
Bhagavat: ભક્તિમાં અહંભાવ જાગે તો, સમજવું કે દુર્વાસના આવી. દુર્વાસનામાંથી ( Durvasa ) અભિમાન જાગે છે. અભિમાનમાંથી ક્રોધ જાગે છે. અને ક્રોધમાંથી કૃત્યા, કર્કશવાણી ઉત્પન્ન થાય છે. કર્કશવાણી-કૃત્યા ભક્તિને મારવા જાય છે. ત્યાં જ્ઞાનરૂપી સુદર્શન ચક્ર
ભક્તિની મદદે આવે છે. જ્ઞાન કૃત્યાને મારી નાંખે છે. જો ભક્તિ શુદ્ધ હોય તો તેને કર્કશવાણી કાંઈ કરી શકતી નથી. ભક્તિનું
રક્ષણ સુદર્શન ચક્ર એટલે જ્ઞાન કરે છે. સર્વમાં શ્રીકૃષ્ણનું ( Shri Krishna ) દર્શન એ સુદર્શન. ભક્તિ પાસે કર્કશવાણી આવે છે ત્યારે વૈષ્ણવો ( Vaishnavas ) તેને સુદર્શન ચક્ર=જ્ઞાનથી કાપી નાંખે છે. નિંદાની અસર મન ઉપર થાય, એ સાચો વૈષ્ણવ નથી. કર્કશવાણી સહન કરશો, તો સુખી થશો. કર્કશવાણી બોલે, તે દુ:ખી થાય છે.
ભક્તિ શુદ્ધ હશે તો જ્ઞાન અને વૈરાગ્ય દોડતાં આવશે. સુદર્શન ચક્ર ( Sudarshan Chakra ) દોડતું આવેલું તેમ અને કર્કશ વાણીરૂપ કૃત્યાને મારી
નાખશે.
અંબરીષને દુર્વાસાએ કડવાં વચનો કહ્યાં. તો પણ તેઓ તેના ઉપર ગુસ્સે થતા નથી. જેને રીસ ન આવે તે અંબરીષ.
જેના માથે ઠાકોરજી બિરાજે તે અંબરીષ. દુર્વાસા જ્યારે અંબરીષની પ્રશંસા કરવા લાગ્યા, ત્યારે પણ તે પ્રસન્ન થયા ન હતા. તે
સ્થિતપ્રજ્ઞ રહયા હતા.
ભક્તો તુલ્યેનિંદાસ્તુતિ: નિંદા અને સ્તુતિને સમાન સમજે છે. ભક્તને કોઈ કર્કશવાણી કહે, તો અંબરીષની જેમ તેને, તે
વાણી કાંઇ અસર કરી શકતી નથી.
ભક્તિ કરો તો અંબરીષના જેવી. અંબરીષની ભક્તિથી ભગવાનને કહેવું પડયું: અહં ભક્તપરાધીન: ।
બધામાં સમભાવ-સમતા રાખે એ જ્ઞાની, બધામાં ઇશ્વર છે, એવું જ્ઞાન થવું એ ખરું જ્ઞાન.
ઇશ્વરના સ્વરૂપના જ્ઞાન વગર ભક્તિ આવતી નથી. ભક્તિ દૃઢ થતી નથી. એટલે ભક્તિમાં જ્ઞાન જરૂરનું છે.
વિષયમાં વૈરાગ્ય આવ્યા વગર ભક્તિ થતી નથી. ભક્તિ આવે અટલે જ્ઞાન અને વૈરાગ્ય પહેલાં આવે છે. જયાં ભક્તિ
હોય છે, ત્યાં જ્ઞાનરૂપી સુદર્શન ચક્ર રક્ષણ કરે છે.
ભક્તિ સિદ્ધ થઇ તેને સર્વ શાસ્ત્રોનું જ્ઞાન થઇ ગયું,
નામ લિયા ઉસને જાન લિયા સકલ શાસ્ત્રોંકા ભેદ ।
બિના નામ નરકકો ગયા પઢ પઢ ચારોં વેદ ।
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ –૨૪૭
દુર્વાસાને પ્રેમથી જમાડી, અંબરીષે ક્ષમા માંગી. સાચા વૈષ્ણવ પરદોષ જુએ નહીં. વારંવાર પોતાનો દોષ જુએ છે.
દુર્વાસાએ ખૂબ વખાણ કર્યાં, પણ અંબરીષને કાંઈ અભિમાન થતું નથી. જીત મારી નથી. જીત ઈશ્વરની છે. પોતાની માને, તેની
અવશ્ય હાર થાય છે.
જરા વિચાર કરો, શુકદેવજીને ( Shukdevji ) આ રાજાઓની કથા કરવાની શી જરૂર હતી? પણ અંબરીષ જેવા રાજા શુકદેવજીને પણ
ગમે છે. ધન્ય છે અંબરીષને. તે ઘરમાં રહીને સંન્યાસી જેવું જીવન ગાળે છે, હું તો વનમાં જઇને સંન્યાસી જેવું જીવન ગાળું છું.
શુકદેવજીને થયું, હું તો લંગોટી છોડીને સંન્યાસી થયો છું, આ અંબરીષ રાણીઓ સાથે રાજમહેલમાં રહીને સંન્યાસી જેવા
રહયો છે. હું તો સર્વ છોડીને, પ્રભુ પાછળ પડયો છું ત્યારે અંબરીષની કથા કરુ છું.
જ્ઞાનથી ભગવાન પરતંત્ર થતા નથી, બંધાતા નથી. ભક્તિથી ભગવાન પરતંત્ર થાય છે. જ્ઞાની મહાત્માઓ બ્રહ્માનુભવ
કરી શકે છે, પણ ભગવાનને પરતંત્ર કરી શકતા નથી, બાંધી શકતા નથી. ભક્તિ માં છે, જ્ઞાન અને વૈરાગ્ય બાળકો છે. જયાં શુદ્ધ
ભક્તિ છે, ત્યાં જ્ઞાન વૈરાગ્ય દોડતાં આવે છે.
મનુ મહારાજને ત્યાં ઇક્ષ્વાકુ નામનો પુત્ર થયો. તે વંશમાં માંધાતા થયા, માંધાતા રાજાની, પ૦ કન્યાઓનું લગ્ન
સૌભરીઋષિ સાથે થયું.
સૌભરી યમુનાજીના જળમાં પ્રવેશી તપશ્ચર્યા કરે છે. સૌભરી તપશ્ચર્યા કરતાં કરતાં સિદ્ધ થયા હતા. એકવાર વિચાર
આવ્યો, પરમાત્માની માયા મને શું અસર કરી શકવાની? ભગવાને માયા કરી. ઋષિએ માછલા-માછલીનો પ્રસંગ જોયો. વારંવાર
આ પ્રસંગ જોવાથી આંખમાં કામ આવ્યો. ઋષિને તેવું સુખ ભોગવવાની ઇચ્છા થઈ. તેથી પંચ્યાશી વર્ષની વયે મહારાજને લગ્ન
કરવાનો વિચાર થયો. તે માંધાતા રાજા પાસે ગયા. રાજાએ વિચાર્યું ઋષિને કન્યા આપું તો જે કન્યા આપીશ, તે જીવનભર દુ:ખી
થશે અને કન્યા ન આપું તો મહારાજ શાપ આપશે. રાજાએ ઋષિને કહ્યું:-આપ રાજમહેલમાં પધારો, જે કન્યા આપને પસંદ
કરશે, તે તમને આપીશ. ભગવાન શ્રી શંકરાચાર્યે મનને બોધ આપ્યો છે.
અંગ ગલિતં પલિતં મુણ્ડમ્ દશન વિહીનં જાતં તુણ્ડમ્
વૃદ્ધો યાતિગૃહીત્વા દંડમ્ તદપિન મુંચતિ આશા પિણ્ડમ્,
ભજ ગાવિંદં ભજ ગોવિંદં ગોવિંદં ભજ મુઢમતે.