂમિની શરૂઆત! આજનો વિદ્યાર્થી ૩૦ વર્ષ પછી પણ આપણા આ કલાકારોની માફક નવી પેઢીને રંગભૂમિના જૂનાં ગીતો શીખવી શકે એ અમારો આશય છે ‘

આ સમાચાર પણ વાંચો : Amit Shah: કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં એક ઉચ્ચ-સ્તરીય બેઠકમાં ‘વાઇબ્રન્ટ વિલેજ્સ પ્રોગ્રામ’ના અમલીકરણની સમીક્ષા કરી
ક.જે.સોમૈયા મહાવિદ્યાલય તરફથી ડૉ.પવારે પણ શિબિરના સહભાગીઓને પ્રોત્સાહિત કર્યા.એમણે કહ્યું કે વાંચન તમારા ચિત્તને વધુ સતેજ બનાવે છે, ધારદાર બનાવે છે પણ ગાન અને અભિનય , બુદ્ધિ સાથે તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો કરે છે.

મહાવિદ્યાલયનાં ડૉ. હિતેશ પંડ્યા, ડૉ.પ્રીતિ દવે તથા પ્રો.સાગર ચોટલિયા તથા એમનાં વિદ્યાર્થીઓએ આયોજનમાં કોઈ કચાશ નહોતી રાખી. હાર્મોનિયમ પર સંગત કાનજીભાઈ ગોઠીએ કરી હતી.અકાદમીના સભ્ય નિરંજન પંડ્યા પણ ઉપસ્થિત હતા. કાર્યક્રમના પ્રોડક્શન ઈનચાર્જ નીલેશ પટેલ હતા.

આ શિબિરનો બીજો ભાગ ૧૮ જુલાઈએ સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ના સમયે છે અને સંગીત તથા ગાનમાં રસ ધરાવતા ભાવકો કે.જે.સોમૈયા કલા અને વાણિજ્ય મહાવિદ્યાલય, વિદ્યાવિહારની શિબિરમાં હાજરી આપી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
